8 મિનિટ પહેલા
- કૉપી લિંક
મહાઠગ કિરણ પટેલને આજે રાત્રે 2 વગ્યે અમદાવાદ લાવી દેવામાં આવશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચકિરણ પટેલને લઈને રાજસ્થાન બોર્ડર પહોંચી ગઈ છે. કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નો નકલી અધિકારી બનીને જમ્મુ-કાશ્મીર સરહદ પર ફરતો હતો, ત્યારે પોલીસના ધ્યાન પર આવ્યો હતો. તેને ઝડપી લેવામાં આવ્યો હતો. જમ્મુ- કાશ્મીર પોલીસની કસ્ટડીમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને અમદાવાદ આવવા રવાના થઈ છે. શુક્રવાર રાતે બે વાગ્યે કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી જશે. તેને સામાન્ય કેદીની જેમ લાવવામાં આવી રહ્યો છે.
મહાઠગ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સવાલોનો સામનો કરશે
મહાઠગ કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ મોડી રાતે લઈને આવશે. કિરણ પટેલે અનેક લોકોને ઠગ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમાં તે પોતે પીએમઓનો અધિકારી હોવાની વાતો કહેતો હતો અને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન બોર્ડર સુધી જઈ આવેલો કિરણ પટેલ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મહેમાન બનશે એટલે કે તેને સામાન્ય કેદીની જેમ પોલીસના તમામ પ્રશ્નોના જવાબ આપવા પડશે. આ અંગે અમદાવાદ અધિકારીઓ જણાવ્યું છે કે, રાતે એક થી દોઢ વાગ્યાના અરસામાં કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવશે.
ગુજરાતીઓ સહિત દેશના અનેક લોકોને ઠગનાર મહા ઠગ કિરણ પટેલ ગણતરીના કલાકોમાં અમદાવાદ આવશે. તેને સામાન્ય કેદીની જેમ જમ્મુ કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી તેની કસ્ટડી લઈને અમદાવાદ આવી રહી છે. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જણાવ્યું છે કે રાતે એકથી દોઢ વાગ્યાના અરસામાં કિરણ પટેલને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચશે.
મકાન પચાવવાના કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ
પોતાની લોભામણી વાતોથી લોકોને ફસાવીને લાખો રૂપિયાની ઉચાપતમાં સામેલ હોવાની અનેક વિગતો કિરણ પટેલ સામેની બહાર આવી રહી છે. કિરણ પટેલ ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનું મકાન પચાવી પાડવાના કેસમાં અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે, જેમાં તે અને તેની પત્નીએ જગદીશ ચાવડાનું મકાન પચાવી પાડ્યું હતું, આ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહાઠગની પત્ની માલિનીની ધરપકડ થઈ ગઈ છે
મંત્રીના ભાઈનું મકાન પચાવી પાડવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કિરણ પટેલની પત્ની માલિની અને આર્કિટેકની પૂછપરછ કરી છે. હવે આ સમગ્ર કેસનો માસ્ટર માઈન્ડ કિરણ પટેલ અમદાવાદ આવ્યા બાદ તેનાં અનેક રાઝ સામે આવશે. કિરણ પટેલ એટલો ભેજાબાજ જ હતો કે મંત્રીના ભાઈના ઘરમાં તેણે સંગીતસંધ્યા અને પૂજા રાખી હતી. આ માટે તે ખર્ચો ક્યાંથી લાવ્યો હતો, તેના પર તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. આ અંગે અગાઉ તેની પત્ની માલિનીની પૂછપરછ થઈ ચૂકી છે, પરંતુ સમગ્ર રેકેટનો માસ્ટર માઈન્ડ કિરણ પટેલ આવા અનેક લોકોને ઠગી ચૂક્યો હોવાની પોલીસને પૂરી શંકા છે. હવે પોલીસને જેમ જેમ પુરાવા મળશે, તેમ કિરણ પટેલ સામે વધુ ગુના દાખલ કરવાની પણ તૈયારી કરી લીધી છે. કિરણ પટેલ અને તેની પત્ની જે બેંક એકાઉન્ટ વાપરતાં હતાં, તેની પણ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ કિરણને પાછો લાવી રહી છે
ગુજરાતના મહાઠગ કિરણ પટેલનાં એટલાં કારનામાં છે કે તેનું એક સાંભળો તો નવું ચડિયાતું નીકળે છે. પહેલાં ફાઈવ સ્ટાર ક્લબની ચૂંટણીમાં તો ક્યારેક PMOનો અધિકારી બનીને પાકિસ્તાન સરહદ ફરવા સુધીમાં તે પોતાની કારીગરી વાપરી ચૂક્યો છે. પણ હવે તેના વળતાં પાણી થયાં છે. મહાઠગ કિરણ પટેલને લેવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રોડ માર્ગે જમ્મુ-કાશ્મીરથી લઈને રવાના થઈ છે. 36 કલાકની મુસાફરી બાદ કિરણ પટેલને સામાન્ય કેદીની જેમ પોલીસના ડબ્બામાં પૂરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. એક સમયે મર્સિડીઝ અને ઓડી જેવી લક્ઝુરિયસ કારમાં ફરતો કિરણ પટેલને પોલીસના ડબ્બામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈને આવી રહી છે. આ વખતે તેની આસપાસ કોઈ સામાન્ય પોલીસ નહીં પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જાંબાજ પોલીસ કોન્સ્ટેબલ છે.
પૂર્વ મંત્રીના ભાઈનો કરોડોનો બંગલો પચાવ્યો છે
અમદાવાદ તેમજ આખા રાજ્યમાં કિરણ પટેલે પોતાની ઓળખ PMOના અધિકારીની આપીને અનેક લોકોને ભોળવી લીધા હતા. જેમાં એક મંત્રીના ભાઈ પણ આવી ગયા હતા. તેમની પાસેથી કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. પોલીસમાં ફરિયાદ ન થાય તે માટે પણ તેણે અનેક ગતકડાં કર્યાં હતાં. અમદાવાદની જાણીતી કો-ઓપરેટિવ બેંકના એક ઉચ્ચ પદાધિકારી પણ તેના સંપર્કમાં હતા. કિરણ પટેલ આ બધા સંપર્કોના આધારે લોકોને ફસાવતો હતો અને ક્યાંક મારીને રોકડી કરી લેતો હતો.
બેંકમાં અધિકારીઓની ઓળખાણ
ગુજરાતની મહત્ત્વની બ્રાન્ચોમાં પણ કિરણ પટેલના ઓળખીતા અધિકારીઓ કામ કરે છે. જે હાલ તેમને ઓળખતા નથી તેવું રટણ કર્યા કરે છે. બીજી તરફ કિરણ પટેલને જમ્મુ-કાશ્મીર પોલીસે શોધીને સાબિત કરી દીધું કે, આ એક ભેજાબાજ ઠગ છે. કિરણ પટેલ સામે જમ્મુ-કાશ્મીર બાદ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પણ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં પૂર્વ મંત્રીના ભાઈને છેતરવાનો કારસો ઘડવામાં આવ્યો હતો, ત્યારે હવે આ કેસમાં તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવા માટે પોલીસ કોન્સ્ટેબલ અને અન્યની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી છે.
કિરણને કાશ્મીરથી અમદાવાદની લાંબી મુસાફરી કરાવાશે
તેને હવાઈ માર્ગે નહીં પણ બાય રોડ અમદાવાદ લાવવામાં આવશે. સામાન્ય કેદીની જેમ મહાઠગને પોલીસ ડબ્બામાં નાખીને લાવવામાં આવશે. જ્યારે તેને કોઈ સુખ-સગવડ નહીં, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં લાવીને અન્ય કેદીઓની જેમ જ સરભરા કરવામાં આવશે. જ્યારે તેની સામે ચાલતા ગુનાની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અધિકારીઓ સરભરા કરવાના મૂડમાં છે.
કિરણ પટેલ કમલમથી કાશ્મીર પહોંચ્યો: કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા 27 માર્ચે વિધાનસભા પ્રવેશદ્વાર પાસે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોનો આક્ષેપ છે કે મહાઠગ કિરણ પટેલ મુદ્દે વિધાનસભા ગૃહમાં ચર્ચા થાય નહીં એ માટે કોંગ્રેસના તમામ સભ્યોને સત્ર પૂરું થાય નહીં ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાનાં પગથિયાં પર વિરોધ કરી રહેલા કોંગ્રેસના તમામ ધારાસભ્યો અલગ અલગ પોસ્ટર્સ સાથે આવ્યા હતા. કોંગ્રેસના અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે કિરણ પટેલને ક્યાંક ને ક્યાંક સીએમઓ અને પીએમઓના છૂપા આશીર્વાદ છે. જેથી મહાઠગ કિરણ પટેલ કમલમથી કાશ્મીર પહોંચ્યો હશે. કિરણ પટેલે કાશ્મીર સુધીની સફરમાં અનેક લોકોને ઠગ્યા છે. જ્યારે કાશ્મીર જે દેશનો સૌથી સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે ત્યાં ઝેડ પ્લસ સુરક્ષા લઈને ફર્યો તેમજ સુરક્ષાયુક્ત અનેક સંવેદનશીલ વિસ્તારોમાં મુલાકાત કરી અનેક લોકોને સૂચનાઓ આપી. CMOના આશીર્વાદથી G-20 માટેની અધિકારીઓની મિટિંગ બોલાવી અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પર રોફ જમાવવાના પ્રયાસ કર્યા છે.
કેવી રીતે બંગલો પચાવી પાડ્યો?
23 માર્ચે કિરણ અને માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. શીલજમાં પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાનો નીલકંઠ બંગલો આવેલો છે. જે વેચવા માટે તેમણે પરિચિત લોકોને ફેબ્રુઆરી 2022માં વાતચીત કરી હતી. જે વાત મહાઠગ સુધી પહોંચતા તેણે બંગલો પચાવી પાડવા પ્લાન બનાવ્યો હતો. કિરણ પટેલે ચાવડાનાં પત્ની ઇલાબેનને ફોન કરીને બંગલો વેચવાનો હોય તો પોતે લે-વેચનું કામ કરે છે તેવું જણાવ્યું હતું. ઇલાબેન સાથેની વાતચીત બાદ કિરણ પટેલ જગદીશભાઈના બંગલે ગયો હતો. બંગલો વેચવાનો હોવાથી કિરણને બંગલો પણ બતાવ્યો હતો. ત્યારે પોતાના પ્લાન મુજબ કિરણે જગદીશભાઈએ કહ્યું કે, રિનોવેશન થાય તો બંગલો સરળતાથી વેચી શકાય અને સારી કિંમત પણ મળશે તેવી સલાહ આપીને કિરણ ત્યાંથી નીકળી ગયો હતો. જે બાદ જગદીશભાઈને સિંધુભવન રોડ પર આવેલી ટી પોસ્ટમાં મળવા બોલાવ્યા હતા.
જગદીશભાઈએ કિરણ પટેલ સાથે ડીલ કરી અને બંગલો 30-35 લાખમાં રિનોવેશન કરવાનું નક્કી કર્યું હતું. 2 દિવસ બાદ કિરણ તેની પત્ની માલિની અને ઇન્ટિરિયર ડિઝાઈનર જુબિન પટેલ સાથે બંગલે આવ્યો અને બંગલો બતાવ્યો હતો. બીજા જ દિવસથી કિરણ 8-10 કારીગર લાવીને રિનોવેશન કામ શરૂ કરાવી દીધું. જગદીશભાઈ બંગલો રિનોવેશન થતો હોવાથી શેલામાં રહેતા મિત્રના બંગલે શિફ્ટ થઈ ગયા હતા. જગદીશ ચાવડાને કામ હોવાથી તે જૂનાગઢ ગયા હતા. આ દરમિયાન કિરણે બંગલા બહાર પોતાના નામની પ્લેટ લગાવી અને વાસ્તુપૂજન કરાવ્યું હતું. ઓગસ્ટ-2022માં જગદીશભાઈને મિરઝાપુર કોર્ટની નોટિસ મળી હતી જેમાં કિરણ પટેલે બંગલા માટે દાવો કર્યો હતો જેથી જગદીશભાઈએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
બંગલો પચાવી પાડવાના ગુનામાં માલિનીની જંબુસરથી ધરપકડ
28 માર્ચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. તે તેના સંબંધીને ત્યાં જંબુસરમાં હતી ત્યારે ઝડપાઈ હતી. સિંધુભવન રોડ પરના જગદીશપુરમ્ બંગલો પચાવી પાડવાના કેસમાં તેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. માલિની પટેલ સામે ફરિયાદ થતાં જ ફરાર થઈ ગઈ હતી. કિરણ પટેલ સાથે માલિની પટેલ પણ સામેલ છે. જમ્મુમાં પણ તે બંને સાથે ગયાં હતાં. બધી જ જગ્યાએ બંને સાથે રહેતાં હતાં. જ્યારે ફરિયાદ નોંધાઇ ત્યારે નડિયાદ ત્યાર બાદ જંબુસર ગઈ હતી. 2017માં નરોડા પોલીસ સ્ટેશનમાં સ્વામિનારાયણ મંદિરમાં કાર બારોબર વેચી દેવાના કેસમાં માલિની સામે ફરિયાદ થઈ હતી. માલિનીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.