ભુજ24 મિનિટ પહેલા
- કૉપી લિંક

- કચ્છ યુનિવર્સિટીમાં બે અલગ અલગ નીતિ-નિયમો મુદ્દે ખુદ સ્ટાફમાં ઘેરા પ્રત્યાઘાત
- ઈન્ચાર્જ સતામંડળ નવા સત્રથી એમકોમમાં અર્થશાસ્ત્ર વિષય કેવી રીતે સમાવશે ?
વિવાદોને કારણે કચ્છ યુનિવર્સિટી હાલમાં ઘણી ચર્ચામાં છે તાજેતરમાં સમાજશાસ્ત્ર વિષયના પેપર ચેકીંગમાં બેદરકારી દાખવવા સંદર્ભે વિદ્યાર્થીઓની રજૂઆત બાદ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક દ્વારા માંડવીની એસવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસરને પરીક્ષાલક્ષી કામગીરીમાંથી બાકાત કરવાનો હુકમ કર્યો હતો.
આ હુકમ ટાંકણે જ શિક્ષણવિદોમાં ચર્ચાએ વેગ પકડ્યું કે, જો પેપર ચકાસવામાં ક્ષતિ બદલ પ્રોફેસર સામે પગલાં લેવાતા હોય તો સાત-સાત વર્ષ સુધી M.com ના અભ્યાસમાં અર્થશાસ્ત્ર વિષયને બાકાત રાખવા બદલ કોમર્સ વિભાગના પૂર્વ ડીન સામે યુની. દ્વારા કેમ પગલાં લેવાતા નથી ? કોમર્સ વિભાગના પૂર્વ ડીન પી.એસ.હીરાણી પર એમકોમના અભ્યાસક્રમમાં અર્થશાસ્ત્ર વિષયની બાકાતીનો આરોપ હતો અને એબીવીપીની રજુઆત બાદ તેમણે બીજા દિવસે પોતાની જવાબદારી સ્વીકારીને ડીન પદેથી સ્વૈચ્છીક રાજીનામું આપ્યું હતું પણ વિષય બાકાતીની એક ભૂલના કારણે 2100 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થવા સાથે અનેક વિદ્યાર્થીઓ નોકરીના લાભથી વંચિત રહ્યા હતા.
જે-તે સમયે વિદ્યાર્થીઓની પણ માંગ હતી કે,ડીન સામે કાયદાકીય પગલા ભરવામાં આવે પણ યુનિ. દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી.એક જ સંસ્થામાં બે અલગ અલગ નીતિ મુદ્દે સવાલો ઉઠવા પામ્યા છે.દરમિયાન મહત્વનો સવાલ એ છે કે, આગામી જૂન મહિનાથી નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થઈ જશે.નવા સત્રથી એમકોમમાં અર્થશાસ્ત્ર વિષયને સમાવવામાં આવશે તેવી બાંયધરી અપાઈ હતી જે માટે સત્તામંડળની મંજૂરી લેવી પડે પણ હાલમાં સત્તામંડળની મુદત પૂરી થઈ જતા તેમની મુદતમાં વધારો કરાયો છે જેથી તેઓ માત્ર શિક્ષણલક્ષી કામગીરી કરી શકે છે પરંતુ ઇન્ચાર્જ હોવાથી વહીવટી કે નીતિવિષયક નિર્ણયો લઈ શકે નહીં આવા સંજોગોમાં એમકોમમાં અર્થશાસ્ત્રનો વિષય ક્યારે સમાવવામાં આવશે તે જોવુ રહ્યું.