18 મિનિટ પહેલા
- કૉપી લિંક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ‘મોદી’ અટકની બદનક્ષી બદલ ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ સુરતની નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેની પર સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા 2 વર્ષની સજા ફરમાવી હતી. જેમાં રાહુલ ગાંધીનું સાંસદનું પદ રદ્દ થયું છે. સુરતની નીચલી કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટ સુરતમાં નીચલી કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો. જેથી આજે 25મી એપ્રિલ અને સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં તેને પડકાર્યો છે.
આગામી સમયમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
હવે રાહુલ ગાંધી દ્વારા સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને આજે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોંગ્રેસની સેન્ટ્રલ લીગલ ટીમ દ્વારા સુરત સેશન્સ કોર્ટના ચુકાદા સંદર્ભે અરજીનો મેમો તૈયાર થયો હતો. આજે ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધીએ રિવિઝનલ અરજી દાખલ કરી દીધી છે. હવે રાહુલ ગાંધીની સુરત સેશન્સ કોર્ટના 2 વર્ષની સજાના ચુકાદાને પડકારતી અરજી પર આગામી સમયમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
સેન્ટ્રલ લીગલ ટીમ અપીલ મેમો કર્યો
કોંગ્રેસ નેતા બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની સેન્ટ્રલ લીગલ ટીમ દ્વારા સુરત સેશન્સ કોર્ટના ચુકાદા સંદર્ભે સોમ-મંગળવાર સુધીમાં હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ થવાની શકયતા છે.
હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું: બચાવ પક્ષના વકીલ
રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ચુકાદો આવ્યો છે. રાહુલ ગાંધી દ્વારા ‘મોદી’ અટકને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું એની સામે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ કરાયો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી, તેમજ તેમનું સંસદપદ પણ રદ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી દ્વારા કોર્ટે જે સજા ફટકારી છે, એને મોકૂફ રાખવા માટે અપીલ કરાઈ હતી. એ અપીલમાં આજે ચુકાદો આવ્યો છે. એડિશનલ સેશન્સ કોર્ટના જજે કહ્યું હતું કે ‘સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ ડિસમિસ’, જ્યારે બચાવપક્ષના વકીલે કહ્યું હતું કે હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું.
ન્યાય માટે આવ્યા હતા અને ન્યાય મળ્યો: પૂર્ણેશ મોદી
રાહુલ ગાંધીની અરજી કોર્ટે ફગાવ્યા બાદ પૂર્ણેશ મોદીએ આ બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સામાજિક અપમાનના કારણે અમે કોર્ટમાં આવ્યા હતા. આ કેસને અમે મેરિટ પર લડ્યા છીએ. અમે કોર્ટમાં ન્યાય માટે આવ્યા હતા અને અમને ન્યાય મળ્યો છે. આ બાબતે સામેવાળો પક્ષ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. સબજ્યૂડિસરી મેટર હોવાથી વધુ કહી શકાય નહીં.
હાઇકોર્ટમાં જઈશું: નૈષધ દેસાઈ
ચુકાદા બાદ રાહુલ ગાંધીના જામીનદાર અને કોંગ્રેસ નેતા નૈષધ દેસાઈએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, સજા સામે મનાઈ હુકમ મળવાની અમને આશા હતી. સેશન્સ કોર્ટના ઓર્ડરમાં કોઈ કારણ આપવામાં નથી આવ્યું. ચુકાદાને લઇ અમે આવતીકાલે હાઇકોર્ટમાં જઈશું. શબ્દની ડિફરમન્સિ ના હોઈ શકે અને ટીકા માત્ર વડાપ્રધાન પર જ કરવામાં આવી હતી, સમાજ પર નહીં. બદનક્ષી પુરવાર થાય તો શબ્દની બદનક્ષીમાં 2 વર્ષની સજા અત્યાર સુધી ક્યારેય થઈ નથી. નીચલી કોર્ટથી ભલે રાહત ના મળી હોય, પરંતુ હાઇકોર્ટમાંથી અમને ન્યાય મળશે તેવી આશા છે. વધુમાં ઉમેર્યું હતું કે, ફાઇનલ ચુકાદો ના આવે ત્યાં સુધી રાહુલને જામીનમુક્ત કરાયા છે.

બંને પક્ષની દલીલો પૂર્ણ
સજા મોકૂફ રાખવા માટે જે અપીલ કરવામાં આવી હતી એની સુનાવણી થાય એ પહેલાં ફરિયાદી પક્ષ દ્વારા વાંધા અપીલ રજૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી હતી. દલીલ પૂર્ણ થઈ ગયા બાદ કોર્ટ દ્વારા 20મી એપ્રિલે ચુકાદો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
દિલ્હીની કોઈ લીગલ ટીમ કે નેતા આવ્યા નહીં
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ તેમની દિલ્હીની લીગલ ટીમ કામે લાગી હતી. તેમજ કેન્દ્રીય નેતાઓથી લઈને પ્રદેશના નેતાઓ પણ હાજર રહ્યા હતા. જોકે, ચુકાદોને દિલ્હીની કોઈ લીગલ ટીમ કે પ્રદેશના કોઈ મોટા નેતા હાજર રહ્યા નહોતા.
અપીલમાં આ મુદ્દા રજૂ કરાયા હતા
- રાહુલ ગાંધીએ અપીલમાં કહ્યું હતું કે એકમાત્ર વાક્ય ‘બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે’ એના પર સજા કરી છે. એ વધુપડતી અને આકરી છે. એટલું જ નહીં, પણ એ માટે સજા જ ખોટી કરી છે.
- મોદી નામે કોઈ સમાજ નથી અને બદનક્ષી થઈ હોય એવું નીચલી કોર્ટે ઠરાવ્યું નથી, પણ મોદી અટકધારી હોવાથી પૂર્ણેશ મોદીને ફરિયાદ કરવાનો અધિકાર છે. એવું ઠરાવેલું છે, પરંતુ તેમના જ કહેવા પ્રમાણે દેશમાં 13 કરોડ મોદી છે.
- ભાષણમાં માત્ર નરેન્દ્ર મોદી, લલિત મોદી અને નીરવ મોદીના સંદર્ભમાં જણાવ્યું હતું. અન્ય મોદીની બદનક્ષી કરવાનો ઈરાદો નહોતો.
- મોદી અટકધારીઓનું કોઈ ગ્રુપ નથી, મોદી અટક ફક્ત ઓબીસીમાં આવે છે એવું પણ નથી.
- પૂર્ણેશ મોદી એક ચોક્કસ નાના ગ્રુપના સભ્ય હોવા જોઈએ, તેઓ પોતે કહે છે કે મોદીઓ 13 કરોડ છે, ત્યારે એ નાનું અને ચોક્કસ ગ્રુપ કહેવાય નહીં અને તેથી તેવા કોઈ કહેવાતા ગ્રુપના સભ્ય તરીકે પૂર્ણેશ મોદીને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી.

હવે સમજો આ ત્રણેય અરજીમાં શું માગણી હતી અને કોર્ટે શું નિર્ણય લીધો હતો…
મુખ્ય અરજીઃ નીચલી અદાલતના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. એની સુનાવણી 3 મેના રોજ થશે.
પ્રથમ અરજીઃ એકમાં સજા પર સ્ટે માગવામાં આવ્યો હતો. એને સ્વીકારીને કોર્ટે રાહુલને વચગાળાના જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આ અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી આ જામીન રહેશે.
બીજી અરજીઃ આમાં દોષિત ઠેરવવા પર સ્ટે માગવામાં આવ્યો હતો. એના પર કોર્ટે કહ્યું કે બીજી બાજુ સાંભળ્યા વિના કોઈ આદેશ આપી શકાય નહીં. આ અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે.

અગાઉ સુરત કોર્ટ બહાર કોંગ્રેસના નેતાઓનો જમાવડો થયો હતો.
રાહુલની સજા બાદ 3 ઘટનાક્રમ
23 માર્ચ: માનહાનિના કેસમાં દોષિત
સુરત કોર્ટે 23મી માર્ચે રાહુલને 2 વર્ષની કેદની સજા ફટકારી હતી. જોકે 27 મિનિટ બાદ તેને જામીન મળી ગયા હતા. 2019માં તેમણે કર્ણાટકની વિધાનસભામાં મોદી સરનેમ અંગે નિવેદન આપ્યું હતું. આ પછી ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
24 માર્ચ: સંસદ સભ્યપદ રદ
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ 24 માર્ચે બપોરે 2.30 વાગ્યે રદ કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે 2013ના એક નિર્ણયમાં કહ્યું હતું કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય નીચલી કોર્ટમાં દોષી સાબિત થાય છે, તો તેને સંસદ અથવા વિધાનસભાના સભ્યપદ માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.
27 માર્ચ: બંગલો ખાલી કરવાની નોટિસ મળી
27 માર્ચે લોકસભા હાઉસિંગ કમિટીએ રાહુલને બંગલો ખાલી કરવા નોટિસ મોકલી હતી. સમિતિએ તેમને 22 એપ્રિલ સુધીમાં 12 તુગલક રોડ ખાતેનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા જણાવ્યું હતું. રાહુલે બંગલો ખાલી કર્યો હતો અને નિવાસસ્થાનમાં રહેવાનું નક્કી કર્યું. તેમનો સામાન પણ સ્થળાંતર થયો છે.