ભાવનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનનાં સંયુક્ત ઉપક્રમે ભાવનગરનાં ઝવેરચંદ મેઘાણી સભાગૃહમાં ‘સમર્થ સમકાલીન’ સિતાંશુ યશશ્ચન્દ્રની સર્જકતા એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો.
એક દિવસીય પરિસંવાદ
સિતાંશુ યશશ્ચન્દ્રની સર્જકતા વિશેનાં આ પરિસંવાદની ભૂમિકા ગુજરાતી ભવનના અધ્યક્ષ મહેન્દ્રસિંહ પરમારે કરી હતી, પ્રારંભે સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા ‘એક ખરી વાત’નો સમૂહપાઠ ભવનનાં વિદ્યાર્થીઓ દ્વારા થયો હતો, કવિ સિતાંશુ યશશ્ચન્દ્રે એમની કવિતાનો પાઠ કર્યો હતા. સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા વિશે સમીર ભટ્ટે અને સંશોધન વિશે હેમંત દવેએ રસપ્રદ વક્તવ્યો આપ્યાં હતા. બીજી બેઠકમાં સિતાંશુ યશશ્ચન્દ્રનાં વિવેચન વિશે શિરીષ પંચાલનું વક્તવ્ય થયું. ત્રીજી બેઠકમાં સિતાંશુ યશશ્ચન્દ્રનાં નાટકોને રંગભૂમિની દ્રષ્ટિએ મહેન્દ્રસિંહ પરમાર અને સાહિત્યિક દ્રષ્ટિએ મહેશ ચંપકલાલે મૂલવ્યાં. ‘ભાઈબંધ સિતાંશુ’ વિશે પ્રબોધ પરીખનાં વક્તવ્ય પછી એમણે સાહિત્ય અકાદમી દિલ્હી માટે બનાવેલી ફિલ્મ ‘આ માણસ ગુજરાતી લાગે છે’ નું નિદર્શન થયું હતું.
ભાવકો વિમર્શકોની રહી ઉપસ્થિતિ
ભવનનાં છાત્રોએ કરેલી સજાવટ તથા ભૂમિ, પાયલ, અંકિતા અને માનસીએ કરેલાં સભાસંચાલનો પણ પ્રશંસનીય રહ્યા. પરિષદ મંત્રી સમીર ભટ્ટે સૌનો આભાર માન્યો. રાજેશ પંડ્યા, મિલિન્દ કાવટકર, જીગીશા ગાલા, શ્વેતા દુબલ, ઋષિત દુબલ, સંજુ વાળા, આર.પી જોશી, વસંત જોશી, ઇન્દુ જોશી, પીયૂષ ઠક્કર, નિખિલ મોરી, પારુલ દેસાઈ, અંજની મહેતા,વિક્રમ ભટ્ટ, રવજી રોકડ વગેરે ભાવકો – વિમર્શકોની ઉપસ્થિતિ ધ્યાનપાત્ર રહી.
કવિને ફટાણા સંભળાવીને વધાવ્યાં
ભાષાભવન ખાતે ‘કવિતાનું કેસર’ શીર્ષકથી આ કવિઓ અને ભવનનાં છાત્રોનું મિલન યોજાયું. કવિ યોગેશ વૈદ્ય, રાજેશ પંડ્યા, પીયૂષ ઠક્કર, નિખિલ મોરી, પારુલ દેસાઈ, ઇન્દુ જોશી, પ્રબોધ પરીખ, સમીર ભટ્ટની કવિતાઓ એમના અવાજમાં સાંભળવા મળી તો ભવનનાં છાત્રો ભૂમિ, શિલ્પા અને વિશાલના ગદ્યલેખનને સાંભળી ઉપસ્થિત મહાનુભાવોએ ઉભા થઈને એમને બિરદાવ્યાં હતા, વાળુટાણે ભવનની દીકરીઓએ એમની ભાષાના મોટા કવિને ફટાણા સંભળાવીને વધાવ્યાં હતા. ભાષા સાહિત્યનાં વિદ્યાર્થીઓને સાહિત્ય સાથે અનુબંધ રચવામાં આવા વિશિષ્ટ કાર્યક્રમોનો મહિમા સૌ સાહિત્યપ્રેમીઓએ અનુભવ્યો, શિરીષ પંચાલ, પ્રબોધ પરીખ, સિતાંશુ યશશ્ચન્દ્ર જેવા અગ્રણી સાહિત્યકારોની હાજરીમાં જાણે એક સેતુબંધ રચાયો હતો.