પોરબંદર5 મિનિટ પહેલા
- કૉપી લિંક

તમિલનાડુથી પોતાના મૂળ વતન સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા સૌરાષ્ટ્રિયન તમિલ પરિવારો આજે પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામે આવેલ મૂળ દ્વારકા તીર્થધામ ખાતે પધાર્યા હતા. અહીં પ્રવાસન મંત્રી મુળુ બેરા, સાંસદ રમેશ ધડુક, પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરીયા સહિત અગ્રણીઓએ તમિલ પરિવારોનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.

આ તકે કેબિનેટ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, મુળ સૌરાષ્ટ્રના અને અત્યારે તમિલનાડુ રહેતા તમિલ પરિવારો પોતાના વતનની મુલાકાત કરી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજાઈ રહ્યો છે. જેમાં તબક્કાવાર તમિલ પરિવારો સૌરાષ્ટ્રમાં આવીને સોમનાથ દાદાના દર્શન, ગીર નેશનલ પાર્કની મુલાકાત, દ્વારકા યાત્રાધામના દર્શન કરવાની સાથે અહીંની સાંસ્કૃતિક ધરોહરથી વાકેફ થઇ રહ્યા છે.

પોરબંદર અને દ્વારકા વચ્ચે વિસાવાડા ગામ ખાતે આવેલા મૂળ દ્વારકા તીર્થધામ ખાતે ભગવાનના દર્શન કર્યા બાદ શ્રી વિંઝાત ભક્ત મેર સમાજ વાડી ખાતે અગ્રણીઓ દ્વારા તમિલ પરિવારોનું સ્વાગત કરાયું હતું. આ તકે પોરબંદરની સાંસ્કૃતિક ઓળખ એવા મહેર રાસ નિહાળીને તમિલ પરિવારો ઉત્સાહિત થયા હતા. પારંપરિક મહેર પહેરવેશ દ્વારા બહેનો અને ભાઇઓએ મહેર રાસ ઢાલ તલવાર રાસ રજૂ કરી તમિલ પરિવારોનો ભાવ ભર્યું સ્વાગત કર્યું હતું.

આ તકે તમિલનાડુના મદુરાઈથી આવેલા 28 વર્ષીય યુવાન હરીશે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમદા અભિગમથી આજે મને મારા મૂળ વતનની માટીની સુગંધ લેવાની તક મળી છે. અહીંનું સોમનાથ મંદિર, ગીર નેશનલ પાર્ક ફર્યા બાદ આજે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર તથા અહીંથી અમે દ્વારિકા જઈશું .સિંહને મેં ફિલ્મોમાં અને ઝૂમાં જોયા હતા. પણ સૌરાષ્ટ્રમાં આવીને ગીર નેશનલ પાર્કમાં ખુલ્લામાં સિંહને ફરતો જોઈને હું ખૂબ જ મંત્રમુગ્ધ થયો હતો. આ ઉપરાંત સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર અને તેની જાળવણી ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. આજે વિસાવાડામાં મૂળ દ્વારિકા યાત્રાધામના દર્શન કરી અહીંના સાંસ્કૃતિક મહેર રાસ જોઈને મને પણ આ રાસ શીખવાનું ખૂબ જ મન થઈ ગયું હતું.