નવસારી6 કલાક પહેલા
- કૉપી લિંક
નવસારી શહેરમાં અનેક જર્જરીત ઇમારતો આવી છે જેને પાલિકાએ અનેક વખત નોટિસ આપી ઉતારી પાડવાનો આદેશ કરવા છતાં આજદિન સુધી ઇમારતોને તેના કબજેદાર અને માલિકો દ્વારા ઉતારી પાડવામાં આવી નથી જેથી ક્યારેક ગેલેરીનો સ્લેબ અથવા કાટમાળ નીચે પડવાની ઘટના સામે આવતી રહેતી હોય છે. ત્યારે નાગતલાવડી વિસ્તારમાં પણ ઈમારતની ગેલેરીનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.

શહેરમાં વધુ એક જર્જરિત ઇમારતની ગેલેરીનો સ્લેબ પડવાની ઘટના બની છે. જેમાં કાશ્મીરા એપાર્ટમેન્ટની ત્રીજા માળની ગેલેરીનો કેટલોક ભાગ ધરસાઈ થયો હતો. ત્રીજા માળમાં ત્રણથી ચાર પરિવાર રહે છે. બપોરના સમયે અચાનક ગેલેરીનો ભાગ નીચે પડતા ભયનો માહોલ સર્જાયો હતો. આ સ્લેબ તૂટી બાજુમાં આવેલ એક બંગલામાં પડ્યો હતો. સદનસીબે બંગલામાં રહેતા લોકો સમય સૂચકતા વાપરી બહાર નીકળી આવતા મોટી દુર્ઘટના ટળી હતી. હાલ તૂટી પડેલા સ્લેબને દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં ચોમાસાની સિઝન આવી રહી છે. જેમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક ઇમારતો તૂટી પડવાની ઘટના બને છે જેથી આ વખતે પાલિકા કડક વલણ અપનાવી જર્જરીત ઇમારતોનો સર્વે કરાવીને તેને ઉતારી પાડવા માટે કાર્યવાહી હાથ ધરે તે હિતમાં છે.


