અમદાવાદ19 મિનિટ પહેલા
- કૉપી લિંક

કોરોનાકાળ દરમિયાન ઊંઝા નગર પાલિકામાં ચીફ સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા બળજબરીપૂર્વક વ્યાપારીઓની દુકાન બંધ કરાવવામાં આવી રહી હતી એવો કાઉન્સિલર ભાવેશ પટેલ પર આક્ષેપ લાગ્યો હતો. તદુપરાંત તેણે તેમની સાથે અયોગ્ય વર્તન કરીને અપશબ્દો બોલવામાં આવ્યા હતા એવા પણ આક્ષેપો લગાવ્યા હતા. આ ફરિયાદ નગર પાલિકાના કમિશ્નર સુધી પહોંચતા તેમણે કાઉન્સિલર ભાવેશ પટેલને ગુજરાત મ્યુનિસિપાલિટી ઍક્ટ 37(1) અંતર્ગત સસ્પેન્ડ કર્યા હતા.
હાઇકોર્ટનાં સિંગલ જજના ચુકાદાને ખંડપીઠમાં પડકારાયો
ભાવેશ પટેલ તે નિર્ણયની વિરુદ્ધ હાઇકોર્ટ પહોંચ્યા હતા. જ્યાં સિંગલ જજ નિર્ઝર દેસાઈએ લોક પ્રતિનિધિને બિનસંસદીય કે અભદ્ર ભાષાનો પ્રયોગ એ લોક પ્રતિનિધિ તરીકે કામ કરતા વ્યક્તિ માટે ગેરલાયક ઠેરવવાનું યોગ્ય અને વ્યાજબી કારણ હોવાનું ઠેરવ્યું હતું. ઊંઝા નગરપાલિકાના કાઉન્સિલર ભાવેશ પટેલને ગેરલાયક ઠેરવવાના નિર્ણયને હાઇકોર્ટ દ્વારા બહાલી આપવામાં આવી હતી. હવે અરજદાર દ્વારા લોક પ્રતિનિધિના વર્તનને લઈને હાઇકોર્ટના સિંગલ જજના ચુકાદાને ખંડપીઠમાં પડકારાયો છે. ખંડપીઠે અપીલને દાખલ કરી, પ્રથમદર્શી રીતે મનાઈ હુકમ આપવાનો કેસ નહિ હોવાનું માન્યું છે. હાઇકોર્ટે સિંગલ જજના હુકમ પર સ્ટે આપવા ઇનકાર કર્યો છે.

અરજદારે લોકોના જીવ જોખમમાં મુક્યા
હાઇકોર્ટે અગાઉ નોંધ્યું હતું કે, ઊંઝા નગરપાલિકાએ કોરોના મહામારી દરમિયાન પોલીસ સત્તાવાળાઓ અને દુકાનદારો સાથે મીટીંગ કરી અને દુકાનો એક અઠવાડિયું સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર આ નિર્ણયની અમલવારી અંગે કોઈ સ્વાર્થ વિના કામ કરી રહ્યા હતા. ત્યારે લોક પ્રતિનિધિ તરીકે આ નિર્ણયને સહકાર આપવાના બદલે અરજદારે સરકારી કર્મચારીના કામમાં બાધા ઊભી કરી હતી. આ ઉપરાંત અભદ્ર ભાષામાં વાતચીત કરી જેની વીડિયો ક્લિપ પણ ઉપલબ્ધ છે. માનવ જીવનની કિંમત ધંધા-રોજગાર કરતા વધુ હોવાનું જાણતા હોવા છતાં અરજદારે લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતનું વર્તન કર્યુ હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું. જે ગેરવર્તન છે. જનતા લોક પ્રતિનિધિના પગલે ચાલે છે. ત્યારે જન પ્રતિનિધિએ જનતાને સાચો માર્ગ દેખાડવા ની ફરજ હોવાનું પણ કોર્ટે અવલોકન કર્યું હતું.