અમદાવાદ22 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટમાં થરાદથી અપક્ષ તરીકે ગત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર ભગવતીબેન બ્રહ્મક્ષત્રિયએ ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની જીતને હાઈકોર્ટમાં પડકારી છે. અરજદારે શંકર ચૌધરી પર ઉમેદવારી ફોર્મ ભરતા સમયે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈનનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જેની સુનાવણી આગામી સમયમાં હાથ ધરાશે.
શંકર ચૌધરીએ ફેરફાર કર્યા હોવાનો આક્ષેપ
ઉમેદવારે ચૂંટણી લડતા પહેલા સોગંદનામુ કરવાનું રહે છે. જેમાં ઉમેદવારે તમામ માહિતીઓ રજૂ કરવાની હોય છે. તેમાં શંકર ચૌધરીએ ફેરફાર કર્યા હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. અરજદારે રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ-1951 હેઠળ અરજી કરી છે.
હાઈકોર્ટમાં આગામી દિવસોમાં વધુ સુનાવણી
ઉલ્લેખનીય છે કે, શંકર ચૌધરીએ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં તેમને થરાદના કોંગ્રેસના હરીફ ઉમેદવાર અને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને 26,506 મતોથી પરાયજ આપ્યો હતો. હાઈકોર્ટ દ્વારા તેની આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
જીતુ વાઘાણીની વિધાનસભા જીતને HCમાં પડકારાઈ
ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ, મંત્રી અને ચાલુ ધારાસભ્ય જીતુ વાઘાણીની જીત સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી. ચૂંટણીના એક દિવસ પહેલાં વહેંચાયેલી પત્રિકા સંદર્ભે આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીતુ વાઘાણીની જીતને પડકારી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે જીતુ વાઘાણી સહિત કુલ પાંચ લોકો સામે સમન્સ ઇસ્યુ કર્યા હતા. ચૂંટણી પહેલાં વહેંચાયેલી પત્રિકાનો ઉલ્લેખ કરાયો છે તેમજ જે તે સમયે આ વિવાદ સંદર્ભે પોલીસ ફરિયાદ થઈ હતી, તે સમયે જીતુ વાઘાણીનો ફરિયાદમાં ઉલ્લેખ થયો ન હતો.
જીતુ વાઘાણી સહિત કુલ પાંચ લોકો સામે સમન્સ
ગુજરાત હાઇકોર્ટે ભાજપના મોટા નેતા અને ચાલુ ધારાસભ્ય જીતુ વાઘાણી સામે સમન્સ ઇસ્યુ કર્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા અને ગત વિધાનસભામાં જીતુ વાઘાણી સામે ચૂંટણી લડનાર ઉમેદવાર રાજુ સોલંકીએ હાઇકોર્ટમાં જીતુ વાઘાણી સામે પ્રશ્નો ઊભો કર્યો હતા અને આ સમગ્ર મામલે ચૂંટણીની જીત કરતાં બીજા વિવાદના કારણે જીત થઈ હોય તેવું જણાવ્યું હતું. પિટિશનમાં જીતુ વાઘાણી સહિત કુલ પાંચ લોકો સામે સમન્સ ઇસ્યુ કરાયું હતા.
કોર્ટ આ મુદ્દે કેવું વલણ દાખવે છે તેની પર સૌની નજર
હાઇકોર્ટે ઇસ્યુ કરેલા સમન્સ બાદ હવે આગામી સમયમાં રાજકીય ગરમાવો આવી શકે તેવી સ્થિતિ સર્જાઇ હતી, તેની સાથે કોર્ટ આ મુદ્દે શું વલણ દાખવે છે અને જેમના વિરુદ્ધ સમન્સ જાહેર કરાયા હતા તેઓના જવાબ બાદ સુનાવણીમાં આ અંગે શું થશે તેની પર સૌ કોઈની મીટ મંડરાયેલી છે.