જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

જામનગર શહેરમાં ભીમવાસમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કર્યા બાદ યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે પહોચી બઘડાટી બોલાવી હતી. યુવતીના પિતા સહિતનાઓએ દરવાજો તોડી તોડફોડ કરી, યુવકના માતા-પિતાને માર મારી યુવક અને યુવતીને પતાવી દેવાની ધમકી આપી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોતાની પુત્રીએ કરેલા પ્રેમ લગ્ન પસંદ ન પડતા પરિવારે યુવકના ઘરે પહોચી બઘડાટી બોલાવી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.
જામનગરમાં ભીમવાસ શેરી નં.2માં રહેતા ચંદુભાઇ જેઠાભાઇ વાઘેલા અને તેમના પત્ની પોતાના ઘરે હતા. ત્યારે બાલુબેન મગનભાઇ ભાંભી તથા ચેતન મગનભાઇ ભાંભી તથા મહેશ પેથાભાઇ વાઘેલા નામના શખ્સો આવી પહોચ્યા હતા. ઘરનો દરવાજો બંધ હોવા છતાં આ શખ્શો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ વૃદ્ધ ચંદુભાઈ અને તેમના પત્નીને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોચાડી હતી. જતા જતા આ શખ્સોએ વૃદ્ધ તથા તેની પત્ની તથા પુત્ર તથા પુત્રવધુને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે વૃદ્ધએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદની વિગત મુજબ વૃદ્ધના પુત્ર રાજેશે આરોપીની પુત્રી સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે. જે પ્રેમ લગ્ન આરોપીઓને પસંદ ન હોવાથી આ બાબતનો ખાર રાખી ઘરે આવી તોડફોડ કરી બઘડાટી બોલાવી હોવાનો આરોપ લગાવ્યો હતો.