સુરેન્દ્રનગર41 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટડી તાલુકાના માલવણથી દસાડા વચ્ચેનો 35 કિ.મી.નો રાત-દિવસ ટ્રાફિકથી ધમધમતો હાઇવે હાલમાં બિસ્માર બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એમાય પાટડી જૂના બસસ્ટેન્ડથી વેલનાથનગર સુધી તો ઠેરઠેર મસમોટા ગાબડા પડી જતા અનેક વાહનો ફસાવાના બનાવો પણ સામે આવ્યાં છે.

રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ માટે બેચરાજીથી સુરેન્દ્રનગર હાઇવે પર ક્યાંય કોઇ જગ્યાએ ટોલટેક્ષ ન આવતો હોવાથી આ હાઇવે રાત-દિવસ 24 કલાક મોટા ટરબો ટ્રક સહિતના વાહનો સાથે કાયમ ટ્રાફિકથી ધમધમતો રહે છે. વધુમાં આ રોડ સ્ટેટ હાઇવેમાં આવતો હોવા છતાં આ રોડ પર મસમોટા ગાબડા સાથે આખો હાઇવે ચિંથરેહાલ બનતા આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ અંગે લાગતા વળગતા તંત્રને આ બિસ્માર હાઇવે અંગે અસંખ્ય વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન જ કરવામાં આવે છે. એમાય પાટડી જૂના બસસ્ટેન્ડથી વેલનાથનગર સુધી ડોક્ટર હાઉસ સામેં તો ઠેરઠેર મસમોટા ગાબડા પડી જતા અનેક વાહનો ફસાવાના બનાવો પણ સામે આવ્યા છે. અને એક મોટો ટરબો ટ્રક ફસાત તો ટ્રાફિકથી ધમધમતા આ હાઇવે પર કલાકો સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. આથી ચોમાસા પહેલા તંત્ર દ્વારા આ હાઇવેનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.
દસાડા-સુરેન્દ્રનગર વચ્ચેના 80 કિ.મી.ના રસ્તામાં જ 76 બમ્પ
સામાન્ય રીતે સ્ટેટ હાઇ વે પર એક પણ બમ્પ ન હોવાનો નિયમ છે. ત્યારે સુરેન્દ્રનગરના દૂધરેજથી દસાડા વચ્ચેનાં 80 કિ.મી.ના રસ્તામાં 76 જેટલા બમ્પ છે. વધુમાં આ લાઇનબધ્ધ બમ્પોને લીધે બિમાર અને ઘાયલ દર્દીઓને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરાયેલા દર્દીઓને લઇ જતી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનચાલકોની હાલત અત્યંત દયનીય બની જાય છે.