પંચમહાલ (ગોધરા)34 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના ઉમરપુર ગામે આવેલા ડેરીવાળા ફળિયામાં રહેતા પ્રફુલકુમાર જીતસિંહ બારિયાએ ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે ગત 15 તારીખે તેઓ પોતાની પત્ની સાથે કાર લઈને પોતાની સાસરી સાંપા ગામે આવ્યા હતા. જ્યાં રોકાયા બાદ સાંજના સમયે તેઓ પોતાની કાર લઈને બસ સ્ટેન્ડ તરફ નાસ્તો લેવા માટે ગયા હતા. પ્રફુલ બારીયા નામનો યુવાન નાસ્તો લઇને પરત ફરી રહ્યો હતો. તે વેળાએ ખજૂરી ચોકડી પાસે બે ઈસમો બાઈક લઈને વચ્ચે ઊભા હતા. જેને લઇને હોર્ન મારતા બંને ઈસમો રોડની સાઈડમાં ખસી ગયા હતા. બાદમાં ત્રણ ઈસમો બાઈક લઈને કારચાલક પ્રફુલ બારીયાનો પીછો કર્યો હતો અને કાર રોકાવીને કારમાંથી બહાર કાઢીને બે ઈસમોએ પ્રફુલ બારીયાને પકડી રાખ્યો હતો જ્યારે રાજેશ ગણપત બારીયા નામના ઈસમે લાકડી વડે પ્રફુલ બારિયાને માર માર્યો હતો. જે અરસામાં અન્ય બાઈક પર વધુ ત્રણ ઈસમો આવ્યા હતા, જેઓએ પણ પ્રફુલ બારીયાના બે મિત્રો પાછળ દોડીને મારવાનો પ્રયાસ કર્યો હતો. જે અરસામાં પ્રફુલ બારિયાના સસરા અને અન્ય વ્યક્તિઓ આવી જતા તમામ 6 ઈસમો નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં પ્રફુલ બારિયાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસે ગુનો નોંધીને અજાણ્યા ઇસમોની શોધખોળ હાથ ધરી છે.
ગોધરાના ગોન્દ્રા વિસ્તારમાં જૂની અદાવતને લઇને મારામારી
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલી સચ્ચિદાનંદ સોસાયટીમાં રહેતા આશિષકુમાર અનિલભાઈ સોલંકીએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગતરોજ તેઓ પોતાના કામકાજ અર્થે બામરોલી રોડ પર ગયા હતા, તે વેળાએ સાજીદ સમીર નામના ઇસમનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તું મારા પૈસા કેમ આપતો નથી તેમ જણાવીને અપશબ્દો બોલીને કહ્યું હતું કે ગોન્દ્રા સર્કલ પાસે આવી જા, તેમ જણાવ્યું હતું જેને લઇને આશિષભાઈ ગોન્દ્રા સર્કલ પાસે જતાં સાજીદ સમીર અપશબ્દો બોલવા લાગ્યો હતો, અને કહ્યું હતુ કે આજથી દોઢ વર્ષ પહેલાં હું તારી સાથે નોકરી કરતો હતો ત્યારના મારા પૈસા નીકળે છે, જે કેમ આપતો નથી, તેમ કહીને અન્ય એક ઈસમે આશિષભાઈને પકડ્યા હતા અને સાજીદ સમીરે આશિષભાઈને લાકડી વડે ગડદા પાટુંનો માર માર્યો હતો, અને આશિષભાઈના વાહન પર પણ લાકડીના ફટકા મારીને નુકશાન પહોંચાડ્યું હતું, તેમજ બંને ઈસમોએ આશિષભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરાના ઓરવાડા ગામ નજીક ઇકો કારના ચાલકે બાઈકસવાર બે વ્યક્તિઓને અડફેટે લીધા
હાલમાં પંચમહાલ જિલ્લામાં બેફામ ઇકો કાર હંકારતા કારચાલકોને કારણે અકસ્માતની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઇકોકારના ચાલકો યમદૂત બનીને કાર હંકારી રહ્યા છે, ત્યારે ઇકો કારના અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે, જેમા ગોધરા તાલુકા ઓરવાડા ગામે રહેતા કેશુભાઈ વણઝારા તેઓના મિત્ર કિશનભાઇ ભોદુભાઈ નાયકને બેસાડીને ગત ૧૬ તારીખે રાત્રીના સમયે કામકાજ અર્થે નંદાપૂરા જગતે ગયા હતા, જ્યાં કામકાજ પતાવીને પરત ફરી રહ્યા હતા, તે વેળાએ પાછળથી પૂરઝડપે ઇકો કાર લઈને આવેલા કારચાલકે બાઈક પર સવાર બંને વ્યક્તિઓને અડફેટે લીધા હતા, જેમાં બંને બાઈકસવાર રોડ પર ફંગોળાઈ જતાં શરીરના ભાગે નાનીમોટી ઇજાઓ પહોંચી હતી, અકસ્માત સર્જીને ઇકો કારનો ચાલક ફરાર થઇ ગયો હતો, સમગ્ર અકસ્માતની ઘટના અંગે ગોધરા તાલુકા પોલીસમથકે કારના નંબરના આધારે ફરિયાદ નોંધાવા પામી છે.
ગોધરા નજીક અકસ્માતમાં બાઈકચાલક શિક્ષકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગમન બારીયાના મુવાડા ગામે આવેલા ખાંટ ફળિયામાં રહેતા નરવતભાઈ સોમાભાઈ ખાંટ ગોધરા તાલુકાના ચંચોપા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગત 18 તારીખે તેઓ સવારના સમયે બાઈક લઇને ફરજ પર નીકળ્યા હતા, બાદમાં તેઓ પોતાની ફરજ પૂર્ણ કરીને હાલોલ ખાતે પોતાના અંગત કામે ગયા હતા, જ્યાંથી તેઓ પોતાની બાઈક લઈને ઘરે પરત આવવા માટે નીકળ્યા હતા, જે દરમ્યાન સાંજના સમયે ગોધરા નજીક આવેલી પરવડી ચોકડી પાસે અજાણ્યા વાહનચાલકે તેઓને અડફેટે લીધા હતા, જેના નરવતભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, ત્યારે સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેર A ડિવિઝન પોલીસમથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવા પામી છે.