- Gujarati News
- Local
- Gujarat
- What Did The High Court Order The Government In The Matter Of Loud Speakers In Mosques? Parikrama Residents Were Barely Spared In Narmada Parikrama In Uttarwahi.
39 મિનિટ પહેલા
- કૉપી લિંક
મસ્જિદો પર લાઉડ સ્પીકરનો વિવાદ
ગુજરાત હાઈકોર્ટેમાં ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડ સ્પીકર મુદ્દે અગાઉ એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ડોકટરના ક્લિનિકની પાસેની મસ્જિદમાં લાઉડ સ્પીકર દ્વારા દિવસમાં પાંચ વખત મોટેથી અઝાનનો અવાજ આવતો હતો. જેથી આ ધ્વનિ પ્રદૂષણ મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવી રજૂઆત ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી. અરજદાર દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પણ ટાંકવામાં આવ્યો હતો. જેમાં એ સ્પષ્ટ કરાયું હતું કે નમાઝ અને અઝાન તે મુસ્લિમ ધર્મમાં પ્રાર્થનાનો અભિન્ન અંગ છે. પરંતુ લાઉડ સ્પીકર અને માઈક્રોફોન તેનો અભિન્ન અંગ નથી. લોકોને ખલેલ પડે તે રીતે ધર્મ સ્વતંત્રતા અંતર્ગત તેનો ઉપયોગ કરી શકાય નહીં. જો કે અરજદાર ડોક્ટરને લઘુમતી સંપ્રદાયના લોકો તરફથી ધમકીઓ મળતાં તેઓ અરજીમાંથી હટી ગયા હતા. પરંતુ બજરંગદળના નેતા શક્તિસિંહ ઝાલા દ્વારા મૂળ અરજીમાં ફરિયાદી બનવાની અરજી આપવામાં આવી હતી. જેને કોર્ટે સ્વીકારી હતી. આ કેસ અત્યારે એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ અને બીરેન વૈષ્ણવની બેચમાં ચાલી રહ્યો છે. આજે આ કેસની સુનાવણી દરમિયાન વહેલી સવારે 4થી 5 વાગ્યે લાઉડ સ્પીકરો પર અઝાન વાગતી હોવાની અને લોકોની ઊંઘ ખરાબ થતી હોવાની રજૂઆત કરાઈ હતી. તે મુદ્દાના વીડિયો પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ મુદ્દે હાઈકોર્ટે એડવોકેટ જનરલને ટકોર કરી વિગતવાર સોગંદનામું રજૂ કરવા સરકારને આદેશ કર્યો છે. હાઇકોર્ટે સરકારને 19 જૂન સુધીમાં સોગંદનામું કરવા હુકમ કર્યો છે. મહત્ત્વનું છે કે અમદાવાદ શહેર અને રાજ્યમાં અનેક એવી મસ્જિદો આવેલી જેના પર લાઉડસ્પીકર સ્પીકર લાગેલા હોય છે અને તેના પર દિવસમાં તો ઠીક પરંતુ મધરાત્રે પણ મોટે મોટેથી અવાજ આવતા લોકોના પ્રાથમિક અધિકારોનું હનન થાય છે.
યુવરાજસિંહની તબિયત અચાનક લથડી
ડમી ઉમેદવાર કાંડ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આજે યુવરાજસિંહને ભાવનગર SOG સમક્ષ હાજર થવાનું સમન્સ હતું. યુવરાજસિંહ આજે 12 વાગ્યે પોલીસ સમક્ષ હાજર થવાના હતા. આ દરમિયાન તેમનાં ધર્મપત્નીએ યુવરાજસિંહને લઈ મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી છે. યુવરાજસિંહ જાડેજાના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી છે. SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરી લેખિતમાં સમય માંગ્યો. યુવરાજસિંહનાં ધર્મપત્ની બિંદિયાબાએ ટ્વિટ કરી જાણકારી આપી કે યુવરાજસિંહની તબિયત લથડી છે. આ સાથે ટ્વિટમાં પત્ર પણ લખવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આપ સાહેબ દ્વારા અમોને સી.આર.પી.સી. કલમ 160 મુજબના સમન્સ તા18/4/2023 ના રોજ મોકલાવેલ અને આજરોજ તા.19/04/2023 ના રોજ કલાક 12:00 વાગ્યે ભાવનગર એસ.ઓ.જી. પી.આઈ. સાહેબની કચેરી નવાપરા ડી.એસ.પી. કચેરી ખાતે ભરતનગર પોલીસ સ્ટેશનના ગુના નં.11198068230274/2023 ના ગુનાના કામે અમોનો જવાબ લેવા માટે થઈને સમન્સ આપવામાં આવેલ જે બાબતે અમો જણાવીએ છીએ કે, અમોને આજરોજ સવારે અચાનક તબીયત લથડતા ચક્કર આવી જતા હાલ તમો સાહેબ દ્વારા આપવામાં આવેલ સમય અને સ્થળે અમો આવી શકીએ તેવી શારીરિક પરિસ્થિતિ ન હોવાથી અમોને આપ સાહેબ સમક્ષ રજૂઆત તેમજ જવાબ દેવા સારુ દિવસ-10 નો સમય આપવા વિનંતી છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને વધારી ફ્રિક્વન્સી
અમદાવાદના નોકરિયાતો, વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સી વધારવામાં આવી છે. જે બાદ મેટ્રો ટ્રેન દર 12 મિનિટે મળી રહેશે. જેથી ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે. મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરાતા ટ્રિપની સંખ્યા પણ 35 ટકા વધી જશે. મહત્ત્વનું છે કે, અગાઉ પીક અવર્સ પર દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મળતી હતી. શહેરમાં વહેલી સવારે અનેક વિદ્યાર્થીઓ કોલેજ જતા હોય છે, જ્યારે નોકરિયાતો પણ સવારે નોકરીએ જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને સવલત રહે તે ધ્યાને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરાયો છે. અમદાવાદ મેટ્રો ફેઝ-1માં પૂર્વ અને પશ્ચિમ છેડામાં થલતેજથી વસ્ત્રાલ ગામ અને પૂર્વ તેમજ પશ્ચિમ છેડામાં મોટેરાથી વાસણા સુધી મેટ્રો રેલ ચાલે છે. અત્યારે સવારે 7થી રાતના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનની સેવાઓ મળી રહી છે. PM મોદીના હસ્તે ગત 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના બે દિવસ બાદ નાગરિકો માટે મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવી હતી. અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમમાં 17 સ્ટેશન અને ઉત્તરથી દક્ષિણમાં 15 સ્ટેશનો એમ બે કોરિડોર પર કુલ 40 કિમી ટ્રેન દોડતી થઈ ગઈ છે.

નવજાત બાળકની 10મા માળેથી પટકી હત્યા
અમદાવાદ શહેરમાં રુવાંડાં ઊભી કરી દે તેવી ઘટના બની છે. ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં હચમચાવી નાખે એવો બનાવ બન્યો છે. એપાર્ટમેન્ટના દસમા માળેથી નીચે ફેંકી નવજાત બાળકની હત્યા કરવામાં આવી છે. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોસાયટીના શંકાસ્પદ લોકોનો DNA ટેસ્ટ કરાવવામાં આવી શકે છે. જેથી ખ્યાલ આવે કે આ બાળક કોનું છે. ચાંદખેડાની સ્કાય વોક એપાર્ટમેન્ટના આ બનાવનો પોલીસ કંટ્રોલમાં મેસેજ મળતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા છે. હાલ પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે.

કોંગ્રેસના કાર્યકરોએ શિક્ષણ સમિતિની કચેરીમાં ગંગાજળ છાંટ્યું
છેલ્લા ઘણા સમયથી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકારણ અને ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં ચેરમેન સહિતના હોદ્દેદારોનાં રાજીનામાં પડ્યાં પછી રાજકારણનો પારો ગુજરાતમાં વધી રહેલી ગરમીના પારાની જેમ વધી રહ્યો છે. હાલમાં જ જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે આ હોદ્દેદારોની મિટિંગ થઈ અને ત્યાં જ રાજીનામાવાળો એંગલ પણ જોડાયો હતો ત્યારે આજે વધુ એક ગંગાજળના રાજકારણનો તડકો પણ લાગ્યો છે. ગુજરાતમાં વિપક્ષ ક્યાંય દેખાતું નથી તેવું માનનારાઓ માટે પણ આ ઘટના નોંધનીય બની છે. રાજકોટમાં ચેરમેન સહિત તમામ હોદ્દેદારોએ રાજીનામાં આપ્યાં હતાં, બે દિવસ પહેલાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને તમામ આગેવાનો મળ્યા હતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ હોદ્દેદારોએ સ્વૈચ્છિક રાજીનામાં આપ્યાં હતાં, જેમાં 1.અતુલ પંડિત ચેરમેન શિક્ષણ સમિતિ,રાજકોટ. 2.સંગીતાબેન છાયા વાઇસ ચેરમેન, શિક્ષણ સમિતિ રાજકોટ સહિતના કુલ 15 સભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં. ટપોટપ પડેલાં રાજીનામાઓથી સમિતિનું રાજકારણ તો ગરમાયું જ હતું. ત્યારે આ મામલાને લઈને જેને લઇ આજે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સ્વચ્છ કરવા રાજકોટ કોંગ્રેસના કાર્યકરો શિક્ષણ સમિતિની કચેરી પર ગંગાજળ લઈને પહોંચ્યા હતા. શિક્ષણ સમિતિને સ્વચ્છ કરી ગંગાજળ છાટવામાં આવ્યું હતું, પરંતુ વર્તમાન સમયમાં વિરોધ કરતા પહેલાં જ પોલીસ જે તે કાર્યકરોની અટકયાત કરતી હોય છે, બસ એવી જ રીતે રાજકોટ કોંગ્રેસના કાર્યકરોની રાજકોટ પોલીસ દ્વારા અટકાયકત કરવામાં આવી હતી.

NDRFની ટીમે તરત બચાવ કામગીરી હાથ ધરી
ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા કરવા માટે દૂર દૂરથી ભાવી ભક્તો પહેલાં દિવસથી જ ઊમટી પડ્યા હતા અને પરિક્રમા કરતા જોવા મળ્યા હતા. વેદો અને પુરાણોમાં પણ પંચકોશી નર્મદાની પરિક્રમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પરિક્રમા કરવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, એમ.પી, યુપી સહિત દેશના ખૂણે ખૂણેથી લોકો પરિક્રમા કરવા માટે આવતા હોય છે અને મા નર્મદાની પરિક્રમા કરીને અનેરી ભક્તિમાં લીન થતાં હોય છે. ત્યારે ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની નાવડી ડૂબવાની ઘટના સામે આવી છે. ઉત્તરવાહિની પરિક્રમાની પૂર્ણાહુતિને હવે ફક્ત બે જ દિવસ બાકી છે. ત્યારે એન્જિન વગરની એક સાદી નાવડીમાં 6 પ્રવાસીઓ નર્મદા નદી પાર કરી રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના ઘટી અને નાવડી એકાએક પલટી ગઈ. નાવડીમાં 4 મહિલાઓ અને 2 પુરુષો બેઠાં હતાં. ત્યારે તમામ લોકોને ડૂબતા જોઈ NDRFની ટીમે તરત બચાવ કામગીરી હાથ ધરી હતી. NDRFની ટીમે તમામને બચાવી લીધા છે. ત્યારે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે આ વર્ષે ચૈત્ર મહિનો ચાલતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા 20 લાખથી વધુ લોકો આવી ચૂક્યા છે.

રાજકોટ-જામનગર હાઈવે રક્તરંજિત
રાજકોટ-જામનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં ચાર વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે. અહીં સુધી કે કારનો તો સાવ કચ્ચરઘાણ વળી ગયો હતો. એક પડીકામાં ફેરવાઈ ગઈ હોય તેવી કારની હાલત થઈ હતી. જામનગર હાઈવે પર પડઘરી પાસે આ અકસ્માત થયો હતો. જેમાં એક કાર અને એક ટ્રેક્ટર ભટકાયાં હતાં. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર હાઈવે પર પડઘરી નજીક એક ટ્રેક્ટર અને કાર સામ સામે આવી રહ્યાં હતાં. દરમિયાન બંને વચ્ચે અકસ્માત થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટનામાં ચાર વ્યક્તિનાં મોત થયાં છે. આ ચારેયમાંથી ત્રણ મૃતકો રાજકોટના હોવાનું કહેવાય છે. હાઈવે પર ભટકાયેલા કાર અને ટ્રેક્ટરનો અકસ્માત જોઈ ભલભલાએ શરીરમાં સુસવાટો અનુભવ્યો હતો. ક્ષણભરમાં અહીં મોતનો તાંડવ થયો હતો. અકસ્માત થતા આસપાસના લોકો પણ ટોળે વળગ્યા હતા. આ ગોઝારા અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
