છોટા ઉદેપુર15 મિનિટ પહેલા
- કૉપી લિંક

છોટા ઉદેપુર જિલ્લામાં આજે તા. 25મી, એપ્રિલના રોજ આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મલેરિયા અને ડેન્ગ્યુ જેવા જોખમી રોગો સામે લોકોમાં જાગૃતિ આવે તથા મલેરિયા અને ડેન્ગ્યુને નિયંત્રિત કરી શકાય એ માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, છોટા ઉદેપુર દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી મચ્છરોની ઉત્પતિ અટકાવવા, પુખ્ત મચ્છરોનો નાશ કરવાનું કામ મુશ્કેલ હોવાથી પોરા પેદા થતા અટકાવવા અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઘરમાં કે ઘરની આજુબાજુ કોઇપણ જગ્યાએ પાણી ભરાઇ ન રહે, બિન ઉપયોગી પાત્રમાં પાણી ભરાયેલું હોય તો તેનો નિકાલ કરવા અંગે પણ વિગતે સમજ આપવામાં આવી હતી.

છોટા ઉદેપુર જિલ્લામાં વધુમાં વધુ લોકજાગૃતિ આવે એ માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં તેમજ અર્બન વિસ્તારમાં મેલેરિયા રોગના અટકાયત માટે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. તેમજ શાળાઓમાં વાર્તાલાપ અને મેલેરિયા સંબંધી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
મહત્વની વાત એ છે કે છોટા ઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જાન્યુઆરી-2023થી માર્ચ-2023 દરમિયાન છોટા ઉદેપુર જિલ્લામાં મેલેરિયાની ચકાસણી માટે 70,213 વ્યક્તિઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૩ કેસ વાઇવેકસ પ્રકારના અને 1 કેસ ફાલ્સીપેરમ મેલેરિયાનો મળી આવ્યા હોવાનું જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી જણાવાયું છે.