વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
મૃતકની પત્નીના સીમંત સમયની તસવીર.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા જવાહર ફળિયામાં રહેતા યુવાનનો કારેલીબાગ વિસ્તારમાં સ્કૂટર સાથેના અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ યુવાનની અને તેની પત્નીની તસવીરો સામે આવી છે. આ ઉપરાંત તેના નવજાત બાળકને જોઈને પરિવાર આઘાતમાં છે. લગ્નથી લઈને પત્નીના સીમંત અને નવજાત બાળકના જન્મની તસવીરો જોઈ પરિવારના આંસુ સુકાતા નથી.
દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા
વડોદરાના સમા વિસ્તારમાં રહેતા નિલેશના લગ્ન દોઢ વર્ષ પહેલાં વારસિયા વિસ્તારમાં રહેતી પૂજા સાથે થયા હતા. તેમના લગ્ન દરમિયાન પૂજાએ એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકની ઉંમર તો હજી માત્ર એક મહિનાની જ છે. પરિવારમાં બાળકને જન્મને કારણે પરિવાર ખૂબ જ ખુશ હતો. નિલેશ વારંવાર પત્ની અને પુત્રને મળવા માટે સાસરીમાં જતો હતો.
ધામધૂમથી સીમંતનો પ્રસંગ કર્યો હતો
નિલેશ તેમના પરિવારમાં એકનો એક પુત્ર હતો. જેથી પૂજા ગર્ભવતી થતા પરિવારે ધામધૂમતી સીમંતના પ્રસંગનું આયોજન કર્યું હતું. જેમાં પરિવારના સભ્યો અને સગા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સીમંત બાદ પૂજાએ બાળકને જન્મ આપ્યો, પરંતુ જાણે વિધીને કંઈક બીજું જ મંજુર હતું, એમ બાળક માત્ર એક માસનો થયો કે પિતાની છત્રછાયા ગુમાવી દીધી.
પુત્રને જોવા નીકળ્યો પણ વચ્ચે જ જીવ ગુમાવ્યો
પરિવારજનો જણાવ્યા પ્રમાણે બાળકના જન્મ બાદ નિલેશ ખૂબ ખૂશ હતો. ગતરાત્રે પોતાના દીકરાને મળવા માટે નીકળ્યો અને તે પહેલા ખૂબ ખુશ દેખાતો હતો, પરંતુ બાળકને મળવા માટે પોતાના સાસરિયામાં પહોંચે તે પહેલા જ રસ્તામાં અકસ્માત થતા નિલેશે જીવ ગુમાવી દીધો.
નિલેશ પરિવારમાં એકનો એક પુત્ર હતો
અહીં ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં દીપીકા ગાર્ડન પાસે ખાનગી સ્કૂલના સફાઈ કામદારને સ્કૂટર ચાલકે (GJ-06-JN-3813) ટક્કર મારતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. યુવક સમા ખાતેના આવેલા પોતાના ઘેરથી વારસિયા ખાતે સાસરીમાં પત્ની અને પુત્રની ખબર લેવા જઇ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઈજા પહોંચતા યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. મોતના સમાચાર મળતા પરિવારની માથે આભ ફાટી પડ્યું હતું. કારણ કે, નિલેશ પરિવારમાં એકનો એક જ પુત્ર હતો. આ સાથે પરિવારે જ્યાં સુધી પોલીસ આરોપીની ધરપકડ નહીં કરે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી હતી.
પોલીસે ફરાર આપોરીની શોધખોણ હાથ ધરી
આ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, અકસ્માત કરીને ફરાર થઈ જનાર વાહન ચાલકની ઓળખ થઈ ગઈ છે. અમે તેની શોધખોળ કરી રહ્યા છીએ.