અમદાવાદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
આવતીકાલે ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થવાનું છે.દર વર્ષે પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંયુક્ત રીતે પાલડી ખાતેના સંસ્કાર કેન્દ્ર પર કાર્યક્રમ યોજવામાં આવે છે.પરંતુ આ વર્ષે કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરીને આપેલા પંડિત દિન દયાલ હોલ ખાતે સન્માન કાર્યક્રમ યોજવામાં આવશે જેના કારણે પૂર્વ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને પશ્ચિમના છેડા સુધી લાંબુ થવું પડશે.
ધોરણ 10 માં અમદાવાદમાં A1ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓનું દર વર્ષે સન્માન કરવામાં આવે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જિલ્લાશિક્ષણાધિકારી કચેરી ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજવામાં આવે છે.જેમાં શહેરના મેયર દ્વારા શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે.દર વર્ષે આ કાર્યક્રમ પાલડી ખાતેના સંસ્કાર કેન્દ્ર પર યોજાય છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેતા હોય છે. આ વર્ષે અચાનક જ કોઈ કારણસર કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.થોડા દિવસ અગાઉ જ્યારે ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું ત્યારે પણ આ પ્રકારનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓને કાર્યક્રમ શરૂ થયાના પહેલા અથવા તો કેટલાક વિદ્યાર્થીઓને કાર્યક્રમ શરૂ થયા બાદ જાણ કરવામાં આવી હતી.જેથી 20 થી 25 જેટલા જ વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં સમયસર પહોંચી શક્યા હતા. ત્યારબાદ પદાધિકારીઓ અને અધિકારીઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને મોડા મેસેજ મળતા વિદ્યાર્થીઓ મોડા આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓનું સન્માન થઈ શક્યું ન હતું.
ગુજરાત બોર્ડમાં ધોરણ 10માં ભણનારા વિદ્યાર્થીઓની મોટી સંખ્યા શહેરના પૂર્વ વિસ્તારમાં છે.આવતીકાલે જ્યારે આ કાર્યક્રમ પંડિત દિન દયાળહોલ ખાતે યોજાશે ત્યારે પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના ઘરેથી 15 થી 20 કિલોમીટર જેટલું લાંબુ થવું પડશે.જે પ્રમાણે 12 સાયન્સના સન્માનના કાર્યક્રમમાં સંકલનનો અભાવના કારણે વિદ્યાર્થીઓ આવી શક્યા નહોતા, તે જ પ્રમાણે આવતીકાલે સ્થળ દૂર હોવાના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે.આ અંગે દિવ્યભાસ્કરે DEO રોહિત ચૌધરીનો સંપર્ક કર્યો ત્યારે સંપર્ક થઈ શક્યો નહતો.