Tuesday, May 16, 2023

ચેરમેન પદ માટે કિશોર રાઠોડ, વિક્રમ પુજારા મોખરે, બહુમતીથી ભાજપના જ 12 સભ્યો ચૂંટાશે | Kishore Rathore, Vikram Pujara in the forefront for the post of chairman, 12 members of BJP will be elected by majority. | Times Of Ahmedabad

રાજકોટ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહીત તમામ સભ્યો સાથે આખે આખી બોડીનું શાસક પક્ષ ભાજપે વિસર્જન કરી નાંખ્યા બાદ ઘેરા પડઘા અને નવા રાજકીય સંજોગો વચ્ચે અંતે 12 સભ્યોની ચૂંટણી માટેનું જાહેરનામુ આજે મેયર અને ચૂંટણી અધિકારી ડો.પ્રદીપ ડવે બહાર પાડયું છે. જેમાં ચેરમેન પદ માટે કિશોર રાઠોડ, વિક્રમ પુજારા મોખરે છે અને આદિવાસી ચહેરા તરીકે પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડિયાએ પણ પ્રદેશ સમક્ષ લોબિંગ સાથે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે.

રાજકોટ મનપા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ આજથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ છે ત્યારે આગામી તા.1 જૂનને ગુરૂવારે ફોર્મ સ્વીકારવાનો છેલ્લો દિવસ છે અને આ દિવસે જ ભાજપની 68 કોર્પોરેટરોની બહુમતી વચ્ચે સમિતિનું ચિત્ર સ્પષ્ટ થઇ જાય તેવું લાગી રહ્યું છે.

મનપામાં ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટર ચૂંટાયા બાદ વિપક્ષમાંથી આપમાં ગયેલા બે કોર્પોરેટરને ગેરલાયક ઠેરવી દેવાયા છે. આથી માત્ર બે કોર્પોરેટર ધરાવતા કોંગ્રેસ તરફથી કોઇ ઉમેદવારી કરે તેવી શકયતા ઓછી છે. કોઇ ઉમેદવાર ફોર્મ રજૂ કરે તો પણ મોટી બહુમતીથી ભાજપના જ 12 સભ્યો ચૂંટાશે તે નિશ્ચીત છે. ચાલુ ટર્મમાં બે વર્ષ પૂરા થાય તે પૂર્વે જ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના તમામ સભ્યોના અનેક વિવાદો વચ્ચે પાર્ટીએ રાજીનામા માંગી લીધા હતા. સ્થાનિકથી માંડી પ્રદેશ કક્ષા સુધી પડઘા પડયા હતા. અને હવે આજે ચૂંટણી માટેનું જાહેરનામુ અને કાર્યક્રમ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

આજે તા. 16 મેં ના રોજ ચૂંટણી નોટીસ પ્રસિધ્ધ થયાથી ફોર્મ ઉપાડી શકાશે. આ ઉમેદવારીપત્રો તા.1 જૂનના ગુરૂવારે સવારે 11 થી બપોરે 2 કલાક સુધી મેયર સ્વીકારશે. આ ઉમેદવારીપત્રોની ચકાસણી તા.9 જૂનના શુક્રવારે સવારે 11 થી 2 કલાક સુધી કરવામાં આવશે. જરૂર પડે તો તા.19 જૂન ને સોમવારના રોજ મતદાન અને આ જ દિવસે મત ગણતરી રાખવામાં આવશે.

જાહેરનામા મુજબ કુલ 12 સભ્યો પૈકી એક બેઠક અનુસૂચિત જાતી અને જનજાતિ માટે અનામત છે. ત્રણ બેઠક પર મેટ્રીક અથવા તેનાથી ઉપરની પરીક્ષા પાસ કરી હોય તેવા સભ્યો મુકવામાં આવશે. અન્ય આઠ બેઠક પ્રાથમિક અથવા તેને સમકક્ષ ઉચ્ચ શિક્ષણ પરીક્ષા પાસ કરી હોય તે સભ્યો માટે હોય છે. ઉમેદવારીપત્રો રજા સિવાય સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી મેયર ચેમ્બરમાંથી મળી શકશે.

જો કે પ્રદેશ ભાજપ દ્વારા ઉપરથી જે નામો ફાઇનલ થાય તે 12 સભ્યોના ફોર્મ રજૂ કરવામાં આવશે. અને ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવશે ત્યારે 12થી વધુ ફોર્મ નહીં ભરાય તે નિશ્ચીત છે.

ઉલ્લેખનીય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન યપદ માટે ભાજપના મહામંત્રી કિશોર રાઠોડ, વિક્રમ પુજારાનું નામ આગળ છે જયારે આદિવાસી સમાજના આગેવાનોનું લોબિંગ કરાવી પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડિયાએ પણ ચેરમેન પદ માટે પોતાની ઈચ્છા પ્રદેશના નેતાઓ સુધી વ્યક્ત કરી છે.

Related Posts: