પંચમહાલ (ગોધરા)37 મિનિટ પહેલા
- કૉપી લિંક

બસચાલકે કારને ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું હતું
ગોધરા શહેરના વ્હોરા ગ્રાઉન્ડ પાસે રહેતાં મોહમ્મદ અલ્માસ તૈયબ રશિદભાઈએ કાંકનપુર પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ગત ૧૩ તારીખે સવારના સમયે તેઓ પોતાની ઈકો કાર લઈને કરસાણા નવીનગરી જાહેર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ સામેથી પૂરઝડપે આવતા એક ખાનગી બસચાલકે તેઓની ઈકો કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ઈકો કારના આગળના ભાગે મોટું નુકશાન થયું હતું. ત્યારે કાંકણપુર પોલીસે ૮૦ હજારના નુકશાનીનો આંકડા સાથે ફરિયાદ નોંધી છે.
બેભાન હાલતમાં મળી આવેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના ગદુકપુર ગામે આવેલા કનાચારી ફળિયામાં રહેતા વિનોદભાઈ કાળુભાઈ બામણીયાએ ગોધરા તાલુકા પોલીસમથકે અકસ્માતે મોત અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત 13 તારીખે સાંજના સમયે તેઓના મોટાભાઈ રાકેશભાઈ કાળુભાઈ બામણીયા પોતાના ઘર પાછળથી અગમ્ય કારણોસર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેને લઈને પરિવારજનો દ્વારા રાકેશભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખાતે આવેલી એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન 26વર્ષીય યુવાન રાકેશ બામણીયાનું મૃત્યુ નિપજ્યું હતું.

ઓનલાઈન ટ્રાન્સફર કરાવી 1.30 લાખની છેતરપિંડી
ગોધરા તાલુકાના અંબાલી ગામે આવેલા ઠાકોર ફળિયામાં રહેતા ધિરેન્દ્રસિંહ રંગીતસિંહ સિસોદિયા નામના વ્યક્તિની ગોધરા શહેરમાં પેસ્ટ્રી કિંગ નામની બેકરીની દુકાન આવેલી છે. જેમાં તેઓને ઓવન મશીનની જરૂરિયાત હોવાથી તેઓએ ઓવનની ખરીદી કરવા માટે ઈન્ડિયા માર્ટ નામની વેબસાઈટ પર MCOOL નામની કંપનીમાં ઈન્કવાયરી મૂકી હતી. જે ઈન્કવાયરીની માહિતી ધનંજય જયંતીલાલ પંચાલ નામના ઈસમે મેળવીને ધીરેન્દ્રસિંહ સિસોદિયા સાથે મોબાઈલ ફોન પર વાત કરીને વિશ્વાસમાં લીધા હતા.જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઓવન હાલમાં કંપનીમાં હાજર સ્ટોકમાં ઉપલબ્ધ છે. તમારે અમદાવાદ આવવાની જરૂર નથી,તમે પેમેન્ટ કરી દો,હું ત્રણ દિવસમાં તમને ઓવનની ડિલિવરી આપી દઈશ. જેને લઈને ધિરેન્દ્રસિંહ સિસોદિયાએ ગત એપ્રિલ માસની 10 તારીખથી લઈને 13 તારીખ દરમિયાન અલગ અલગ દિવસે કુલ રૂ 1.30 લાખ યુપીઆઈ એપ્સ દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ અમદાવાદના ગઠીયાએ આજદિન સુધી ઓવનની ડિલિવરી ન આપીને ધિરેન્દ્રસિંહ સાથે છેતરપિંડી આચરી છે. ત્યારે સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
71 હજારની ઓનલાઈન છેતરપિંડી આચરી
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના રાંટા પ્લોટ વિસ્તારમાં રહેતા દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા શોએબ ઈસ્હાક હાજીયાએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત ફેબ્રુઆરી માસની 24 તારીખે સવારના સમયે તેઓના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં અજાણ્યા ઈસમે જણાવ્યું હતું કે હું HDFC બેન્કમાંથી બોલું છું.અને HDFC બેન્કના ક્રેડિટ કાર્ડના વેરીફીકેશન માટે કોલ કર્યો છે,તેમ જણાવી શોએબ હાજીયાને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ અજાણ્યા ઈસમે શોએબ હાજિયાના આઈસીઆઈસીઆઈ બેન્ક તેમજ બેન્ક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડના નંબર તેમજ OTP મેળવીને કુલ રૂ. 71 હજારની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. સમગ્ર ઘટનાને લઈને આજરોજ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણ ઈસમો દ્વારા દંપત્તિ પર હુમલો
ગોધરા તાલુકાના નસીરપુર ગામે આવેલા બારીયા ફળિયામાં રહેતા દિલીપભાઈ વીરસિંહભાઈ બારીયાએ ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત ૧૪ તારીખે સાંજના સમયે તેઓના ભાઈ અશોક વીરસિંહભાઈ બારીયા,અક્ષય અશોકભાઈ બારીયા અને અર્પિત અશોકભાઈ બારીયા તેઓના ઘરે આવ્યા હતા.અને અપશબ્દો બોલીને જણાવ્યું હતું કે અમારા ખેતરમાંથી પાણીની પાઈપ લઈને તમારા શાકભાજી વાળા ખેતરમાં પાણીની પાઈપ મૂકીને પાણી કેમ મૂક્યું છે. જેને લઈને દિલીપભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં અશોકભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. અને લાકડી વડે મારવા જતાં લાકડી દિલીપભાઈની પત્નીને માથાના ભાગે વાગતા તેઓના પત્ની નીચે પડી ગયા હતા. જ્યારે ત્રણેય ઈસમોએ દિલીપભાઈએ ગડદા પાટુનો માર માર્યો હતો. બીજી તરફ આસપાસના રહીશો આવી જતાં ત્રણેય ઈસમો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટયા હતા. ત્યારે સમગ્ર બનાવને લઈને પોલીસે ત્રણ ઈસમો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.