સુરત2 કલાક પહેલા
- કૉપી લિંક
વરાછામાં કારીગરે કારખાના માંથી હીરાની ચોરી કરી હતી
સુરતના વરાછા સવાણી રોડ પર આવેલા હીરાના ખાતામાં 3 મહિના અગાઉ જ નોકરી પર જોડાયેલો કારીગર 15.06 લાખના હીરાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ મામલે હીરા કારખાનાના માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારીગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ મહિના અગાઉ નોકરી પર લાગ્યો હતો
મૂળ ભાવનગરના વતની અને હાલમાં સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા નરસિહભાઈ જાસોલીયા વરાછા સવાણી રોડ પાસે આવેલા હીરા પન્ના કોમ્પ્લેક્સમાં અસિત જેમ્સ નામથી ભાગીદારીમાં હીરા મેન્યુફેક્ચરિંગનું કામ કાજ કરે છે. તેઓના ખાતામાં 9 કારીગરો કામ કરે છે. દરમિયાન ત્રણ મહિના અગાઉ વરાછા મારુતિચોક પાસે રહેતો રાજુ લક્ષ્મણભાઈ ભીલાવડા નોકરી પર લાગ્યો હતો અને તે છેલ્લા ત્રણ મહિનાથી સરીન મશીનમાં કામકાજ કરતો હતો. ખાતાની ચાવી પણ તેની પાસે રહેતી હતી. ગત 16 એપ્રિલના રોજ નરસિંહભાઈએ 15.06 લાખના રફ હીરા ઓફિસમાં ટેબલના ખાનામાં મુક્યા હતા.
કારીગર હીરા ચોરી કરતો નજરે ચઢ્યો
ત્યારબાદ પાંચ દિવસ નરસિંહભાઈ હોસ્પિટલના કામમાં વ્યસ્ત રહ્યા હતા. ગત પાંચ મેના રોજ તેમણે ટેબલનું ખાનું ખોલ્યું તો તેમાં હીરા નહોતા. આથી તેમણે કારખાનાના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો ગત 18 એપ્રિલની રાત્રે 9.15થી 9.45 દરમિયાન કારીગર રાજુ ખાતાની ચાવીથી કારખાનું ખોલી ઓફિસના ટેબલમાંથી હીરા ચોરી કરતો નજરે ચઢ્યો હતો. કારીગર કારખાનામાંથી 15.06 લાખના હીરાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે તેઓએ વરાછા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
ચોરી કરનાર કારીગરને ઝડપી પાડ્યો
આ ગુનામાં તપાસ કરી રહેલી વરાછા પોલીસની ટીમે ખાતામાં ચોરી કરનાર કારીગરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરી કરેલા હીરા પૈકી પોણા આઠ લાખના હીરા રીકવર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત તેને કોર્ટમાં રજુ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.