સુરેન્દ્રનગર19 મિનિટ પહેલા
- કૉપી લિંક
આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ જાગરૂકતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,સુરેન્દ્રનગરનાં સંયુક્ત આયોજનથી જિલ્લા ન્યાયાલય ખાતે સવારે 7થી 8 કલાક સુધી યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગરનાં ચેરમેન પી.એસ.ગઢવી, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ બી.કે.બારોટ, સુરેન્દ્રનગરનાં ન્યાયાધીશો, બાર એસોસિએશનનાં પ્રમુખ જી.ડી.ઝાલા, કોર્ટનાં અધિકારીઓ-કર્મચારીઓ સહિતનાં વકીલો મોટી સંખ્યામા જોડાયા હતા.
યોગ શિબિરમાં ચેરમેન પી.એસ.ગઢવીએ વર્તમાન સમયમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ અને પ્રાણાયામનાં મહત્વ વિશે વિસ્તૃત વાત કરતા યોગને જીવનશૈલીનો ભાગ બનાવી તેનો નિયમિત અભ્યાસ કરવા માટે સૌને અનુરોધ કર્યો હતો. આ સમગ્ર શિબિરનું સંચાલન જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર નીતા દેસાઈએ કર્યું હતુ. શિબિરમાં યોગ કોચ સર્વે ઘનશ્યામભાઈ ચાવડા, અંજનાબેન કવા, ઇલાબેન કવા અને યોગ ટ્રેનર જયરાજસિંહ મોરી દ્વારા વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા હતા.
જેમા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગરનાં સેક્રેટરી ડી.ડી.શાહ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી તા. 16/5/2023નાં રોજ સુરેન્દ્રનગર જિલ્લાની યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાશે. આ ઉપરાંત સવારે 6થી 8 સુધી એમ.પી શાહ કૉલેજથી ટાવર સુધી ‘યોગ પદયાત્રા’ યોજાશે.