અમદાવાદ6 કલાક પહેલા
- કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના મંત્રીઓ તથા વરિષ્ઠ સચિવ, વહીવટી, સનદી અધિકારીઓની ત્રિદિવસીય ચિંતન શિબિર આગામી તા.19 થી 21 મે દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાશે. જેમાં 5 વિષયો પર જૂથ ચર્ચા થશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આગામી ચિંતન શિબિરના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
230 જેટલા લોકો ઉપસ્થિત રહેશે
રાજ્યમંત્રી મંડળના મંત્રી=ઓ, મુખ્ય સચિવ તેમ જ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ., મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને 230 જેટલા લોકો આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં જોડાશે.
યોગ અભ્યાસથી સત્રનો પ્રારંભ થશે
આ 10મી ચિંતન શિબિરમાં પાંચ મુખ્ય વિષયવસ્તુ સાથેના ચર્ચાસત્રો-ગ્રુપ ડિસ્કશન્સ યોજાશે. તેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમ જ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતાનિર્માણને આવરી લેવાશે. શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓના પ્રત્યેક ગ્રુપમાં 45 એમ પાંચ ગ્રુપમાં ચર્ચાસત્રોમાં જોડાશે અને પોતાના નિષ્કર્ષ-ભલામણો પ્રસ્તુત કરશે. એટલું જ નહીં, વિવિધ વિષયોના તજજ્ઞો આ સત્રોમાં પ્રેરક માર્ગદર્શન આપશે.
વ્યવસ્થાઓ અંગે પણ બેઠક
આ ત્રિ-દિવસીય ચિંતન-શિબિર દરમિયાન શિબિરાર્થીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ આકર્ષણો અને સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસેલિટીઝની મુલાકાત, લાઈટ એન્ડ સાઉન્ડ શો નિદર્શન તેમ જ નર્મદા આરતીમાં સહભાગીતાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા આ ચિંતન શિબિરના સમગ્ર આયોજનના સુચારુ સંચાલન માટેની વ્યવસ્થાઓ અંગે પણ બેઠકમાં ચર્ચા-પરામર્શ હાથ ધરવામાં આવ્યા હતા.