અમદાવાદ3 કલાક પહેલા
- કૉપી લિંક

કેન્દ્ર સરકારની વનધન વિકાસ યોજના પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, યોજના હેઠળ ગુજરાતના 34,800 આદિવાસીને માત્ર 6.80 રૂપિયા પ્રતિ દિવસ મળે છે. આ યોજનામાં ફાળાના નામે ગુજરાતના ગરીબ આદિવાસી પાસેથી 3 કરોડ 48 લાખ ખેરવી લીધા. પ્રત્યેક આદિવાસી જોડેથી ફાળામાં નામે 1 હજાર રુપિયા ઉઘરાવ્યા છે. 86 ગૌણ જંગલ પેદાશોનું ટ્રાયફેડ દ્વારા કરાય ખરીદી કરીને મલ્ટીનેશનલ કંપનીને વેચાય છે.
આદિવાસીઓ જોડે થતાં અન્યાયના વિરુદ્ધમાં સરકારની નિંદા કરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કેન્દ્ર સરકારની વનધન વિકાસ યોજનામાં આદિવાસીઓ જોડે થતાં અન્યાયના વિરુદ્ધમાં સરકારની નિંદા કરી. વનધન યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં 116 ક્લસ્ટર, 34,800 જેટલા આદિવાસીઓ જોડાયેલા છે. આદિવાસી ભાઈઓ બહેનો જંગલમાંથી મધ,મહુડાના ફૂલો, આમલી, ગુંદર, ચિરોંજી, ગૂગળ જેવી જંગલ પેદાશોને ભેગી કરી ટ્રાઈફેડને વેચે છે. ટ્રાઈફેડ ગૌણ જંગલ પેદાશને મલ્ટીનેશનલ કંપનીને વેચે છે. મલ્ટીનેશનલ કંપની જંગલ પેદાશનું બ્રાન્ડિંગ કરી મોટી રકમ રળે છે. જ્યારે ગુજરાતના ગરીબ આદિવાસીને નજીવી કિંમત ચૂકવાય છે. રાજ્યસભાના આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યના આદિવાસીઓ પાસેથી 874.45 લાખની જંગલ પેદાશ ખરીદવામાં આવી. જેને દરેક આદિવાસીમાં વહેંચવામાં આવે તો પ્રત્યેક આદિવાસીને વાર્ષિક 2,512 મળે છે, જે પ્રતિ દિવસ માત્ર 6.80 રૂપિયા થાય છે.
કરોડો રૂપિયા જાય છે ક્યાં?
આ યોજના હેઠળ સરકાર 17.40 કરોડ રૂપિયા ફાળવે છે તો આ કરોડો રૂપિયા જાય છે ક્યાં? આદિવાસી ભાઈઓ અને બહેનોના શુભચિંતક બનવાની વાત કરતી સરકારે ગરીબ આદિવાસીઓ પાસેથી આ યોજનાના ફાળાના નામે 3.48 કરોડ ખેરવી લીધા છે. પ્રત્યેક ગરીબ આદિવાસી દીઠ 1 હજાર રૂપિયા વનધન વિકાસ યોજનામાં ભાગીદારીના નામે ઉઘરાવ્યા. ગરીબ આદિવાસીઓ ભાઈઓ બહેનો પેટે પાટા બાંધીને ગુજરાન ચલાવતા હોય ત્યાં ગરીબ આદિવાસીઓ જોડે હજાર રૂપિયા કેટલું યોગ્ય? વનધન વિકાસ યોજનામાં વિકાસ કોનો થાય છે અને ધન કોને મળે છે? સરકારની ગ્રાન્ટ 17.40 કરોડને સીધા આદિવાસીઓના ખાતામાં નાખી દે ને તોય તે રકમ 5 હજાર થાય છે, તો આ યોજનામાં કરોડોનું ધન ક્યાં જાય છે? શું આ કરોડોના ખર્ચે , ગરીબ આદિવાસીને લાભ થાય છે ખરો? ગરીબ આદિવાસીઓની મેહનતએ મલ્ટીનેશનલ કંપનીઓ મોટો નફો અને ફાયદો કરી રહી છે. સરકાર આ યોજના હેઠળ આદિવાસીઓને ફાયદો અપાવે છે કે ખાનગી કંપનીઓને તે સવાલ ઊભો થાય છે.