અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
સરકારી વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય તે માટે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને લંચિયા કર્મીઓને પકડી લેવા અને ભ્રષ્ટાચારથી વસાવેલી મિલકતો શોધી કાઢવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા જુદા જુદા વિભાગના લાંચ લેતા પકડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની યાદી તૈયાર કરી છે અને તેમની ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સરકારના અલગ અલગ 35 અધિકારીઓ અને કર્મચારીઓએ આવકના પ્રમાણમાં વધુ મિલકત વસાવી હોવાની પ્રાથમિક માહિતી મળતા તમામ વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.
વર્ગ 1, 2 અને 3ના અધિકારીઓની મિલકતની તપાસ
શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, મહેસુલ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, નાણા વિભાગ, અન્ન અને પુરવઠા વિભાગ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નર્મદા અને જળ સંપત્તિ વિભાગના કર્મચારીઓની અપ્રમાણસર મિલકતોની તપાસ કરવામાં આવી રહી છે. વર્ગ 1ના ચાર વર્ગ 2ના બાર વર્ગ 3ના ઓગણીસ અધિકારીઓની અપ્રમાણસર મિલકતની તપાસ હાથ ધરવામાં આવી છે.
એસીબી કચેરીએ ડોક્યુમેન્ટ પણ મોકલી શકે છે
આ ઉપરાંત તાજેતરમાં ભાવનગર જિલ્લામાં પકડાયેલ ડમીકાંડ કૌભાંડમાં સંડોવાયેલા જુદા જુદા વિભાગના કુલ 16 જેટલા અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરી આવક કરતા વધુ મિલકત વસાવી હોય તેની પૂરી સંભાવનાઓ છે. જેને લઇને પણ મિલકતની તપાસ શરૂ કરવામાં આવી છે. કોઈપણ સામાન્ય વ્યક્તિ જેને મિલકતો અંગેની જાણ હોય તો તે એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરીને જાણ કરી શકે છે અથવા એસીબી કચેરીએ ડોક્યુમેન્ટ પણ મોકલી શકે છે.