નર્મદા (રાજપીપળા)8 કલાક પહેલા
- કૉપી લિંક

રાજ્યની જીવાદોરી જેમ નર્મદા બંધ છે તેમ નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાની જીવાદોરી કરજણ ડેમ છે. જે નર્મદાના નાંદોદ ગરુડેશ્વર તાલુકાના ખેડૂતોને અને ભરૂચના નેત્રંગ ઝગડીયા, વાલિયા તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી આખી સીઝન પૂરું પાડે છે. ત્યારે આગામી સીઝન માટે પણ આ કરજણ ડેમ સક્ષમ છે કેમ કે હાલમાં ખેડૂતોની માગ પ્રમાણે પાણી અપાતા હોવા છતાં કરજણ ડેમ આજે 54.03 ટકા ભરેલો છે. સામે ચોમાસુ આવી રહ્યું છે તો પણ હજુ પાણી કરજણ ડેમ પાસે મોટા પ્રમાણમાં છે.

કરજણ ડેમની મહત્તમ સપાટી 115.25 મીટર છે. ઉપરવાસમાંથી પાણીની અવાક હાલ કોઈ નથી. તેમ છતાં હાલ કરજણ ડેમની જળસપાટી 105.04 મીટર છે. એટલે કરજણ જળાશયમાં 267.09 ક્યુસેક પાણીનો સંગ્રહિત જથ્થો છે. એટલે કે કરજણ ડેમ 54.03 ટકા ભરેલો છે. હાલ ઉનાળો આકારો બનતો જાય છે. તેમ ખડૂતોની માંગ પાણી માટે વધી રહી છે. તેમ કરજણ સિંચાઈ વિભાગ દ્વારા કરજણ જમણા કાંઠા નહેરમાં 40 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે ચેક ગોરા ગામ સુધી પાણી પૂરું પાડે છે.

જ્યારે ડાબાકાંઠા નહેરમાં 350 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે નેત્રંગ વાલિયા સુધી ખેડૂતોને ખેતરમાં પાણી પૂરું પાડે છે. કરજણ ડેમના હાઈડ્રો પાવર ના 2 યુનિટ 424 ક્યુસેક પાણી ખર્ચ કરે છે. કરજણ નદીના આજુ બાજુના ખેતરોમાં પાણીના જળસ્તર ઉંચા રહે અને નદીમાં રહેલા જળચળ પ્રાણીઓ માટે નદીમાં 79 ક્યુસેક નદીમાં છોડવામાં આવે છે. આમ કરજણ ડેમ ભરૂચ નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે.

