સુરત5 કલાક પહેલા
- કૉપી લિંક
હીરાના પડીકામાં ખાંડ મૂકી છેતરપિંડી કરી
સુરતના વરાછાના મિનીબજા૨માં ઓફિસ ધરાવતા હીરા વેપારીને ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. અગાઉ અનેક લોકોને પોતાની વાતોમાં ભોળવી હીરા પેકેટની અંદર ગુટખાના ટુકડા મૂકી ઠગાઈ કરનાર આ ઠગબાજ ઈસમોએ વરાછાના હીરા વેપારીને પણ નિશાન બનાવ્યો હતો. ઠગબાજોએ આ વખતે હીરાનો માલ વેચાણ ક૨વાને બહાને વેપારી પાસેથી રૂપિયા 7.47 લાખના હીરા લીધા હતા. ત્યારબાદ ઠગબાજ દલાલે સાગરીત સાથે મળી પેકેટમાંથી ઓરીજનલ હીરાઓ કાઢી તેના બદલામાં ખાંડ મુકી પેકેટને સીલબંધ કરી પરત વેપારીને આપી દીધા હતા. વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે છેતપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હીરાવેપારી બન્યો ઠગ ટોળકીનો શિકાર
સુરતમાં વધુ એક હીરા વેપારી ઠગ ટોળકીનો શિકાર બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ગોકુલધામ બંગ્લાની સામે અમૃત રેસીડેન્સીમાં રહેતા મૂળ ભાવનગરના શિહોરના વતની નિલેશ મોહનભાઈ ભાયાણી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને વરાછા મીનીબજાર ડાયમંડ વર્લ્ડની સામે સહયોગ ચેમ્બર્સમાં ત્રીજા માળે ઓફિસ ધરાવે છે. નિલેશભાઈ પાસેથી ગત તા. 25 એપ્રિલના રોજ હીરા દલાલ પ્રદિપ માધવજી ધામેલીયાએ હીરા વેચાણ કરવાને બહાને 7 લાખનો હીરાનો માલ લઈ ગયો હતો.
ઓરિજનલ હીરાઓ કાઢી તેના બદલામાં ખાંડ મૂકી પેકેટ સીલ કર્યું
પ્રદીપ ધમેલિયા તેના સાગરિત કિરણ કોઠારી સાથે મળી પેકેટમાંથી ઓરિજનલ હીરાઓ કાઢી તેના બદલામાં ખાંડ મૂકી પેકેટને સીલ કરી ગત તા. 5 મી મેના રોજ પરત આપી ગયો હતો.જો કે, નિલેશભાઈને શંકા જતા હીરાનું પેકેટ ખોલીને જોતા છેતરપીંડીનું આખું ભોપાળુ બહાર આવી ગયું હતું. આ બનાવ અંગે નિલેશ ભાયાણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ હીરા વેપારી સાથે ઠગાઈ થઈ
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપીઓ સામે અગાઉ પણ આજ રીતે હીરા વેપારી સાથે ઠગાઈ કરી હતી. મહિધરપુરા હીરા બજારમાં એક વેપારી સાથે હીરાના પેકેટમાં વિમલના ગુટકાના ટુકડા મૂકી પેકેટ પધરાવી દીધું હતું અને છેતરપિંડી આચરી હતી. જે અંગે વેપારીએ મધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ ગુનામાં મહિધરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જેને લઇ હાલ આરોપીઓ લાજપોર જેલમાં છે. જેથી વરાછા પોલીસે બંનેને ટ્રાન્સફર વોરંટથી કબજા મેળવી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.