- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Fierce Brawl Between Leader Of Opposition And Water Committee Chairman During AMC General Assembly, Bridge Road Garden Issue Surrounds BJP
અમદાવાદ6 કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે ભાજપના સત્તાધીશોને આડે હાથ લેવામાં આવ્યા હતા. હાટકેશ્વર બ્રિજ રોડ અને ગાર્ડન મામલે વિપક્ષ કોંગ્રેસે ભાજપને ઘેરી હતી. દિપકના નેતા શેહજાદખાન પઠાણે શહેરમાં 1200 કરોડના રોડ બનાવવા મામલે કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાનો વધારો આપી અને તેમને ફાયદો કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રોડ મામલે વિપક્ષના નેતા અને રોડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ તેમજ વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
સભાગૃહમાં ઉગ્ર માહોલ થયો
વિપક્ષના નેતા શહેઝાદ ખાન જ્યારે રોડના કામો કોન્ટ્રાક્ટરના ફાયદા માટે વધુ ભાવે આપવામાં આવતા હોવાની રજૂઆત કરતા હતા ત્યારે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ જવાબ આપવા ઉભા થયા હતા. વિપક્ષના નેતા બોલ્યા હતા કે, ચેરમેનને બેસવાની ઔકાત નથી. જેથી વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ ઉભા થઈ અને વિપક્ષના નેતાની સાથે ‘તું તારી કરી અને તને બોલવાની ભાન નથી પડતી’ એમ કહી તેના શબ્દો પાછા ખેંચવા અંગેની રજૂઆત કરી હતી. થોડા સમય માટે સભાગૃહમાં ઉગ્ર માહોલ થઈ ગયો હતો. જો કે, મેયરે બંને પક્ષને શાંતિ જાળવવા માટે કહેતા મામલો થાળે પડ્યો હતો.
આરોગ્ય મામલે થયેલી તકલીફ બદલ માફી માગી
ઓઢવ વોર્ડના ભાજપના કોર્પોરેટર દિલીપ પટેલ સભાગૃહમાં બોલવા માટે ઊભા થયા હતા. અમદાવાદ શહેરના આરોગ્ય અંગેની તેઓ માહિતી આપતા હતા ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આરોગ્ય મામલે જો કોઈ સુવિધા થઈ હોય તો તે બદલ હું અમદાવાદની જનતાની માફી માંગુ છું તેમ જણાવ્યું હતું. જેથી, ભાજપના કોઈ કોર્પોરેટર કે નેતાએ પહેલીવાર આરોગ્ય મામલે થયેલી તકલીફ બદલ માફી માગી હતી.
કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો હાટકેશ્વર બ્રિજ – શહેઝાદ ખાન પઠાણ
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે રજૂઆત કરી હતી કે, અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે અને આ બ્રિજને હવે એક નમૂનારૂપે મૂકી રાખવાનો હોય તેમ યથાવત રાખવામાં આવ્યો છે. એક મહિના અગાઉ એટલે કે, 15 એપ્રિલના રોજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાટકેશ્વર બ્રિજની નબળી ગુણવત્તા નું બાંધકામ હોવાના કારણે તેને તોડી પાડવામાં આવશે આજે એક મહિનો થવા છતાં તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી.
હજુ સુધી ડાયરેક્ટરોની ધરપકડ કેમ કરવામાં આવી નથી?
બીજી તરફ હાટકેશ્વર બ્રિજ બનાવવા મામલે જે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, તેમાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટર કંપની અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની બંનેના ડાયરેક્ટરોની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી. જેને લઇને ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, તે એક કાયદાકીય પ્રક્રિયા છે અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ ગયા છે. પોલીસ તેની કામગીરી કરી રહી છે. આ બાબતને લઇને વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર પણ તમારી છે અને પોલીસ વિભાગ પણ તમારું છે છતાં પણ સુધી ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવી નથી.
ભીખાભાઇ ગાર્ડનને ટૂંકુ નામ બી.જે. પાર્ક આપીને લોકાર્પણ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (SRFDCL) દ્વારા ગત ડિસેમ્બર 2022ના દિવસે એલિસબ્રિજને અડીને આવેલાં ભીખાભાઇ ગાર્ડનને ટૂંકુ નામ બી.જે. પાર્ક આપીને લોકાર્પણ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટની બ્રાઉન્ડ્રીમાં આવતો હોવાથી ભીખાભાઇ ગાર્ડનનો કબજો SRFDCL કંપનીને સોંપી દીધો હતો પછી આ ગાર્ડનનું નવીનીકરણ કરાયું હતુ. કોર્પોરેશનના રેકર્ડ ઉપર આ ગાર્ડનનું ક્ષેત્રફળ 20,183 ચો.મી. છે પણ SRFDCL દ્વારા ગાર્ડનના નવીનીકરણ બાદ તેનું ક્ષેત્રફળમાં 3,000 ચો.મી.નો ઘટાડો જોવા મળ્યો હતો. SRFDCL દ્વારા ભીખાભાઇ ગાર્ડનના નવીનીકરણ રોડ અને ફુટપાથ બનાવીને ગાર્ડનના ક્ષેત્રફળમાં ઘટાડો કરી દીધો છે. ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરી આક્ષેપ કર્યો હતો કે, એક બિલ્ડરના પ્લોટને ફાયદો થાય તે માટે ભીખાભાઇ ગાર્ડનને નાનો કરી દેવાયો છે. આ સમગ્ર પ્રકરણની તપાસ કરો તો સત્ય બહાર આવી શકે છે.
એક દાયકા પહેલાંના ગોટાળાની અસર હાલ દેખાઇ રહી છે
વર્ષ 2013-14માં ભીખાભાઇ ગાર્ડનની પાસે આવેલો એક પ્લોટ સંપાદનમાંથી છુટો કરાયો હતો. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પતંગ હોટેલની બાજુમાં આવેલા આ પ્લોટને સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પાર્કિગના હેતુ માટે સંપાદિત કર્યો હતો પણ પછી સ્ટેન્ડીંગ કમિટીએ રાતોરાત આ પ્લોટને સંપાદનમાંથી છુટો કર્યો હતો. આ પ્લોટને ફાયદો થાય તે માટે ટીપી સ્કીમ વેરિડ કરીને એક રોડ મૂકાયો હતો, જે રોડ માટે ભીખાભાઇ ગાર્ડનની મોકાની જમીનનો ઓછી કરી દેવાઇ છે. માત્રને માત્ર એક બિલ્ડરના ફાયદા માટે ભીખાભાઇ ગાર્ડનની 3 હજાર ચો.મી. જમીન ઓછી કરી દેવાઇ છે તેવો અમારો આરોપ છે. આ સમગ્ર પ્રકરણની તપાસ થવી જોઇએ. એક દાયકા પહેલાં થયેલા ગોટાળાની અસર હાલ દેખાઇ રહી છે.
AMC ટેક્સ વિભાગ પર પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ
ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે રજૂઆત કરી હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જે મામલે તપાસ કરવામાં આવે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવતા સરખેજના એક અરજદાર જ્યારે તેમની અરજી લઈને ગયા હતા તો તેમની ફાઈલની કાર્યવાહી કરવા માટે થઈ ડેપ્યુટી ટેક્સ એસેસર અને વોર્ડ ઇન્સ્પેટર દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યાં સુધી પૈસા ન આપવામાં આવે ત્યાં સુધી ફાઈલો ક્લિયર ન થતી હોવાનો ઈકબાલ શેખે આક્ષેપ કર્યો હતો અને આ મામલે ખાતાકીય તપાસની માગણી મેયર અને કમિશનર સમક્ષ પણ કરી હતી.