અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં પ્રજાના કામો કરવાના હોય છે ત્યારે અધિકારીઓ કામ નથી કરતા, કોર્પોરેટરોના ફોન ઉપાડવાથી લઈ અને માહિતી પણ આપતા નથી એવી ફરિયાદો ભાજપના કોર્પોરેટરો અને સત્તાધીશો કરતા હોય છે પરંતુ કોર્પોરેશનના અધિકારીઓને પોતાની નોકરીમાં પ્રમોશન કે તેમની સામે કોઈ કડક પગલાં લેવાના હોય છે ત્યારે ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે સમાધાન થઈ જાય છે. આજે મળેલી સ્ટાફ સિલેક્શન કમિટીમાં ત્રણ એડિશનલ ઇજનેરોનાં પ્રોબેશન પિરિયડ પૂરો થતાં કાયમી ધોરણે નિમણૂંક આપવામાં આવી હતી. બે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો સામે ચાલતી તપાસોને ઝડપી પૂર્ણ કરવાના બદલે તેમનો પ્રોબેશન પિરિયડ લંબાવી આપ્યો છે. જ્યારે ત્રણ એડિશનલ ઇજનેરની જગ્યા ઉપર ત્રણ ડે.સિટી ઇજનેરોને બઢતી આપવાનો નિર્ણય લેવાયો હતો.
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક મેયર કિરીટ પરમાર ની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં ભાજપના હોદ્દેદારોએ બાર જેટલા ડેપ્યુટી HODને કાયમી કર્યા હતા. મ્યુનિ. ઇજનેર ખાતામાં એડિશનલ સિટી ઇજનેરની બે જગ્યા ખાલી પડી હતી તે જગ્યા ઉપર પ્રમોશન અપાય તે યોગ્ય કહી શકાય તેમ છે, પરંતુ એક એડિશનલ સિટી ઇજનેર 1 જુલાઈના રોજ નિવૃત્ત થવાનાં હોઇ તેમની જગ્યાએ અત્યારથી એક ડે.સિટી ઇજનેર વિજય પટેલને પ્રમોશન આપી દેવાયુ છે.
હાટકેશ્વર બ્રિજ કૌભાંડમાં સંડોવાયેલાં આઠ ઇજનેર અધિકારીઓ પૈકી ચારને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસનો આદેશ કરાયો હતો અને ચાર અધિકારી સામે ખાતાકીય તપાસ યોજવાનો આદેશ કરાયો હતો. જેમાં એક અધિકારી પરેશ.એ.પટેલે બિમારીનાં કારણો આગળ ધરીને માર્ચ મહિનામાં જ સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી કરી દીધી હતી. હાટકેશ્વર બ્રિજનો મામલો ગંભીર અને તેમાં કાયદાકીય કાર્યવાહી થાય તેમ છે તે જાણતાં આ અધિકારીએ કમિશનર સસ્પેન્ડ કરે કે ખાતાકીય તપાસનો આદેશ કરે તે પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી કરી દીધી હોવાનુ મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. આજે શાસક પક્ષ ભાજપે આ નિવૃત્તિ શરતી મંજૂર કરી છે એટલે કે તેમની સામેની તપાસ પૂરી નહિ થાય ત્યાં સુધી નિવૃત્તિનાં કોઇ લાભ નહિ મળે.
આશ્ચર્યજનક રીતે સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા તેમની અરજી મંજૂર થવાની અપેક્ષાએ તેમની ખાલી પડેલી જગ્યાએ ડે.સિટી ઇજનેરને બઢતી આપી દેવામાં આવી છે. જોકે મ્યુનિ. સૂત્રોએ સ્વીકાર્યુ હતું કે, કોઇ પણ અધિકારી-કર્મચારી નિવૃત્ત થાય એટલે બે વર્ષ સુધી તેનાં લાભ અટકાવી શકાય ત્યારબાદ ફક્ત એક લાખ રૂપિયા અટકાવીને બાકીનાં નાણાં આપી દેવા પડે છે.