કચ્છ (ભુજ )39 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભુજના જોડિયા શહેર માધાપર સાથે જોડતા સ્મૃતિવન માર્ગ હવે વાહન અકસ્માતની ઘટના જાણે રોજિંદી બની ગઈ હોય તેમ એક બાદ એક માર્ગ અકસ્માતની ઘટના બની રહી છે. આજે ગુરુવાર બપોરે આરટીઓ સર્કલથી માધાપર તરફ જતી ઓવરલોડ ટ્રકે આગળ ચાલતી આર્ટિકા કારણે પુરઝડપે જોરદાર ટક્કર મારતા કાર રમકડાંની જેમ ફંગોળાઈને ભુજ બાજુ પાછી ફરી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી પરંતુ કારમાં મોટું નુકસાન થયાનું જાણવા મળ્યું હતું. અલબત્ત બેફામ દોડતા ઓવરલોડ વાહનો છાસવારે અકસમત સર્જી રહ્યા છે તેમ છતાં આરટીઓ તંત્ર કોઈ નોંધાપત્ર કામગીરી કરવામાં આવતી હોય એવું જણાતું નથી ત્યારે યુમદૂતના વાહક બની દોડતા વાહનો પર પગલાં ભરવા લોક માગ ઉઠી છે.
આજે બપોરે ભૂજના આર ટીઓ સર્કલથી માધાપર તરફ જતી કારને સ્મૃતિવન માર્ગે ટ્રકની ટક્કર લાગવાની ઘટના બનતા લોકોની ભારે ભીડ જમા થઈ જવા પામી હતી જેને લઈ આ માર્ગે પસાર થતા અન્ય વાહનોની રફતાર થંભી ગઈ હતી. વાહન ચાલકો વચ્ચે રકઝક બાદ પોલીસ જમાદાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે હજુ સુધી આ મામલે કોઇ ફોજદારી દાખલ થઈ નથી. જોકે સ્મૃતિવન માર્ગે વારંવાર થતા અકસ્માતથી કાયમી પસાર થતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. લોકોએ સ્મૃતિવનના બીજા ગેટ સામે પણ વ્યવસ્થિત સ્પીડ બ્રેકર બનાવવાની માગ સાથે ઓવરલોડ વાહનો સામે તંત્ર દ્વારા તવાઈ લાવવા વાત કરી હતી. અન્યથા ગત સપ્તાહે પાલારા નજીક ત્રિપલ અકસ્માતમાં બે યુવકનો ભોગ લેવાયો તેમ અહીં પણ જાનહાની સર્જાઈ જુવાની ભીતિ લોકોએ વ્યક્ત કરી હતી.