Wednesday, May 24, 2023

રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી મોકૂફ રાખવા કોંગ્રેસની માંગ, ભાજપનાં કોર્પોરેટરો સંપર્કમાં હોવાનો દાવો | Congress demands postponement of Rajkot municipal education committee elections, BJP corporators claim to be in touch | Times Of Ahmedabad

રાજકોટ7 કલાક પહેલા

  • કૉપી લિંક

તાજેતરમાં રાજકોટ મનપાની શિક્ષણ સમિતિનું પ્રદેશ ભાજપ દ્વારા વિસર્જન કરી નાખવામાં આવ્યું હતું. અને 19 જૂને ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. 12 સભ્યોની શિક્ષણ સમિતિમાં એક સભ્યને જીત માટે છ કોર્પોરેટરના મતની જરૂર હોય છે. અને આગામી 1 જૂન સુધી ફોર્મ સ્વીકારવામાં આવનાર છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હાલ 72 કોર્પોરેટરો પુરા નહીં હોવાથી આ ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે ભાજપના કેટલાક કોર્પોરેટરો આ ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવા તૈયાર હોવાનો દાવો કરાયો હતો.

ચૂંટણી મુલતવી રાખવી જોઈએ
આ અંગે કોંગી આગેવાન રણજીત મૂંધવાએ જણાવ્યું હતું કે, મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં વોર્ડ નં. 15ના કોંગ્રેસના બે કોર્પોરેટરોના મતાધિકારનો કેસ હાલ કોર્ટમાં પેન્ડીંગ હોવાથી આ બન્ને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમ નથી. ત્યારે કોર્ટનો ચુકાદો ન આવે અને વોર્ડમાં 72 કોર્પોરેટરોના મતદાધિકારનો ઉપયોગ ન થાય ત્યાં સુધી ચૂંટણી મુલતવી રાખવી જોઈએ. આમ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ કોર્ટનાં દ્વાર ખખડાવશે. તેમજ આ છતાં ચૂંટણી મોકુફ રાખવામાં નહીં આવે તો કોંગ્રેસ ચૂંટણીમાં ઝંપલાવાશે અને વિજયસિંહ જાડેજા, રણજીત મુંધવા અથવા કમલેશ કોઠીવારમાંથી કોઈ એક આ ચૂંટણી લડશે. સાથે જ ભાજપનાં ત્રણેક કોર્પોરેટરો તેમને સમર્થન આપવા તૈયાર હોવાનું પણ તેણે કહ્યું હતું.

ફોર્મ ઉપાડી શકાયું નથી
વધુમાં તેમણે જણાવ્યું કે, આજરોજ મેયર ન હોવાથી ફોર્મ ઉપાડી શકાયું નથી. બે દિવસ બાદ મેયર આવ્યા પછી કોંગ્રેસ ફોર્મ ઉપાડશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં ચાર પૈકી બે કોર્પોરેટરોએ પક્ષપલટો કર્યો હતો. જેને લઈ કોંગ્રેસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અને આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ અંગેનો ચુકાદો આવે ત્યાં સુધી ચુંટણી મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ભાજપના ત્રણ નગરસેવકો કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવા માટે સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ફોર્મ લીધા વગર જ પરત ફર્યા
જોકે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સહિતના આગેવાનો ચૂંટણી માટે ફોર્મ ઉપાડવા આવ્યા હતા. પરંતુ મેયર હાજર ન હોવાથી તેમનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. છતાં ફોર્મ ઉપર મેયરના હસ્તાક્ષર ન હોવાને કારણે આ નેતાઓએ ફોર્મ લીધા વગર જ પરત ફર્યા હતા.

Related Posts: