જામનગર24 મિનિટ પહેલા
- કૉપી લિંક
જામનગરમાં ચકચારી બનેલા સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કૃત્યના કેસમાં ઝડપાઈને જેલમાં ગયેલા એક સ્કુલના પુર્વ આચાર્ય અને હાલ લાખાબાવળ ગામની ખાનગી કોલેજના ડાયરેકટર-આચાર્યની જામીન અરજી લાંબા કાનુની જંગ બાદ પોક્સોની અદાલતે રદ કરી છે.
જામનગરના લાખાબાવાળ પાસેની નર્સિગ અને બીએડ કોલેજ કેમ્પસના ડાયરેક્ટર અને આચાર્ય મનિષ બુચ સામે હાલ યુવાન વયની થઈ ચુકેલી ખાનગી શાળાની પૂર્વ વિદ્યાર્થીની દ્વારા શાળાના તત્કાલિન આચાર્ય મનિષ બુચ દ્વારા પોતે સગીર હતી ત્યારે તેના સાથે શાળામાં અને હવાઈ ચોક નજીક આવેલા જુના ઘર ખાતે દુષ્કૃત્ય કરાયાના આરોપ સાથે ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
એનએસયુઆઈ દ્વારા ઠેર-ઠેર આવેદન આપવામાં આવ્યા હતા. બાદમાં હાલ નર્સિંગ અને બીએડ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર અને આચાર્ય એવા મનિષ બુચની વડોદરાથી ધરપકડ થઈ હતી. જે પછી રીમાન્ડ પુરા થતાં તેને જેલમાં મોકલાયો હતો. જ્યાંથી તેણે રેગ્યુલર જામીન અરજી મુકી હતી. જેમાં બંને પક્ષે બે ત્રણ મુદ્દતોમાં લંબાણ પુર્વકની દલીલો થઈ હતી.
આ કેસમાં જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ અદાલત સમક્ષ રજુઆતો કરી હતી કે, આ હજારો વિદ્યાર્થીઓના શિક્ષણ જગતને સ્પર્શતો કેસ છે. હાઈકોર્ટ દ્વારા આવા જ કેસમાં આરોપીને જામીન અપાયા નથી. આવા કેસમાં આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો તેની સમાજ ઉપર અસર પડે તેમ છે. આરોપી સામે અગાઉ પણ એક પરીક્ષામાં પેપર વહેલું ખોલી નાંખવાના આક્ષેપ સાથેનો કેસ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલો છે. ઉપરાંત તેઓએ વિવિધ ચુકાદાઓ ટાંક્યા હતા. બાદમાં આ કેસમાં અદાલતે બંને પક્ષોને સાંભળીને આજે ચકચારી કેસના આરોપી પુર્વ આચાર્યની જામીન અરજી રદ કરી હતી.