મુંબઈ11 મિનિટ પહેલા
- કૉપી લિંક
- અનેક ગચ્છાધિપતિશ્રી તથા આચાર્ય ભગવંતોનાં પાવન સાંનિધ્યમાં આયોજન
ગોરેગામ – જવાહરનગર જૈન સંઘમાં અનેક ગચ્છાધિપતિશ્રી તથા આચાર્ય ભગવંતોનાં પાવન સાંનિધ્યમાં સંસ્કૃત ભાષામાં અંતરને આશ્ચર્યચકિત કરે તેવું દશાવધાનનું આયોજન થયું હતું. બેંગ્લોરથી પંડિતવર્ય શ્રી ઉમા મહેશ્વરજીએ સોથી વધુ જૈન શ્રવણ ભગવંતોની સામે દસ અવધાન કર્યા હતા.
એક એક અવધાનમાં મહાત્માઓ કઠિન પરિસ્થિતિ ઊભી કરતા અને પંડિતજી નૂતન શ્લોક બનાવતા.શરૂઆતમાં નિષિદ્ધાક્ષરીમાં તેઓ શ્લોકના એક એક અક્ષર આગળ વધે અને મહાત્મા આગળનો તેમણે ધારેલો હોય તેવો અક્ષર લેવાની ના જણાવે, એટલે હવે બીજો અક્ષર લેવો પડે, આમ ડગલેને પગલે સમસ્યા ઊભી થાય. (2) બીજા મહાત્મા ભીન્ન ભિન્ન 4 ભાષાના રાબડી – બાવસી આવા શબ્દો આપે, તેને પંડિતજી શ્લોકમાં સેટ કરી સંસ્કૃત શ્લોક બનાવે. (3) એક મહાત્મા શ્લોકનું ચોથું ચરણ બનાવીને આપે, અને પંડિતજી એક એક રાઉન્ડમાં આગળના 3 ચરણ બનાવે, આમ સમસ્યાપૂર્તિ થાય.
(4) એક દીક્ષાર્થી પંડિતજી શ્લોક બનાવતા હોય ત્યારે તેમનું મન ભ્રમિત કરવા સતત ઘંટ વગાડે, આમ છેલ્લે કેટલા ઘંટ વાગ્યા, તે કહી બતાવે. (5) ઉદ્દિષ્ટાક્ષરીમાં એક મહાત્મા શરૂઆતમાં જ વિષય આપે, અને પંડિતજી શ્લોક બનાવે, અને તેઓ ગમે ત્યારે કયા ખાનામાં કયો શબ્દ આવે ? તે પૂછે. આમ એક એક અક્ષર લખાવતા આખો શ્લોક પૂરો કરી આપે.(6) સંખ્યાબંધમાં એક મહાત્મા કોઈ ત્રણ ફિગરની સંખ્યા જણાવે, પછી 5X5 ના બોક્ષમાં ગમે ત્યારે ગમે તે સંખ્યા પૂછે, તેઓ જણાવે. આમ બધી સંખ્યા લખાતા તેનું ઊભું આડું – ત્રાંસુ ટોટલ જેટલું જણાવ્યું હોય, તેટલું જ થાય.
(7) ચિત્રપદ્યમાં એક મહાત્મા એક મોટું ચિત્ર બતાવે, તેના આધારે પંડિતજી તરત એક શ્લોક બનાવી આપે. (8) આસુકાવ્યમાં મહાત્મા અલગ અલગ રાઉન્ડમાં 4 વિષય આપે. તેના આધારે મહાત્મા જે છંદ જણાવે, તે આધારે શ્લોક બનાવી આપે.(9) કાવ્યવાચનમ્માં ભિન્ન -ભિન્ન ગ્રંથોના ચાર શ્લોક એક મહાત્મા ચાર રાઉન્ડમાં સંભળાવે, તે શ્લોક કયા ગ્રંથનો, કેટલા નંબર, તે તરત પંડિતજી જણાવે, અને (10) અપ્રસ્તુત પ્રસંગ – આ ખૂબ પરિશ્રમ વાળું કાર્ય છે. જે ગમે ત્યારે સાવ તુચ્છ પ્રશ્ન કરી અવધાનીના મનને ભટકાવવાનું કાર્ય કરે, જેમ કે ફૂટબોલ અને વોલીબોલની ગૅમમાં ફરક શું ? આમ પંડિતજી માંડ કાગળ પેન વિના શ્લોક બનાવવામાં દત્તચિત્ત હોય, ત્યારે જ જેમ-તેમ પ્રશ્ન કરી મન ભટકાવે.