મહેમદાવાદના સરદારપુરામા થયેલી હત્યા પ્રકરણમાં મૃતકની પત્ની, સગીર દીકરો અને અન્ય એક હત્યારા નીકળ્યા | Deceased's wife, minor son and another killer identified in Mahmudabad's Sardarpuram murder case | Times Of Ahmedabad

નડિયાદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

મહેમદાવાદના રૂદણ ગામે થયેલી હત્યા પ્રકરણનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો છે. જેમાં હત્યારા બીજું કોઈ નહીં પણ પત્ની અને સગીર દિકરો અને અન્ય એક વ્યક્તિ છે. પત્નીને અનૈતિક સંબંધ આ વ્યક્તિ સાથે હોવાથી આડી ખીલી રૂપ વ્યક્તિને હટાવવા આ હત્યા કરી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. મહેમદાવાદ પોલીસે આ ત્રણે પૈકી પત્ની અને આડા‌ સંબંધ રાખનાર એમ બે આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સગીર કિશોરની અટકાયત કરવાની બાકી છે.

મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામે સરદાર પુરામા રહેતા 45 વર્ષિય રમેશભાઈ પ્રતાપભાઈ સોલંકીનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં આ ગામના દિનેશભાઇ ચિમનભાઈ પટેલના ખેતરમાંથી મળી આવ્યો હતો. રવિવારે સવારે આ બનાવ બનતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર બનાવની જાણ મહેમદાવાદ પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસમાં કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ બાબતને લઈને રમેશભાઈ સોલંકીને માથા તેમજ શરીરના ભાગે માર મારી મોત નિપજાવ્યું હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે મરણજનારના સગા ભાઈ ગોવિદભાઈ સોલંકીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

તપાસમાં મરણજનાર વ્યક્તિના પત્ની અને સગીર દિકરો અને અન્ય એક વ્યક્તિ‌ હત્યારા નીકળ્યા છે. રમેશભાઈને શંકા હતી કે છેલ્લા એકાદ વર્ષથી તેઓની પત્નિ સજનબેનને નજીકમાં રહેતા તેઓના કુટુંબના રમેશભાઇ ભીખાભાઇ સોલંકી નાઓ સાથે આડો સબંધ છે. જે બાબતે અવાર નવાર ઘરે પોતાની પત્નિ સાથે રમેશભાઈને બોલાચાલી ઝગડો થતો હતો. જેથી મરણજનારની પત્નિ સજનબેન તથા તેઓની સાથે આડા સબંધ ધરાવનાર રમેશભાઇ ભીખાભાઇ સોલંકીનાઓએ મરનાર રમેશભાઇનો કાંટો કાઢી નાંખવા પ્લાન ઘડ્યો હતો.

અગાઉથી ગુનાહીત કાવતરૂ રચી મરનારને તેઓના ઘરે સુઇ રહેલ તે વખતે માથાના ભાગે લાકડાનો ડંડો મારી ગોદડીથી નાક-મોં જોરથી દબાવી રાખી તથા મરનારની પત્નિએ મરનારના બંને હાથ પકડી રાખી તેમજ મરણજનારના દિકરાએ મરણજનારના બંને પગ પકડી રાખી મરનારનુ મોત નીપજાવ્યુ હોવાની કબુલાત સજનબેને કરી હતી. અને લાશને કોઇ અજાણ્યા ઇસમોએ મારી નાંખી ખેતરમાં ફેકી દીધેલ તેવા આશયથી લાશને ખેતરમાં ફેંકી દીધેલ હતી. વધુમાં આ સજનબેને પોલીસ સમક્ષ કબુલ્યુ હતું કે, છેલ્લા એકાદ મહીનાથી ઘરમા પોતાની તથા પોતાના દિકરાઓ સાથે ઝગડાઓ કરતા હોય અને કોઇ કામ ધંધો કરતા ન હોય અને દરરોજ ઘરે ઝગડાઓ કરી હેરાનગતિ કરતા હોય જેથી તેઓનુ કાયમીપણે કાંટો કાઢી નાંખવા ગત રાત્રીના પોતે તથા પોતાની સાથે આડા સબંધ ધરાવનાર આરોપી- રમેશભાઇ ભીખાભાઇ સોલંકી સાથે મળી પોતાના પતિને માથામાં લાકડાનો ડંડો મારી ગોદડીથી નાક-મોં દબાવી રાખી હાથપગ પકડી રાખી મરણ જતા લાશને નજીકમાં આવેલ ખેતરમાં રાત્રીના સમયે પોતે તથા આરોપી-રમેશભાઇ ભીખાભાઇ સોલંકી તથા પોતાના સગા દિકરા સાથે મારી નાંખી હોવાનું કબુલ્યું હતું.

Previous Post Next Post