વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસ્વીર
- કોઇ મુદ્દે પેટમાં ચૂંક ઊપડી ને વિફરેલા ગેસ્ટ્રોલોજિસ્ટે હુમલો કર્યો, ગોત્રી પોલીસમાં કરાયેલી અરજી સયાજીગંજમાં ટ્રાન્સફર કરાઈ
- જેતલપુરની આદિક્યુરા હોસ્પિટલના ડો.ચિરાયુની બેહૂદી હરકત, ડઘાયેલા તબીબોએ માંડ છોડાવ્યા
જેતલપુરની જાણીતી આદિક્યુરા હોસ્પિટલના ગેસ્ટ્રોલોજિસ્ટ તબીબે શનિવારે રાત્રેે પોતાના જ ભાગીદાર હાર્ટ સ્પેશિયાલિસ્ટ પર એક બેઠક દરમિયાન અચાનક હિચકારો હુમલો કર્યો હતો. તબીબી આલમ માટે શરમજનક કહેવાય તેવો કિસ્સો અલકાપુરીની હેમ્પ્ટન હોટેલમાં બન્યો હતો. પોલીસમાં કરાયેલી અરજી મુજબ આશરે 5 વાગ્યે શરૂ થયેલી મીટિંગ દરમિયાન 9 વાગ્યાના સુમારે હોસ્પિટલના જ ગેસ્ટ્રોલોજિસ્ટ ડો.ચિરાયુ ચોક્સી ઊભા થયા અને ચાલુ ચર્ચાએ જ ‘…. તું તારી જાતને સમજે છે શું? એમ કહી જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. નીરવ પાંચાનીને તાબડતોબ ગાલે લાફા ઝીંકી દીધા હતા. આટલેથી ન અટકતાં પેઢું સહિતના ભાગે આડેધડ લાતો મારવા માંડ્યા હતા.
અચાનક થયેલા હુમલામાં ડો.નીરવ પાંચાની હેબતાઇ ગયા હતા. ત્યાં હાજર એક તબીબે જણાવ્યું હતું કે, ગેસ્ટ્રોલોજિસ્ટ ગલીચ શબ્દો તો ગળું ફાડીને બોલી જ રહ્યા હતા પણ તેઓ આ માટે કુખ્યાત હોવાથી શરૂઆતમાં કોઇએ ઝાઝું ધ્યાન આપ્યું નહીં. પણ પછી ગાળો બોલવાની ના પાડવા છતાં ગલીના મવાલી માફક હુમલો કરશે તેની કલ્પના ન હતી. તેમનો હુમલો એટલો જોરદાર હતો કે, ગણતરીની સેંકડોમાં જ ડો. નીરવ બેહોશ થઇ ગયા હતા. જોકે સૌ તબીબોએ તેમને માંડ છોડાવ્યા હતા, અમે હાજર તબીબો પણ ડઘાઇ ગયા હતા.
આ મુદ્દે હોસ્પિટલના નારાજ થયેલા અન્ય તબીબોએે ચર્ચા કરી હતી. છેવટે પોતાના જ ભાગીદાર સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગોત્રી પોલીસ મથકના પીઆઇ એમ. કે. ગુર્જરે કહ્યું હતું કે, આ બનાવ સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોવાથી તપાસના કામની અરજી ત્યાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
મહિલા તબીબ હોસ્પિ.માંથી સ્વેચ્છાએ છૂટાં થયાં હતાં
મેનેજમેન્ટની સંમતી બાદ દોઢ કરોડ અપાયા પછી વિવાદ વકર્યો
આ ચોંકાવનારા હુમલા પાછળ જાણવા મળેલી વિગતો મુજબ હોસ્પિટલ એકાદ વર્ષ અગાઉ શરૂ થઇ ત્યારે હોસ્પિટલ સિવાય ક્યાંય કોઇ તબીબ ખાનગી પ્રેક્ટિસ કરી શકશે નહીં એવી શરત મૂકવામાં આવી હતી, જે સૌએ સ્વીકારી હતી. સૂત્રના જણાવ્યા મુજબ એક મહિલા તબીબ જેમનાં બે પ્રાઇવેટ ક્લિનિક હતા, તેઓ હોસ્પિટલ શરૂ થયાના 6 મહિનામાં જ દોઢ કરોડ લઇને છૂટાં પડ્યાં. જોકે તેઓ હોસ્પિટલને મદદરૂપ થવાના આશયથી આવતાં હતાં. હોસ્પિટલના નવા સાહિત્ય-વેબસાઇટમાંથી તેમનો ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો હતો. આ મહિલા તબીબના પતિ પણ આ હોસ્પિટલમાં જ ભાગીદાર છે. આ મુદ્દે મેનેજમેન્ટમાં કોઇ વિવાદ ન હતો. પણ હોસ્પિટલની દરેક નાની-મોટી વાતે અવાર-નવાર ચંચુપાત કરવા માટે ખ્યાત એક તબીબને પેટમાં દુ:ખાવો થયો અને એ વિવાદ વકરાવતા હતા એવું જાણવા મળે છે.
હુમલાે કરતાં અરજી આપી છે
રાત્રેે ડો. ચિરાયુ ચોક્સીએ મારા પર હુમલો કર્યો હતો. તેઓ ઉશ્કેરાટમાં ગાળો ભાંડતા હતા. અચાનક હુમલો કરતાં હું બેભાન થઇ ગયો હતો. તેથી અરજી આપી છે. > ડો. નીરવ પાંચાની, હુમલાનો ભોગ બનેલ તબીબ
નિંદાજનક છે, પણ ઉકેલના પ્રયાસ છે
હુમલો કરવો, અપશબ્દો બોલવા એ બનાવ હોસ્પિટલ જ નહીં તબીબી આલમ માટે પણ નિંદાજનક છે. ડો. નીરવ હુમલામાં બેહોશ થઇ ગયા હતા. ઉકેલના પ્રયાસ કરીશું. > ડો. વિજય ઠાકોર, આદિક્યુરા હોસ્પિટલ
આ વાત ખોટી છે : ડો. ચિરાયુ ચોક્સી
આ મુદ્દે ડો.ચિરાયુ ચોક્સીનો ટેલિફોનિક સંપર્ક કરીને તેમનો પક્ષ જાણવા માટે તેમને પૂછતાં તેમણે જણાવ્યું કે, આ વાત ખોટી છે. (એમ કહીને વાત કરવાનું ટાળ્યું હતું અને ફોન કટ કર્યો હતો.)