દાહોદ11 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત રસ્તાઓ પહોંળા કરવાની કામગીરીના પગલે દબાણો દુર કરવાનું ગઈકાલથી શરૂં કરી દેવામાં આવ્યું છે. ત્યારે વેપારીઓમાં ભય સાથે ચિંતાનો માહોલ સર્જાયો છે. ત્યારે વેપારી એસોશીએશન દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર, એસ.ડી.એમ. તેમજ દાહોદ નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું અને આ મામલે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું.
હવે જે વિસ્તારમા દબાણો હટાવાશે ત્યા મોટી સંખ્યામાં દુકાનો જ આવેલી છે
દાહોદ શહેર સ્માર્ટ સીટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગઈકાલે ગોધરા રોડથી દેસાઈવાડા સુધીના ગેરકાયદેસર દબાણો જેસીબી મશીનથી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.ત્યાર બાદ ગોદીરોડ પર પણ ગેરકાયદે દબાણો દુર કરવાની કામગીરી આરંભ કરવામાં આવી છે.આગામી દિવસોમા સ્ટેશન રોડ,એમ.જી.રોડ તથા અન્ય વિસ્તારોમાં દબાણો હટાવવામા આવશે.હવે જે વિસ્તારોમા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાશે ત્યાં મોટા ભાગની દુકાનો આવેલી હોવાથી લોકોના ધંધા રોજગારનો પ્રશ્ન ઉભો થયો છે.
વેપારીઓ અને સાથે કામ કરતા પરિવારો રઝળી પડશે
જેથી આજરોજ દાહોદના વેપારી મંડળ દ્વારા દાહોદ જિલ્લાના કલેક્ટર, દાહોદ એસ.ડી.એમ. અને દાહોદ નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર આપી જણાવ્યુ હતું કે, ઘણી મોટી સંખ્યામા દુકાનો દાહોદ નગરપાલિકાના હદમાં આવેલ છે. આ દુકાનો પર ૨૦૦૦થી વધુ વેપારીઓ અને તેની સાથે સાથે તેમાં કામ કરતાં વ્યક્તિઓ અને તેમનો પરિવાર નિર્ભર છે. આ દુકાનો છીનવાઈ જશે તો પરીવારો બરબાદ થઈ જશે, આ દુકાનો વર્ષો જુની છે. પાલિકાના તમામ વેરાઓ પણ ભરવામાં આવે છે, આ દુકાનો પોતાની આજીવીકાનું એકમાત્ર સાધન છે, આ દુકાનો છીનવાઈ જશે તો તેઓ રોજગાર ધંધા વિહોણા થઈ જશે, બેન્કોમાંથી લીધેલી લોનો ચુકવવામાં પણ તકલીફ પડશે, તેઓ દેવાદાર બની જશે, પરિવારો બરબાદ થઈ જશે, તેઓના દેવાઓનું ભરપાઈ કોણ કરશે, આ તમામ પ્રશ્નો વેપારીઓને સતાવી રહ્યાં છે માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી વેપારીઓ દ્વારા તંત્ર સમક્ષ રજુઆત કરી હતી.