રાજકોટ22 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ શહેરમાં પોલીસનો ખોફ સતત ઓસરી રહ્યો હોય તેમ ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહી છે. ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં મોટામૌવા નજીક નરાધમ પુત્રએ તેના પિતાને હથોડીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું છે. જોકે બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આરોપી પુત્રને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. મૃતક માનસિક બીમાર હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
પુત્રએ જ પિતાની હત્યા કરી
પ્રાપ્ત વિગતો મુજબ મોટામૌવાનાં વણકરવાસ ખાતે રહેતા નાથાભાઈ પરમાર નામના વૃદ્ધ પરિવાર સાથે રહે છે. ઘરકંકાસમાં બોલાચાલી થતા તેમના પુત્ર ધર્મેશ પરમારે ઉશ્કેરાટમાં આવી જઈ નજીકમાં પડેલી હથોડી વડે તેમના ઉપર હુમલો કર્યો હતો. જેમાં માથાનાં ભાગે હથોડી લાગી જતા નાથાભાઈ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા. આ ઘટનાને પગલે પાડોશીઓ એકઠા થઇ ગયા હતા. પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. જોકે 108માં ફરજ પર રહેલા મેડિકલ ઓફિસરે જોઈ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે હત્યારા પુત્રને સકંજામાં લીધો હતો.
ઉશ્કેરાઈને પુત્રએ પિતાને હથોડીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા
એસીપી બી જે. ચૌધરીનાં જણાવ્યા મુજબ, નાથાભાઈ પરમારને તેમની પત્ની મણીબેન સાથે વારંવાર ઝઘડાઓ થતા હતા. ગઈકાલે પણ પત્ની સાથે ઝઘડો થતા તેમણે આજે સવારે પત્નીને ઘરની બહાર નીકળી જાવા કહ્યું હતું. જેને લઈ મણીબેન તેમના બહેનના ઘરે ચાલ્યા ગયા હતા. દરમિયાન પુત્ર ધર્મેશ સૂતો હતો ત્યારે તેની સાથે પણ નાથાભાઈએ બોલાચાલી કરી હતી. જેમાં ઉશ્કેરાઈ ધર્મેશે બાજુમાં રહેલી હથોડી ઉપાડી પિતાને આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેને લઈને ગંભીર ઈજાગ્રસ્ત બનેલા નાથાભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે આરોપી પુત્ર ધર્મેશને ઝડપી લઈ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.