સુરત14 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમરોલી કોસાડ ભરથાણા વિસ્તારમાં આવેલ ગંગા માતાના મંદિર પાસે કોઈ અજાણી વ્યક્તિ માત્ર એક દિવસના નવજાત બાળકને જીવિત હાલતમાં તરછોડીને ફરાર થઈ ગયો હતો. જોકે આ દરમિયાન એક રીક્ષા ચાલક ત્યાંથી પસાર થતાં તેની નજર નવજાત બાળક પર પડી હતી. જેથી તેઓએ તાત્કાલિક નવજાત બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે સા૨વા૨ દરમિયાન નવજાત બાળકનું મોત થતા ઉત્રાણ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે બાળક ત્યજી દીધાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિક્ષા ડ્રાઇવરને નવજાત તરછોડાયેલી હાલતમાં મળ્યું
મળતી માહિતી પ્રમાણે, ઉત્રાણ કોસાડમાં લાલતંબુ પાસે શિવનગર સોસાયટીમાં રહેતા 34 વર્ષીય દિનેશભાઈ સરદારભાઈ મોડાવત રિક્ષા ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ગતરાત્રે ઓટો રીક્ષા લઇ કોસાડ ભરથાણા ગંગા માતાના મંદિરની દિવાલ પાસે રીક્ષા સ્ટેન્ડ પર ઉભા હતા. આ દરમિયાન અચાનક જ તેમની નજર નજીકમાં પડેલ એક નવજાત બાળક પર પડી હતી. કોઈ અજાણ્યો વ્યક્તિ માત્ર એક દિવસના નવજાત બાળકને જીવિત હાલતમાં દિવાલ પાસે ફેંકીને ફરાર થઈ ગયો હતો.
બાળકના આખા શરીર પર કીડીઓ ચોંટી હતી
દિનેશભાઈએ નજીક જઈને જોતા માસુમ બાળકના આખા શરીર પર કીડીઓ ચોંટી ગઈ હતી. જેથી દિનેશભાઈએ તાત્કાલિક માસુમ બાળકને ઊંચકી તેના શરીર પરથી કીડીઓ હટાવી હતી. આ દરમિયાન અન્ય લોકો પણ ત્યાં આવી ગયા હતા. તમામ લોકોએ ભેગા મળીને માસુમ બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બાળકનું સારવાર દરમિયાન મોત
હોસ્પિટલમાંથી ઉત્રાણ પોલીસ મથકમાં આ બનાવની જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ઉતરાણ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. બીજી તરફ તબીબોએ જીવિત બાળકની સારવાર ચાલુ કરી હતી. જોકે આ નવજાત બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે ઉત્રાણ પોલીસે દિનેશભાઈની ફરિયાદ લઈ અજાણી વ્યક્તિ સામે નવજાત બાળક ત્યજી દીધાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.