અમદાવાદ2 કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાતમાં આગામી સમયમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટના એડવોકેટ કે.આર.કોષ્ઠી દ્વારા આ અરજી કરવામાં આવી છે. તેમની માંગ છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાય તે પહેલા યોગ્ય સૂચનાઓ આપવામાં આવે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અગાઉ હેટ સ્પીચ આપી ચુક્યા છે. રાજસ્થાનમાં તે અંગે ફરિયાદ નોંધાઇ છે. અરજદાર દ્વાર હેટ સ્પીચ અને સામાજિક વૈમનસ્ય ન ફેલાય તે ધ્યાને રાખવા અરજીમાં માંગ કરવામાં આવી છે.
હાઇકોર્ટ પાસેથી અરજન્ટ સર્ક્યુલેશનની માગ
જો કે અરજદાર દ્વારા આ મામલે હાઇકોર્ટ પાસેથી અરજન્ટ સર્ક્યુલેશનની માગ કરાઈ હતી. જેને ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી. અરજદારે વિવિધ વિભાગોને લેખિત રજૂઆત કર્યા બાદ પણ કોઈ જવાબ ન મળ્યો હોવાની માહિતી કોર્ટને આપી હતી. દરબાર યોજવાને લઈને સંબધિત વિભાગો દ્વારા જરૂરી નોટીફિકેશન કાઢયું ન હોવાની અરજદારે રજુઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે અરજદાર દ્વારા આ કાર્યક્રમોનું આયોજન ભાજપ દ્વારા થતું હોવાનું જણાવાયું હતું.
સુઓમોટોનું વિકલ્પ ખુલ્લો હોવાની રજુઆત
સામે પક્ષે રાજ્ય સરકારે કંઈપણ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય તો સુઓમોટોનું વિકલ્પ ખુલ્લો હોવાની રજુઆત કરી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સરકારે કોર્ટમાં બાહેન્ધરી આપી હતી.