રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટના મોરબી રોડ પર આવેલ રતનપર ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા મુંબઈના વૃધ્ધને પુરપાટ ઝડપે આવતી એસટી બસના ચાલકે હડફેટે લેતાં સારવાર દરમિયાન મોત નિપજતાં કુવાડવા રોડ પોલીસે મૃતકના ભત્રીજાની ફરિયાદ પરથી ગુનો નોંધી અકસ્માત સર્જી નાસી છૂટેલા બસચાલકની શોધખોળ હાથ ધરી છે.
રતનપર ગામની જલારામ સોસાયટીમાં રહેતાં અને દિવેલીયાપરામાં ચામુંડા ફેબ્રિકેશન નામનું કારખાનું ધરાવતાં ભરતભાઈ બાબુભાઈ ભલસોડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મુંબઈના કલ્યાણ વિસ્તારમાંમાં રહેતા તેના ફુવા દેવકરણભાઈ મનજીભાઈ રાઠોડ (ઉ.વ.89) ત્રણ દિવસથી રાજકોટ આવ્યા હતા અને ગઈકાલે સાંજે તેને થોરાડા ગામે મિત્રને મળવા જવા નીકળ્યા હતાં.
દરમિયાન તેઓ સાંજે ચારેક વાગ્યે મોરબી રોડ ઉપર રતનપરના પાટિયા પાસેથી રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે જીજે.18.ઝેડ.5654 નંબરના રાજકોટ ભુજ – માંડવી એસટી બસના ચાલકે હડફેટે લેતા વૃધ્ધ રોડ પર ફંગોળાયા હતાં. જે અંગે તેમને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને ગંભીર રીતે ઘવાયેલા ઘવાયેલા તેમના ફુવાને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે ફરિયાદ નોંધાયા બાદ ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે. મૃતક રેલવેના નિવૃત્ત કર્મચારી હતાં અને સંતાનમાં ત્રણ પુત્ર-એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રતનપર પાસે રાજકોટ-ભુજ એસટી બસના ચાલકે વૃધ્ધને હડફેટે લઈ મોત નિપજાવી નાસી છૂટ્યો હતો. જેથી બસમાં સવાર મુસાફરો કલાકો સુધી રઝળી પડ્યાં હતા અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ અન્ય બસમાં વ્યવસ્થા મુસાફરો માટે કરવામાં આવી હતી.