સુરેન્દ્રનગર23 મિનિટ પહેલા
- કૉપી લિંક

આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે રાજ્યભરમાં વિવિધ જાગરૂકતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામા તબક્કાવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શ્રી એમ.પી. શાહ કૉલેજ ખાતે સવારે 6થી 8 કલાક સુધી યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ શિબિર બાદ એમ.પી. શાહ કૉલેજથી ટાવર સુધી ‘યોગ પદ યાત્રા’ યોજાઈ હતી. જેમાં 900 જેટલા નાગરિકો પદયાત્રામાં જોડાયા હતા.

યોગ શિબિરમાં સ્ટેટ કો-ઓર્ડીનેટર રાધે શ્યામજી યાદવએ ભાગદોડ ભરેલી જીવનશૈલીની આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી પર થઈ રહેલી વિપરીત અસરો વિશે વાત કરતા યોગ અને પ્રાણાયામનાં મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી. રોજિંદા જીવનમાં ઉદ્ભવતા તણાવનો સામનો કરી શકાય અને સ્વસ્થ રહી શકાય તે માટે ઉપયોગી આસન, પ્રાણાયામ સહિતનાં યોગાભ્યાસ વિશે તેમણે માર્ગદર્શન આપ્યું હતું. યોગને જીવનશૈલીનો ભાગ બનાવી તેનો નિયમિત અભ્યાસ કરવા માટે સૌને ખાસ અનુરોધ કર્યો હતો. આ સમગ્ર શિબિરનું સંચાલન જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર નીતા દેસાઈએ કર્યું હતું. યોગ કોચ ઘનશ્યામભાઈ ચાવડાએ કાર્યક્રમની આભારવિધી કરી હતી.

આ શિબિરમાં વણકર, પ્રીતિબેન શુક્લા, વૈભવભાઈ ચોકસી, કમલેશભાઈ રાવલ, વિમલભાઈ કવા, રમત-ગમત અધિકારી રોહિતસિંહ સહિતનાં મહાનુભાવો અને યોગપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. યોગ કોચ અંજનાબેન કવા, ઇલાબેન કવા અને યોગ ટ્રેનર ભાવનાબા મોરી, નિકિતાબેન, પદ્માબેન, દૃષ્ટી કવા સહિતનાં લોકોને વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્ટેટ કો-ઓર્ડીનેટર રાધેશ્યામજી યાદવનાં વરદ હસ્તે હેન્ડલુમ સર્કલ પાસે ‘ડિજિટલ યોગ ક્લોક’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ યોગ ક્લોક આગામી નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને બાકી રહેલા દિવસોનું કાઉન્ટ ડાઉન દર્શાવશે. આ યોગ વોચ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમજ યોગ શિબિરમાં જોડાવા માટે લોકોને પ્રેરિત કરશે.


