વડોદરા14 મિનિટ પહેલા
- કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર
સાવલી પાસેના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબી જતાં 21 વર્ષીય આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. બનાવને પગલે પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઇ ગઇ હતી. સાવલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યો
મળેલી માહિતી મુજબ સાવલી તાલુકાના ચારણપુરા ગામમાં રહેતો પ્રજ્ઞેશ અર્જુનભાઈ સોલંકી અને તેના મિત્રો લાંછનપુરા ખાતે આવેલ મહી નદીમાં નાહવા ગયો હતો. દરમિયાન નદીના વહેતા પાણીમાં પ્રજ્ઞેશ સોલંકી નદીમાં તણાયો હતો. જેના પગલે સાથી મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને યુવકને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યો હતો.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
ત્યારબાદ 108 એમ્બ્યુલન્સમાં સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.આ બનાવના પગલે મૃતકના પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી અને જન્મોત્રી હોસ્પિટલ ખાતે સમગ્ર પરિવારે આક્રંદ કરી મૂક્યું હતું. જાણવા મળ્યા પ્રમાણે મૃતક પ્રજ્ઞેશ પરણીત હતો અને એક બાળકના પિતા પણ છે. સાવલી પોલીસે હાલ અકસ્માત મોત રજીસ્ટર કરી કાર્યવાહી હાથ ધરી છે.