પત્નીએ કુહાડીના ઘા મારી પતિની હત્યા કરી, પ્રેમી સાથે મળી લાશને કોથળામાં નાખી એક્ટિવા પર લઈ જઈ 30 કિમી દૂર ફેંકી | Wife kills husband with ax, finds body with lover in sack and drives Activa 30 km away | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વાહિયાળ ગામના યુવકની હત્યાનો ભેદ ઉકલાયો છે. યુવકની હત્યા તેની જ પત્નીએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેમી સાથે જ રહેતી પત્ની તેના પતિ પાસે છૂટાછેડા માગતી હતી, પરંતુ સંતાનોને કારણે છૂટાછેડા ન આપતો હોવાના કારણે પત્નીએ હત્યા નીપજાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ હત્યામાં પત્નીના પ્રેમી અને તેના મિત્રની પણ સંડોવણી ખૂલી છે. પતિને કુહાડીના ઘા મારી હત્યા નિપજાવ્યા બાદ પ્રેમી અને તેના મિત્ર સાથે મળી પત્નીએ લાશને કોથળામાં નાખી હતી અને ત્યાર બાદ એક્ટિવા પર સવાર થઈ 30 કિમી દૂર ફેંકી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.

અજાણ્યા યુવકની મળી આવેલી લાશ બાદ હત્યાનો ઘટસ્ફોટ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તામછડીથી કોરવડ જતા રોડની સાઈડ પરથી 28મી તારીખે એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી. પ્રાથમિક તપાસમાં ગળાના ભાગે ઈજાનાં નિશાન મળી આવતાં તપાસ હાથ ધરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે મુકેશ પટેલ નામની વ્યક્તિ બે દિવસથી ગુમ છે. ત્યાર બાદ તેની ખરાઈ કરતાં લાશ મુકેશ પટેલની હોવાનું સ્પષ્ટ થયું હતું. મુકેશ પટેલના મોત પહેલાંની મૂવમેન્ટની તપાસ કરતાં તેની પત્ની જ્યાં રહે છે એ વિસ્તારમાં માલૂમ પડી હતી. જેથી મુકેશભાઈનાં પત્ની અને તેના પ્રેમીને પોલીસ સ્ટેશને બોલાવી પૂછપરછ કરી હતી. એમાં દિવ્યાનીબેને જ તેના પતિ મુકેશની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

છૂટાછેડા ન આપતાં પતિની હત્યા નીપજાવી
દિવ્યાની અને મુકેશને લગ્નજીવન દરમિયાન ત્રણ સંતાન છે. પતિ-પત્નીને મનમેળ ન રહેતાં દિવ્યાની છેલ્લાં ત્રણ વર્ષથી તેના પ્રેમી સંજય પંડિત સાથે બારોલિયા ખાતે રહે છે. પ્રેમી સાથે રહી શકે એ માટે દિવ્યાની વારંવાર મુકેશ પાસે છૂટાછેડા માગતી હતી, પરંતુ મુકેશ સંતાનોના ભવિષ્યની ચિંતા કરી છૂટાછેડા આપવાનો ઈનકાર કરતો હતો. 26 મેના દિવસે દિવ્યાનીએ પોતાના પતિ મુકેશને કામ હોવાનું કહી બારોલિયા બોલાવ્યો હતો અને છૂટાછેડા આપવા માટે કહ્યું હતું. પરંતુ મુકેશે ઈનકાર કરતાં દિવ્યાનીએ કુહાડીના ઘા મારી હત્યા નીપજાવી હતી.

લાશને કોથળામાં નાખી 30 કિમી દૂર ફેંકી આવ્યાં
બારોલિયામાં પતિની હત્યા કર્યા બાદ દિવ્યાનીએ તેના પ્રેમી સંજય પંડિતને જાણ કરી હતી. સંજય પંડિતે કોથળાની વ્યવસ્થા કરી હતી. ત્યાર બાદ દિવ્યાની, તેનો પ્રેમી સંજય અને સંજયનો મિત્ર જયકુમાર ગાવિતે મુકેશની લાશને કોથળામાં રાખી હતી. ત્રણેય મળી એક્ટિવા પર સવાર થયાં હતાં અને બારોલિયાથી 30 કિમી દૂર લાશને ફેંકી આવ્યાં હતાં.

વલસાડ એસપી

વલસાડ એસપી

પત્ની સહિત ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા
મુકેશની હત્યા મામલે પોલીસે મુકેશની પત્ની દિવ્યાની, તેનો પ્રેમી સંજય બિન્દાસ પંડિત અને સંજયના મિત્ર જય ગાવિતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post