નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક
નવસારીના ચીખલી ખાતે આવેલા ખુધ ગામના નારી સરક્ષણ ગૃહમાં 2019 થી આશ્રિત બહેન દેવઅમ્માને આશ્રય લઇ રહ્યા હતા. બહેનની ભાષા કન્નડ હોવાથી વાતચીત કરવામાં અને સમજવામાં મુશ્કેલી પડતી હતી. ત્યારબાદ બહેનના આધાકાર્ડની પ્રક્રિયામાં ડી-ડુપ્લિકેશન માટે બાયોમેટ્રિક દરમિયાન આશ્રિત બહેન દેવઅમ્મા વાંકસમ્બ્રા ગામ, યાદગીરી જિલ્લા, કર્ણાટક રાજ્યના વતની હોવાનું જાણવા મળ્યું હતું. વાંકસમ્બ્રા ગામના પોસ્ટમેનનો ટેલીફોન આવતા આશ્રિત બહેન દેવઅમ્માના પતિ સાથે સંપર્ક કરી ટેલિફોનિક વાતચીત કરી હતી.
ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર સંચાલિત નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ,ચીખલીની સંસ્થામાં પિડીત, અનાથ, ઘરેલુ હિંસાનો ભોગ બનનાર, દિવ્યાંગ, માનસિક બિમાર, હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલ વગેરે 18 થી 59 ઉંમરની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. તે ઉપરાંત શૈક્ષણિક, આરોગ્યલક્ષી, બહેનો પોતાના પગભર થાય તે માટે આર્થિક ઉપાર્જનની તાલીમ અને સામાજિક અને ધાર્મિક વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને કાઉન્સેલિંગ કરી બહેનનું પરીવારમાં યોગ્ય પુન:સ્થાપન થાય તે હેતુથી બહેનને પ્રવેશ અને પુન:સ્થાપનની કામગીરી કરવામાં આવે છે. આશ્રિત બહેનોનું પુન:સ્થાપન બે પ્રકારે કરવામાં આવે છે. જેમાં અનાથ બહેનોનું લગ્ન દ્વારા તથા રોજગારી પુરી પાડી અથવા નોકરી લગાવીને પુન:સ્થાપન તેમજ અન્ય બહેનોનું કુટુંબમાં પુન:સ્થાપન તથા અન્ય સંસ્થામાં ફેરબદલી દ્વારા સંસ્થામાં વસવાટ દરમિયાન આશ્રિત બહેનોને તમામ પ્રકારની સુવિધાઓ વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે.
જિલ્લા કક્ષાના મહિલા અને બાળ અધિકારી નવસારીના સંકલન થકી નારી કેન્દ્ર ચિખલી,ખુંધના વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષ અને નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન થકી કર્ણાટક રાજ્યના સરકારી મહિલા ગૃહમાં ટ્રાન્સફર કરવા આપેલી પરવાનગી અને પ્રેરણા થકી તેઓના પરિવાર સુધી પહોચવા માટે પરવાનગી મળી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી પણ ફેર બદલ કરવાની પરવાનગી મળી જતા ખુંધ નારી કેન્દ્રના મેનેજર ભાવીનાબેન આહીર તેમજ નારી કેન્દ્રના વ્યવસ્થાપક સમિતિના સભ્યએ મહિલાને તેમના માદરે વતન ખાતે હેમખેમ પહોચાડવાની જવાબદારી ઉપાડી હતી. નવસારી જિલ્લા પોલીસ વડાએ બહેનને સુરક્ષા અને સલામતી મળી રહે એ માટે સરકારી પોલીસ વાહન તથા ડ્રા.પો.કો,અને મ.પો.કો ની ફાળવણી કરી આપવામાં આવી હતી. જેના આધારે તા:૨૮/૦૫/૨૦૨૩ના રોજ સરકારી પોલીસ વાહન તથા ડ્રા.પો.કો-સંજયભાઇ કાંતિભાઇ ડ્રા.હે.કો-રોહિતભાઇ ભીખુભાઇ અને મ.પો.કો-સુનિતા દુર્લભભાઇ તથા નારી સંરક્ષણ કેન્દ્ર, લેડીગાર્ડ-પ્રતિભાબેન હસમુખભાઇ પટેલ આશ્રિત બહેન દેવઅમ્માને લઇ નારી સંરક્ષણ કેન્દ્ર,ખુંધ,ચીખલી ખાતેથી યાદગીર જિલ્લાના શ્રી શરારા નાયડુ શિક્ષના સમાસ્ટ સ્વધારગૃહ ,જી.યાદગીર, કર્ણાટક રાજ્ય ખાતે જવા રવાના થયા હતા અને તા.૨૯/૦૫/૨૦૨૩ ના રોજ ત્યાં આશ્રિત બહેન દેવમ્માનો કબ્જો સોંપવામાં આવ્યો હતો.
આશ્રિત બહેન દેવઅમ્માને નારી સંરક્ષણ કેન્દ્ર,ખુંધ, ચીખલી ગુજરાત ખાતેથી યાદગીર જિલ્લાના શ્રી શરારા નાયડુ શિક્ષના સમાસ્ટ સ્વધારગૃહ, જી.યાદગીર, કર્ણાટક રાજ્ય ખાતે પહોંચાડવા માટેની સફળ અને સરાહનીય કામગીરી માટે કર્ણાટક રાજ્યના યાદગીરી જિલ્લાના કમિશ્નરશ્રી સ્નેહલ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના ડેપ્યુટી ડાયરેકટર પ્રેમ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર શ્રીયાલ્લપ્પા તથા આશ્રિત બહેન દેવમ્માના કુટુંબના સભ્યોએ નવાસારી જિલ્લા વહીવટી તંત્ર તથા નવસારી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીએ આજદિન સુધી નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે સહી સલામત રીતે આશ્રય, આરોગ્ય અને અન્ય પ્રાથમિક સુવિધા પુરી પાડનારા નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર ભાવનાકુમારી આહિર તથા સ્ટાફનો આભાર માન્યો હતો.