Sunday, November 5, 2023

Inauguration of 40 residences of Railway Police | અમેરિકામાં ગુજરાતી યુવક પર ગોળીબાર, માથા વગરનો મૃતદેહ મળી આવતાં ચકચાર, સિંઘમ સ્ટાઈલમાં બદમાશને દબોચ્યો

3 કલાક પેહલા

  • કૉપી લિંક

રેલવે પોલીસના 40 આવાસોનું લોકાર્પણ
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ સુરત દ્વારા પોલીસ લાઈન વરાછા ખાતે રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે કક્ષા બી-40 ટાઈપના 7 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસોનું આજે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોષ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે આ આવાસ લોકાર્પણમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ ઇમારતને સરકારી નહિ પરંતુ પોતાનું સપનાનું મકાન સમજી લેજો. સરકારી મુહૂર્ત સમજી નહીં પરંતુ કુંભઘડો મૂકી ઘરમાં પ્રવેશ કરજો. સાથે દિવાળી તહેવારને લઈ રસ્તા ઉપર વેપાર કરતાં ફેરિયાઓની પણ પોલીસ દિવાળી ન બગાડે તે પ્રકારે વ્યવસ્થા કરવા અંગે ટકોર કરી હતી.

રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો
શહેરની અંદર રખડતા ઢોરોનો ત્રાસ હજી ઓછો થયો નથી. કોર્પોરેશન દ્વારા સમયાંતરે ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તેનું યોગ્ય પરિણામ આવી રહ્યું નથી. ફરી એકવાર સારોલી વિસ્તારમાં રખડતા ઢોર રસ્તામાં આવી જતા બાઈક ચાલકનું મોત થયું છે. જ્યારે એક ભાઈને હાથમાં ફ્રેક્ચર થયું છે. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યો છે.સુરતના ઈચ્છા પર વિસ્તારમાં આવેલી અંકિત જેમ્સ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા બે રત્નકલાકાર ભાઈઓ (તુષાર મિશ્રા મૃત્યુ પામનાર, ગૌરવ મિશ્રા ઈજાગ્રસ્ત) કામ પૂર્ણ થઈ ગયા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સારોલી રોડ ઉપર એકાએક જ રખડતું ઢોર રસ્તા ઉપર આવી ગયું હતું. બાઈક પર સવાર તુષાર નામનો યુવક કઈ સમજે તે પહેલા જ તેમની ટક્કર ઢોર સાથે થઈ હતી. પરિણામે નીચે પટકાતા તુષારનું સારવાર દરમિયાન મોત થયું હતું, તેમજ એક ભાઈને હાથમાં ફ્રેક્ચર થયું છે.મધ્યમ વર્ગના પરિવારના બે સગા ભાઈઓનો અકસ્માત થતા પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હતું. કટલરીનો બિઝનેસ કરતા પિતાને સમાચાર મળતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તુષારનો એકાએક અવસાન થતા પરિવારજનો પણ શોકમાં ડૂબી ગયા હતા. દિવાળી પૂર્વે બનેલી ઘટનાથી સમગ્ર ઓલપાડ પંથકમાં શોકનો માહોલ ફેલાયો હતો.

USમાં નડિયાદના યુવક પર ફાયરિંગ
અમેરિકામાં ફરી ગુજરાતીને ટાર્ગેટ બનાવાયો છે. વધુ એક વખત ગુજરાતી પર હુમલો થયાની ઘટના ઉજાગર થઈ છે. મુળ નડિયાદના અને વર્ષોથી અમેરિકામાં સ્થાઈ થયેલા યુવાન પર અજાણ્યા લોકોએ યુવાનના ઘરની પાસે જ રિવોલ્વરથી ગોળી મારવાનો બનાવ બન્યો છે. આ હુમલામાં યુવાનને હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લૂંટના ઈરાદે હુમલો કરાયાની શંકા વ્યક્ત કરાઈ છે. ત્યારે અમેરિકા પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ મુળ નડિયાદના વતની એવા શૈલેષભાઇ મેનગરના પુત્ર ઉજાસ છેલ્લા કેટલાય સમયથી અમેરિકાના નોર્થકોરોલીના સ્ટેટના ગ્રીન બોરો સીટીમાં રહે છે. ઉજાસ પોતાના ઘરેથી કારમાં ઉતરતા હતા. આ સમયે એકાએક આવેવા શખ્સોએ તેમને આંતરી દીધા હતા અને ઉજાસભાઈ કાઈ‌ સમજે તે પહેલા જ આ અજાણ્યા લોકોએ રીવોલ્વરથી ધડાધડ ગોળીબાર કર્યો હતો. જેથી ગોળી ઉજાસભાઈના પેટમાં વાગી હતી. આ બાદ આસપાસના લોકો દોડી આવતાં આ અજાણ્યા લોકો ફરાર થયા હતા.ગંભીર રીતે ઘાયલ ઉજસભાઈને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. આ બનાવથી પરિવારના સભ્યો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. પરિવારના સભ્યો તરફથી મળતી માહિતી મુજબ ઉજસભાઈ પોતે એન્જિનિયર હતા અને અજાણ્યા લોકોએ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. લૂંટના ઈરાદે અજાણ્યો શખ્સ ગાડીનો પીછો કરી ઘર સુધી ઘસી આવી અને કારમાંથી ઉતરતા જ ઝપાઝપી કરી રિવોલ્વરથી ફાયરીંગ કર્યું હતું.
યુવકના પિતા શૈલેષભાઈ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, મારો પુત્ર ગુરુવારે રાત્રે જ્યારે જોબ પૂર્ણ કરી તેની કાર લઈને ઘરે આવતો હતો. આ દરમિયાન પીછો કરી આવેલા અજાણ્યા શખ્સે નાણાં માંગ્યા હતા અને આ દરમિયાન ઝપાઝપી થતાં અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. ત્રણ ગોળી પેટમાં ઘૂસાડી દીધી હતી. જે પૈકી તબીબોએ બે ગોળીઓને પેટમાંથી બહાર કાઢી છે, જોકે, એક ગોળી નીકળે એવી શક્યતા નથી. હાલ હાલત સ્થિર હોવાનું જણાવ્યું છે.

અમદાવાદમાં માથાં વગરનો મૃતદેહ મળ્યો
અમદાવાદના આનંદનગરમાંથી માથા વગરની યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. માથું શરીરથી અલગ કપાયેલી હાલતમાં મળી આવ્યું હતું. પ્રાથમિક તબક્કે હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસને જાણ થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વેજલપુર વિસ્તારમાં ગ્રીન એકર બિલ્ડિંગ નજીકનો આ બનાવ છે.એસીપી એસ.ડી. પટેલે જણાવ્યું હતું કે, પાંચ તળાવ પાસેના ઝાડી-ઝાંખરામાંથી અંદાજિત 35 વર્ષના પુરુષનો મૃતદેહ મળ્યો હતો. FSLની તપાસ બાદ હત્યા કે આપઘાત છે તે હકીકત સામે આવશે. લાશ જૂની હોવાથી કોહવાઈ ગઈ છે. અત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે.અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાંથી લાશ મળી આવી. લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ 10થી 15 દિવસ જૂની હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. સ્થાનિકોને ખાલી પડેલા પ્લોટમાંથી દુર્ગંધ આવતી હોવાથી પોલીસને જાણ કરી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.સૌથી મોટી વાત એ છે કે, જે પ્લોટમાંથી લાશ મળી આવી તે જગ્યા પર આનંદનગર પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારે 2 વર્ષ પહેલાં આનંદનગર પોલીસ સ્ટેશન બનાવવા માટે આ પ્લોટ ફાળવ્યો હતો. હંસ રેસિડેન્સી નજીક આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હતી. જેને પગલે આનંદનગર પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં અવાવરું જગ્યાએ પુરુષનો મૃતદેહ પડ્યો હતો.

પરિણીતાએ સાસુ અને બાળકો સાથે આત્મહત્યા કરી
બનાસકાંઠા જિલ્લાના પાલપુરના નાની ભટામલ ગામે રહેતી પરિણીતાએ તેનાં બે સંતાનો અને સાસુ સાથે મળી દાંતીવાડા ડેમમાં ઝંપલાવી સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પરિણીતા, તેનાં સાસુ અને તેનાં સંતાનોને મૃતક પરિણીતાનો પતિ અને સસરા શારીરિક-માનસિક ત્રાસ આપતા હોઇ આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામમાં રહેતાં નયનાબા નારણસિંગ ચૌહાણે તેમની 8 વર્ષીય પુત્રી સપનાબા, પાંચ વર્ષીય પુત્ર વિરમસિંગ અને સાસુ કનુબા ગેનસિંહ ચૌહાણ સાથે મળી દાંતીવાડા ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. એક જ પરિવારના ચાર લોકોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા નાના એવા ગામમાં સન્નાટો છવાયો છે.પાલનપુરના નાની ભાટમલ ગામે પરિણીતા, તેના બે સંતાનો અને સાસુએ સામૂહિક આત્મહત્યા કરી લેતા મૃતક પરિણીતાના ભાઈ દ્વારા તેના બનેવી અને બનેવીના પિતા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતક પરિણીતા નયનાબાના પતિ નારણસિંગ ચૌહાણ અને સસરા ગેનસિંગ ચૌહાણે શારીરિક અને માનસિક ત્રાસ આપી મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.

સિંઘમ સ્ટાઈલમાં આરોપીની ધરપકડ
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં દિવાળી અગાઉ જ લૂંટની ઘટના બની હતી. શેલ પેટ્રોલ પંપ પાસે મોડી રાત્રે લૂંટની ઘટના બની હતી. જેમાં લૂંટારુંઓએ મોબાઇલ અને રોકડની લૂંટ ચલાવી હતી. લૂટ કરી આરોપીઓ ભાગ્યા તેમની પાછળ દોઢ કિ.મી. સુધી 2 પોલીસકર્મીઓ પણ ગયા હતા. જેમને આરોપીઓએ બંદૂક બતાવી, પરંતુ પોલીસકર્મીએ હિંમત કરી આરોપીના હાથમાં લાકડી મારી બંદૂક પાડીને આરોપીઓને ઝડપી લીધા હતા.

સામાન્ય ઝગડામાં કર્મચારીનું મોત
વડોદરાના તાંદલજા વિસ્તારમાં ફરાસખાનાનું કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે ઝઘડો થયા બાદ એક કર્મચારીએ બીજા કર્મચારીને છાતીના ભાગે ચપ્પુ મારી દેતા તેનું મોત થયું હતું. યુવકની હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જે.પી. રોડ પોલીસે આ મામલે આરોપી વજરાજ ઉર્ફે ધર્મેન્દ્રની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.શહેરના તાંદલજામાં રહેતો ગોપાલ નિનામા (ઉ.38) અને વનરાજ ઉર્ફે ધર્મેન્દ્ર ચૌહાણ ગઇકાલે જેપી રોડ પોલીસ સ્ટેશન પાસે આવેલા ટોકટાઇમ મોબાઈલની દુકાનના દિવાળી ટાણેના ડેકોરેશન માટે બંને જણાં પડદા લગાવવાનું કામ કરતાં હતા. ત્યારે સામાન્ય બોલાચાલી બાદ વનરાજે ગોપાલ નિનામાની છાતીમાં ચપ્પુ મારી દીધુ હતું. જેથી ગોપાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ બેભાન થઈ ઢળી પડ્યો ગયો હતો. જેને પગલે ગોપાલને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન ગોપાલ નિનામાએ અંતિમ શ્વાસ લીધા હતા.

Related Posts: