- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- અમદાવાદ
- એક વૃદ્ધ દંપતિ કે જેમણે તેમના પુત્રવધૂને ગુમાવ્યા, અકસ્માતમાં બે પૌત્રો એક ચિલ્ડ્રન્સ પાર્ક બનાવ્યો; 100 બાળકો દરરોજ રમે છે, કહ્યું અમારા બાળકો રમે છે
અમદાવાદએક કલાક પહેલાલેખક: ચિંતન રાવલ
- કૉપી લિંક
સરલાબેન ઠક્કર
- રોજ સવાર-સાંજે બાળકોનું ધ્યાન રાખે છે, સિઝન મુજબ ખાવાની વસ્તુઓ પણ આપે છે
ઈસનપુરની ભગવાનનગર સોસાયટીના વૃદ્ધ દંપતીએ અકસ્માતમાં 33 વર્ષના પુત્ર, પુત્રવધૂ અને બે પૌત્ર ગુમાવ્યા. પરિવારની યાદ જીવંત રાખવા મહેશભાઈ અને સરલાબહેન નામના દંપતીએ ઘરની બાજુમાં જગ્યા ખરીદી લઈ ચિલ્ડ્રન પાર્ક બનાવ્યો. પોતાના ખર્ચે જ પાર્કમાં હિંચકા, લપસણી, ચકડોળ જેવાં સાધનો મૂકાવ્યા. આજે રોજ 100 બાળક આ પાર્કમાં રમવા આવે છે. પાર્ક બનાવ્યાના થોડા સમય પછી મહેશભાઈનું પણ અવસાન થયું. પરંતુ સરલાબહેન આજે પણ આ પાર્કમાં જઈને બેસે છે અને બાળકોને રમતા નિહાળી કહે છે, આ બાળકોમાં અમને અમારા સંતાન દેખાય છે. 2009માં પરિવારના ચાર સભ્યોના અવસાન પછી તમામ ધાર્મિક વિધિ પતાવી દંપતીએ ત્રણ જ દિવસમાં ચિલ્ડ્રન પાર્ક બનાવી દીધો હતો.
આસપાસની સોસાયટીમાં જરૂરિયાતમંદ બાળકોને ચોપડા તેમજ અનાજની કિટનું પણ વિતરણ કરે છે.
લગભગ 12 વર્ષના ગાળા પછી મહેશભાઈનું અવસાન થયું હતું. જો કે, સરલાબહેને બાળકોની ખુશી જાળવવા પાર્ક ચાલુ રાખવાનો જ નિર્ણય કર્યો હતો. રોજ સવારે અને સાંજે તેઓ પાર્કમાં બેસી બાળકોનું ધ્યાન રાખે છે. એટલું જ નહીં પરંતુ તેમના માટે ચોકલેટ અને બિસ્કિટ પણ લાવે છે. સિઝન પ્રમાણે બાળકોને ખાવાની અલગ અલગ વસ્તુઓ પણ આપવામાં આવે છે. દંપતીને બે દીકરી છે, દીકરી અને જમાઈ સરલાબહેનને સાથે રહેવા બોલાવે છે પરંતુ તેમનું કહેવું છે કે, જો તેઓ જતા રહે તો આ બાળકોની ખુશી છીનવાઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ના પ્રતિનિધિ સાથે વાત કરતા સરલાબહેનની આંખો ભીંજાઈ ગઈ હતી. છતાં સ્વસ્થતા કેળવી તેમણે કહ્યું, પાર્કમાં રમતા બાળકો જ હવે તેમનો પરિવાર છે. આ બાળકોની ખુશીમાં જ તેમની ખુશી સમાયેલી છે.
એમ લાગે છે કે, પૌત્રો ધ્યેય અને કુંજ નજર સામે આવી ગયા છે
દીકરો, પુત્રવધૂ અને બે પૌત્ર ગુમાવ્યાનું દુ:ખ છે. ભગવાનને જે ગમ્યું તે ખરું. પરંતુ, કહે છે કે, ભગવાન એક રસ્તો બંધ કરે તો બીજા 100 રસ્તા ખોલે છે. આ વિચારે મારા પતિ મહેશભાઈએ ચિલ્ડ્રન પાર્ક બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો. તેમજ રમત-ગમતના તમામ સાધનો જાતે જ ખરીદી ત્રણ દિવસમાં પાર્ક તૈયાર કર્યો હતો. દર 6 મહિને ગરીબ બાળકો માટે ચોપડા અને અનાજની કિટનું વિતરણ કરતા હતા. મહેશભાઈના અવસાન પછી પણ સરલાબહેને આ ચીલો ચાલુ રાખ્યો છે. તેમણે કહ્યું, સવારે-સાંજે પાર્કમાં બાળકોને રમતા જોઉં તો મને મારો પુત્ર ચિરાગ, પુત્રવધૂ સુનિતા અને પૌત્રો ધ્યેય અને કુંજ નજર સામે રમતા હોય એવું લાગે છે.