અમદાવાદએક કલાક પહેલાલેખક: સમીર રાજપૂત
- કૉપી લિંક
ફાઇલ તસવીર
- કરોડરજ્જુમાં તકલીફને કારણે બાળકી પીઠથી વળી ગઈ હતી, કિડની પણ 1 હતી
શહેરની ખાનગી હોસ્પિટલના તબીબોની ટીમે જન્મજાત ખોડને લીધે હૃદય, સ્કોલિયોસીસ અને ઓટિઝમ સહિતની બીમારીથી પીડાતી 12 વર્ષીય બાળકીની કરોડરજ્જુ સીધી કરવાની સફળ સર્જરી કરીને અપંગતાથી બચાવી છે. જન્મજાત ખોડને લીધે 8 મહિનાની વયે બાળકીને હાર્ટ સર્જરી કરવી પડી હતી. અગાઉ કરોડરજ્જુની સર્જરી થઇ હતી. 8 કલાકની સર્જરીમાં નાની ભૂલથી બાળકી કાયમ માટે લકવાગ્રસ્ત થઈ શકે તેનું જોખમ હતું.
બાળકી જન્મથી જ અન્ય અવયવો સાથે પણ સંકળાયેલી એવી માયલોમેનિંગોસેલ અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરથી પણ પીડાતી હતી. 8 મહિનાની વયે બાળકીના હૃદયના ઉપલા ચેમ્બરમાં છિદ્રનું નિદાન થતાં ઓપન-હાર્ટ સર્જરી કરાઇ હતી. તેમજ અઢી વર્ષની ઉંમરે કરોડરજ્જુ વર્ટેબ્રલ કોલમ સાથે જોડાયેલું હોવાથી ચાલવાની તકલીફને લીધે મુંબઈમાં પ્રોફિલેક્ટિક પ્રિવેન્ટિવ સર્જરી કરાઇ હતી. સોનોગ્રાફીમાં બાળકીને માત્ર 1 કિડનીનું હોવાનું નિદાન થયું હતું. પીઠથી વળી જવાની સાથે અનેક સમસ્યાથી ઝઝૂમી રહી હતી.
ખાનગી હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે, બાળકીની તપાસ કરતાં છેલ્લાં 12 વર્ષથી કરોડરજ્જુની અસામાન્ય વૃદ્ધિ થઇ રહી હતી, જે તેને સ્કોલિયોસિસ તરફ દોરી જઇ રહી હતી. જેથી મેં અને મારી ટીમે કરોડરજ્જુને નુકસાન ન થાય તે રીતે ‘સ્પાઇનલ ઓસ્ટિઓટોમી’ તરીકે ઓળખાતી સર્જરીનો નિર્ણય લીધો હતો. જોકે, સર્જરી દરમિયાન કરોડરજ્જુની કાર્યક્ષમતા પર દેખરેખ રાખવા ઇન્ટ્રા-ઓપરેટિવ અને ન્યૂરો-મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો.
બાળકીના માતા-પિતા જણાવે છે કે, અમારી દીકરીના ડિસઓર્ડર અને કરોડરજ્જુની સમસ્યા અંગે અનેક ડોક્ટરોની સલાહ લીધી હતી, પણ સારવારથી સંતોષ ન હતો. પરંતુ, ડોક્ટરે સફળ સર્જરી કરતાં અમારી દીકરીને પોતાના પગે ચાલતી કરીને તેને અપંગતાથી બચાવી છે.
સર્જરીમાં ચૂક થઈ હોત તો લકવો થવાનું જોખમ હતું
બાળકી ભૂતકાળમાં કરોડરજ્જુની પ્રક્રિયામાંથી પસાર થઈ હતી. તેમજ કરોડરજ્જુની અસામાન્ય વૃદ્ધિને લીધે કરોડરજ્જુને તોડી અને કરોડરજ્જુના સ્તંભના કાર્યને પુનઃવ્યવસ્થિત કરવાની હતી, તેમજ સર્જરીમાં કરોડરજ્જુને નુકસાન થતાં બાળકી કમરથી નીચેના ભાગથી લકવાગ્રસ્ત થવાની શક્યતા હતી. સર્જરીને અભાવે બાળકીની સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા હતી.