સિરામિક ફેકટરીમાં ખુલ્લી તલવાર સાથે કોન્ટ્રાક્ટરનો આંતક, ભારે આક્રોશ

[og_img]

  • મોરબીમાં સીરામીક ઉધોગપતિ ઉપર કોન્ટ્રાકટરોનો હુમલો
  • સીરામીક ઉધોગકારો તાલુકા પોલીસ મથકે દોડી જઇ ઉગ્ર રજુઆત કરી
  • રાજ્યમંત્રી મેરજાએ લુખ્ખાઓને ભરી પીવા તાકીદ કરી

સિરામીક ઝોન મોરબીમાં કામ કરતા પરપ્રાંતિય કોન્ટ્રાક્ટરો હમણાં હમણાં દાદાગીરી અને લુખ્ખાગીરી ઉપર ઉતરી આવ્યા હોવાની ફરિયાદ વચ્ચે આજે પીપળી રોડ ઉપર આવેલ સ્પેન્ટાગોન સિરામિક ફેકટરીમાં કોન્ટ્રાક્ટરને હિસાબ કરી છૂટો કરી દેવાતા માથાભારેની છાપ ધરાવતા જાટ કોન્ટ્રાક્ટરે ફેકટરીમાં ખુલ્લી તલવાર સાથે ધસી આવી ફેકટરી માલિકને માર મારતા આ બનાવના ઘેરા પડઘા પડયા છે. હાલમાં મોરબી તાલુકા પોલીસે બન્ને લુખ્ખાઓને ઝડપી લીધા છે.

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સ્પેન્ટાગોન સિરામિક ફેકટરીમાં કોન્ટ્રાકટ ધરવતા પરપ્રાંતિય કોન્ટ્રાક્ટર રણબીર જાટ, રહે. પાવડીયારીને કોઈ કારણોસર ફેકટરી માલિકે છૂટો કરી હિસાબ કરી દેતા રોષે ભરાયેલા આ કોન્ટ્રાકટર અને તેના માણસે રીતસરનો આંતક મચાવી બન્ને શખ્સો ફેકટરીમાં ખુલ્લી તલવાર સાથે ધસી જઈ ફેકટરી સંચાલક પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાને માર માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુની સિરામિક ફેક્ટરીમાંથી અંદાજે 150 જેટલા મોરબીના સ્થાનિક ફેકટરી સંચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

બીજી તરફ આ ગંભીર બનાવની જાણ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાને થતાં તેઓએ મોરબીમાં આ પ્રકારની લુખ્ખાગીરી કોઈ પણ ભોગે નહિ ચલાવી લેવાય તેવું સ્પષ્ટ કરી જિલ્લા પોલીસવડાને તાકીદે કડક પગલા ભરવા સૂચના આપી હતી. દરમિયાન સ્પેન્ટાગોન સિરામિકમાં બનેલી આ ઘટના સંદર્ભે ફેકટરી માલિક અને અન્ય કારખાનેદારો તેમજ મોરબી સિરામિક એસોસીએશનના હોદેદારો તાલુકા પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને આજની ઘટનાને અંજામ આપનાર રણબીર જાટ કોન્ટ્રાકટર આખા પીપળી રોડ ઉપર દાદાગીરી ચલાવતા હોવાનું રોષ ભેર જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ગંભીર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ ત્વરિત કાર્યવાહી કરી તલવાર સાથે આંતક મચાવી લુખ્ખાગીરી કરનાર રણબીર જાટ સહિતના આરોપીઓને તત્કાળ દબોચી લઈ ફેકટરીના સંચાલક પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાની વિધિવત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Previous Post Next Post