રાજકોટ32 મિનિટ પહેલા
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષે કમર કસી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળવાની. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મુખ્ય ઓબર્ઝવર તરીકે હાજર રહેશે. પરંતુ રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પરમિશન આપવામાં આવી નથી. રાજકોટમાં છેલ્લા એક કલાકથી વરસાદ નથી તો શા માટે પરમિશન આપવામાં આવી રહી નથી. તેવો આક્ષેપ કોંગી ધારાસભ્ય લલિત કગથરાએ કર્યો છે. કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે, અશોક ગેહલોત રાજકોટ પહોંચી ન શકે તેવા પ્રયત્ન ભાજપ કરતો હોય તેવું સ્પષ્ટ દેખાય આવે છે.
અશોક ગેહલોત વગર જ કોંગ્રેસે બેઠક શરૂ કરી
કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક હેમુ ગઢવી હોલમાં શરૂ કરાઇ છે. બેઠકમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને સાંસદો પણ હાજર રહ્યા છે. અશોક ગેહલોત વગર જ બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં રામકિશન ઓઝા, અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, લલિત કગથરા, લલિત વસોયા, વિરજી ઠુંમર, પ્રતાપ દુધાત, વિક્રમ માડમ, હર્ષદ રીબડીયા, ચિરાગ કાલરીયા, અંબરીશ ડેર અને ઋત્વીજ મકવાણા હાજર રહ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના ધારાસભ્યો હાજર રહ્યા છે. બેઠકમાં શક્તિસિંહ ગોહિલે આપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનું સાચુ નામ અમીર આદમી પાર્ટી છે. રાજ્યસભામાં તેમના 10 ધનપતિઓ છે.
અશોક ગેહલોતની ગેરહાજરીમાં જ સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ બેઠક કરી.
અમારા હાઈકમાન્ડ દ્વારા પણ પ્રયાસો ચાલુ
કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતનો કાર્યક્રમ હતો. સૌરાષ્ટ્ર કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને નેતાઓ રાજકોટ આવી ગયા છે. છેલ્લા બે કલાકથી રાજકોટમાં એક છાંટો પડ્યો નથી. તેમ છતાંય રાજકોટ એરપોર્ટના ટ્રાફિક કંટ્રોલર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પ્લેનને ટેક ઓફ કરવાની પરમીશન આપતું નથી. અમારો કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે દિલ્હી બેઠા બેઠા એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલરને ભાજપ સૂચના આપતો હોય તેવું લાગે છે. પહેલા પણ હેલિકોપ્ટર ટેકઓફ કરવા દીધું નહોતું. એ જ પરિસ્થિતિ ગુજરાતમાં અત્યારથી ભાજપે શરૂ કરી દીધી છે. અમારા સતત પ્રયાસો છે કે અશોક ગેહલોત રાજકોટ આવે. અમારા હાઈકમાન્ડ દ્વારા પણ પ્રયાસો ચાલુ છે. તેમ છતાં નહીં આવે તો અમારા હાઈકમાન્ડમાંથી જે સૂચના આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું.
શહેરમાં અશોક ગેહલોત ગો બેકના પોસ્ટરો લાગ્યા.
શહેરમાં ‘અશોક ગેહલોત ગો બેક’ના પોસ્ટર લાગ્યા
રાજકોટમાં અશોક ગેહલોત ગો બેકના પોસ્ટરો લાગ્યા છે. આમ આદમી પાર્ટીના છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ રાજકોટમાં આવા પોસ્ટરો લગાવ્યા છે. ‘વિદ્યાર્થીને ન્યાય અપાવો, પછી ગુજરાત ચૂંટણીનું ચિંતન કરજો’ તેવું લખાણ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે. તેમજ અશોક ગેહલોતના ચહેરા પર લાલ કલરથી ચોકડી કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
હેમુ ગઢવી હોલમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓની બેઠક.
લોકશાહીમાં આવું ન થવું જોઈએ
સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામ કિશન ઓઝાએ જણાવ્યું હતું કે, અશોક ગેહલોતનો આજે સુરત અને રાજકોટનો પ્રવાસ હતો. તેઓ સવારે 11 વાગ્યાથી જયપુર એરપોર્ટ પર બેઠા છે. તેઓ સતત રાજકોટ અને સુરત એરપોર્ટના ટ્રાફિક કંટ્રોલરના સંપર્કમાં હતા. પરંતુ તેમને પરમિશન ન આપતા તેનો સુરત પ્રવાસ રદ કરાયો છે. પરંતુ હાલ જયપુર એરપોર્ટ પર રાજકોટ આવવા માટે બેઠા છે. અમે પણ એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલરમાં સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ કહે છે કે અમે મિટિંગમાં છીએ. કોઈ સંપર્ક કરવા તૈયાર નથી. પરંતુ દુર્ભાગ્યની વાત છે કે, સરકાર બીજા રાજ્યના મુખ્યમંત્રીને આવવા દેતી નથી. લોકશાહીમાં આવું ન થવું જોઈએ.
બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.
ભાજપ EDના દરોડા પડાવે છે લલિત કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના કોંગી આગેવાનો રાજકોટ આવી રહ્યા છે. કોંગી ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ વિપક્ષની સાથે પક્ષમાં સંકળાયેલા નેતાઓ ઉપર EDના દરોડા પડાવે છે. વિધાનસભાની ચૂંટણીને લઇને અશોક ગેહલોતનો પ્રવાસ મહત્વનો છે. અશોક ગેહલોત વિધાનસભા ચૂંટણીના મુખ્ય ઓબ્ઝર્વર છે. તેઓ સૌરાષ્ટ્રની બેઠકોને લઈને રિપોર્ટ મેળવશે. આપને લઇને જણાવ્યું હતું કે, આપનું કોઈ અસ્તિત્વ નથી, ગુજરાતમાં ત્રીજો પક્ષ કોઈ દિવસ સફળ થયો નથી. કેશુભાઈ પટેલની GPP પણ ગુજરાતમાં નિષ્ફળ થઈ હતી.
ગુજરાતમાં ત્રીજો પક્ષ સફળ રહ્યો નથી
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ચૂંટણી ઢંઢેરા માટે પ્રજા પાસેથી નિર્દેશ લેવામાં આવ્યા છે. ધારાસભ્યોએ પોતાની શક્તિ ઉપર અહંકાર ન રાખવો જોઈએ. જે જીતવા માટે સક્ષમ હોય તેને આ વખતે ટિકિટ આપવામાં આવશે. ગુજરાતમાં હૈદરાબાદ અને દિલ્હીથી નવા પક્ષ ચૂંટણી લડવા આવે છે. પરંતુ ગુજરાતમાં ત્રીજો પક્ષ સફળ રહ્યો નથી.