અરવલ્લી (મોડાસા)16 મિનિટ પહેલા
શ્રાવણ માસ એટલે પવિત્ર વ્રત અને ઉપાસના અનુષ્ઠાનનો મહિનો આ મહિનામાં પવિત્ર તહેવારોની અને પવિત્ર વ્રતોની ઉજવણી થતી હોય છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ ધાર્મિક ઉત્સવ દસ દિવસીય દશામાંના વ્રતનું આજે સમાપન થતા ભક્તો દ્વારા મૂર્તિઓનું પવિત્ર જળાશયોમાં વિસર્જન કરાયું છે.
વાત્રક નદીમાં મૂર્તિઓ વિસર્જીત કરાઈ
દશામાંના વ્રતની અષાઢ વદ અમાસના દિવસથી પ્રારંભ થાય છે અને શ્રાવણ સુદ નોમના દિવસે આ વ્રતની પુર્ણાહુતી થાય છે. આ દસ દિવસ દરમિયાન મહિલાઓ ઉપવાસી રહી દશામાં ની મૂર્તિ ની સ્થાપના કરે છે અને દસ દિવસ સવાર સાંજ પૂજન અર્ચન અને આરતી કરે છે. નોમના દિવસે રાત્રે તમામ ઉપવાસી મહિલાઓ જાગરણ કરે છે અને વહેલી સવારે પવિત્ર જળાશયો માં દસ દિવસ પૂજન કરેલી દશામાંની મૂર્તિનું વિસર્જન કરે છે. ત્યારે આજે જિલ્લાના માલપુર પાસે આવેલ પવિત્ર વેત્રવતી કે જેને વાત્રક નદી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં તમામ મહિલાઓ એકથી થઈ માતાજીની મૂર્તિ નદી કિનારે રાખી પૂજન અર્ચન કરીને આરતી કરી ત્યારબાદ નદીના જળમાં માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું. આમ શ્રવણ માસના પ્રથમ ધાર્મિક ઉત્સવ દશામાંના વ્રતની અનોખી શ્રદ્ધા સાથે જિલ્લામાં મહિલાઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.