ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે 28 ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયા (Team India) નો વિજય થયો હતો.
જાડેજાના સ્થાને કોને સમાવાશે એ મોટો સવાલ
એશિયા કપ (Asia Cup 2022) માં રવિવારે ચાહકોને ફરી એકવાર ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે. એશિયા કપના ગ્રુપ રાઉન્ડ માટે છ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. બંને ગ્રુપમાંથી ટોપ બે ટીમ સુપર 4માં પહોંચી હતી. ભારત (Indian Cricket Team) અને પાકિસ્તાને ગ્રુપ Aમાંથી સુપર 4માં સ્થાન મેળવ્યું છે. સુપર 4માં તમામ ટીમોએ એક વખત એકબીજાનો સામનો કરવો પડશે.
ભારત-પાકિસ્તાન બીજી વખત ટકરાશે
જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રૂપ રાઉન્ડમાં પહેલીવાર આમને-સામને આવી હતી ત્યારે ભારતને વિજય મળ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 147 રન બનાવ્યા હતા. ભારતે આ લક્ષ્યાંક બે બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. ભારત માટે વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ મહત્વની ઈનિંગ્સ રમી હતી. જો કે, ત્યારથી ઘણું બદલાઈ ગયું છે. રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. આ કારણે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર નિશ્ચિત છે.
અક્ષર પટેલને અથવા દીપક હુડાને તક
ઋષભ પંતને પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં જગ્યા મળી ન હતી. આ વખતે પણ પંતને તક મળે તેવી આશા ઓછી છે. ટીમ દિનેશ કાર્તિક પર ભરોસો રાખી શકે છે. તે જ સમયે, ટીમ માત્ર પાંચ બોલરો સાથે જવા માંગશે નહીં, તેથી કાર્તિક અને પંત માટે સાથે રમવું મુશ્કેલ છે. રવિન્દ્ર જાડેજાના સ્થાને ભારતીય ટીમ અક્ષર પટેલ અથવા દીપક હુડામાંથી એકને તક આપશે. હાર્દિક ઉપરાંત ટીમમાં એક ઓલરાઉન્ડરની ખૂબ જ જરૂર છે. જોકે, પ્લેઈંગ ઈલેવનમાં બેમાંથી કોનો સમાવેશ કરવામાં આવશે, તે અત્યારે નક્કી નથી. પાકિસ્તાનની વાત કરીએ તો તેમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની આશા ઓછી છે. પાકિસ્તાને હોંગકોંગ સામે 155 રને વિજય મેળવ્યો હતો, તેથી એવી આશા રાખી શકાય કે ટીમ ભારત સામે સમાન પ્લેઇંગ ઇલેવન સાથે જશે.
સંભવિત પ્લેઇંગ XI
ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ/દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ
પાકિસ્તાનઃ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર જમાન, ખુશદિલ શાહ, ઈફ્તિખાર અહેમદ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હરિસ રઉફ, નસીમ શાહ, હસન અલી