નિશાકુમારીએ બરફના તોફાન વચ્ચે 6700 મીટરની ઊંચાઈએ માઉન્ટ માંસ્લુ સર કર્યું

[og_img]

  • માઉન્ટ એવરેસ્ટથી માત્ર 700 મીટર નીચા પર્વત પર 3 દિવસ વિતાવ્યા
  • લગભગ 1300 મીટર અંતર બાકી હતું ત્યારે આરોહણ પડતું મૂકવું પડ્યું
  • કપરા અનુભવનો વિનિયોગ હવે પછીના આરોહણ માટે કરશે

વડોદરાની ગણિતશાસ્ત્રી યુવતી નિશાકુમારી કસાયેલા પર્વતારોહક છે અને એમનો દ્રઢ સંકલ્પ વિશ્વના સૌથી ઉંચા પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવાનો છે. તેની પૂર્વ તૈયારી રૂપે એ હિમાલયના બરફ થી છવાયેલા વિસ્તારમાં સાયકલિંગ સહિતની સાહસ યાત્રાઓમાં સતત જોડાઈને પોતાના શરીર અને મનને એવરેસ્ટના ખૂબ કઠિન અને પડકારભર્યા આરોહણ માટે તૈયાર કરી છે. તેની સાથે બેટી બચાવો,બેટી પઢાઓ જેવા સામાજિક સંદેશ પણ આપે છે.

આ જ કડીમાં તેણે તાજેતરમાં નેપાળના માઉન્ટ માંસ્લુનું આરોહણ હાથ ધર્યું જે દરમિયાન હિમ સ્ખલન અને બરફના ભયાનક તોફાનને આ દીકરીએ સગી આંખે નિહાળ્યું તેમ છતાં, માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો તેનો સંકલ્પ સહેજ પણ ડગ્યો નથી ઉલટો દ્રઢ થયો છે. બરફના આ તોફાનમાં એણે નજર સમક્ષ શેરપાઓ અને સાથી પર્વતારોહકો ને હિમ ઢગોમાં દટાઈ જતાં અને મોતના મુખમાં ધકેલાતા જોયા છે.

આ બર્ફીલા તાંડવમાંથી કોઈ ઇજા વગર સહીસલામત વડોદરા પરત ફર્યા એ બાબત નિશાકુમારીને કુદરત નો ચમત્કાર લાગે છે. તે કહે છે કે, “માંસ્લુની ઊંચાઈ 8168 મીટર છે જે એવરેસ્ટ થી માત્ર 700 મીટર ઓછી છે. તેના આરોહણનો અનુભવ એવરેસ્ટ ચઢાણ ના પડકારો નો સામનો કરવામાં ખૂબ ઉપયોગી બની રહે છે.જો કે અનરાધાર બરફ વર્ષા અને અતિ વિષમ વાતાવરણ ને લીધે ચોટીની ખૂબ સમીપ પહોંચીને, લગભગ 1300 મીટર અંતર બાકી હતું ત્યારે આરોહણ પડતું મૂકવું પડ્યું. નિર્ણય દુઃખદ હતો પરંતુ ત્યાંના વાતાવરણ ને જોતાં કોઈ જોખમ લેવું હિતાવહ ન હતું.ઓથોરિટી દ્વારા પણ તમામ આરોહકોને પાછા વળી જવા સૂચના આપી દેવામાં આવી હતી.”

તેણે 6700 મીટરની ઊંચાઈએ તંબુમાં નિવાસ કરીને ત્રણ દિવસ સુધી વાતાવરણ સુધરવાની રાહ જોઈ હતી.તાપમાન માઈનાસ 25 થી 45ની રેન્જમાં હતું અને તોફાની પવનો વચ્ચે સતત બરફ વર્ષા થતી હતી. શરીરનું કોઈ પણ અંગ જો ખુલ્લું રહી જાય તો હિમ દંશ થવો નિશ્ચિત હતું. આટલી ઊંચાઈ એ હિમ સ્ખલન અને તેની નીચે દટાઈ જતાં પર્વતારોહકોના તંબુ જોવાનો કપરો અનુભવ તેને પહેલીવાર થયો હતો.તેમ છતાં, એ અને ટુકડીના સદસ્યોએ ત્રણ દિવસ સુધી હિંમતભેર રાહ જોઈ હતી.

જો કે, ત્યાં રોકાઈ જવાનો નિર્ણય એક રીતે જીવન રક્ષક બન્યો હતો કારણ કે જે પર્વતારોહકો એ ઉતાવળ કરીને નીચે ઉતરવાનો નિર્ણય કર્યો,એમને ઉપર થી પડતાં બરફના ચોસલા હેઠળ દટાઈ જવાના જીવલેણ જોખમનો સામનો કરવો પડ્યો હતો. જો કે, એવરેસ્ટ સર કરવાનો આ દીકરીનો સંકલ્પ હજુ ડગ્યો નથી. એ કહે છે કે કેટલી વિકટતાઓ નો સામનો કરવાનો છે એની સચોટ અનુભૂતિ મને થઈ છે.અને હું આ કપરા અનુભવનો વિનિયોગ હવે પછીના આરોહણ માટે કરીશ. આ આફત થી મારું મનોબળ વધ્યું છે.

નિશાકુમારી એક ફૌજી પરિવારના દિકરી છે. તેનો મધ્યમવર્ગી પરિવાર તેના એવરેસ્ટ આરોહણના સ્વપ્નને પૂરું કરવા આર્થિક રીતે ઝઝૂમે છે જો કે આ આરોહણ ખૂબ ખર્ચાળ છે. એટલે આ દીકરી સમાજના શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓનું પીઠબળ ઈચ્છે છે. અત્યાર સુધી જેમણે પ્રોત્સાહક સહયોગ આપ્યો છે એ સૌ નો તે દિલથી આભાર માને છે.

Previous Post Next Post