PM Modiના ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ, મહેસાણામાં વિકાસ, શક્તિ-ભક્તિ અને ઐતિહાસિક વારસાનું થયુ ભવ્ય પ્રદર્શન
API Publisher
Oct 09, 2022 | 11:16 PM
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Oct 09, 2022 | 11:16 PM

વડાપ્રધાન મોદી આજે ગુજરાતના 3 દિવસીય પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા. 3 દિવસીય પ્રવાસના પહેલા દિવસે તેઓ મહેસાણાના પ્રવાસે ગયા હતા.

આજે શરદપૂર્ણિમાના અવસર મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે યાદગાર બની રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા જિલ્લામાં 3092 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને નાગરિકોને ઐતિહાસિક વિકાસકામોની ભેટ આપી હતી.

મહેસાણામાં તેઓ પાઘડીમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીને સાંભળવા મહેસાણાના દેલવાડામાં જનમેદની ઉમટી પડી હતી.

દેલવાડામાં વડાપ્રધાનએ રામ રામથી સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાને જણાવ્યુ કે, આજે આપણે ભગવાન સૂર્યના ધામ મોઢેરામાં છીએ. તેમજ આજે શરદ પૂર્ણિમા છીએ. તેમજ આજે ઋષિ વાલ્મીકિની જયંતી પણ છે. એટલે કે આજે આ ત્રણનો ત્રિવેણી સંગમ છે. હું તમામને શરદ પૂર્ણિમા અને વાલ્મીકિ જયંતીની શુભેચ્છા પાઠવું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુળદેવી મોઢેશ્વરી માતાના મંદિરમાં દર્શન કર્યા. મોઢેશ્વરી માતાના દર્શન કરી તેમણે પૂજા-અર્ચના કરી હતી.

મોઢેરા ખાતે વડાપ્રધાનનું લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન મોદીએ તેમનું અભિવાદન પણ ઝીલ્યુ હતુ.

ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ મોઢેરાને સોલર વિલેજ તરીકે જાહેર કર્યા બાદ મોઢેરાના સૂર્યમંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડશોનું કર્યું લોકાર્પણ કર્યું હતુ. જેના પગલે સૌર ઉર્જા સંચાલિત હેરિટેજ લાઈટિંગ અને 3D પ્રોજેક્શનનો શુભારંભ થયો હતો.

આ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં મોઢેરાના ઐતિહાસિક વિરાસતની ઝાંખી દર્શાવામાં આવી હતી. તેમજ રોશનીથી મોઢેરાનું સૂર્ય મંદિર ઝળહળી ઉઠ્યું હતુ.

વડાપ્રધાન 10 ઓક્ટોબરે આણંદ અને જામનગરમાં તથા 11 ઓક્ટોબરે રાજકોટ અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.